"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નારી! તું તારિણી

“પૃથ્વી પરના લગભગ તમામ સામાજો વત્તેઓછે અંશે  પુરૂષ પ્રધાન રહ્યા છે”(આગલી સાઈટ પરથી ચાલુ)…
સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ…
પુરુષ  પ્રધાન સમાજે સ્ત્રીને અમુક દ્રષ્ટિએ જોઈ છે, પછી એ પુરુષ હોય કે સ્ત્રી, બંને ‘સ્ત્રી’ને અમુક રીતે જ મુલવતાં થઈ જાય છે કારણ કે બંનેનો ઉછેરે પ્રચલિત સમાજિક મૂલ્યોમાં જ થયો  હોય છે.

      વેદકાલીન યુગમાં આર્ષદ્રષ્ટાઓ એ સ્ત્રી-પુરુષ  વચ્ચે કોઈ ઊંચ-નીચ ભેદ જોયો નથી એટલેજ એ સમયમાં  સ્ત્રી ઋષિ બની શકી જેવી કે ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી તેજસ્વી મહિલાઓ પરમહંસ બનીને એ કાળમાં વિચરતા જોવા મળે.

     પછી   રામાયણ-મહાભારતમાં  ધીરે ધીરે સ્ત્રીની ભૂમિકા  ગૌણ કરવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે.પુરૂષ આગળ,પાછળ સ્ત્રીનું અનુસરણ; સીતા-સાવિત્રી, દમયંતી,ગાધારી, કુંતી, દ્રોપદી જેવી નારીઓની પોતપોતાની અસ્મિતા છે , તેમ છતાં એની ભૂમિકા પુરુષ પરત્વે ગૌણ છે.

    પછી બુદ્ધ-શાંકર યુગમાં અંકુશો વધતા જાય છે, મધ્યમયુગમાં તો સ્ત્રી ઘરની ચાર દીવાલોમાં અને ઘૂંઘટ પાછળ એવી ધકેલાય જાય છે કે એ પોતે જ પોતાને ભૂલી જાય છે. તેમ છ્તાંય માનવમાં પડેલું કૌવત પોતાના જોર અજમાવેજ, એમ મધ્યયુગમાં પણા મીરાં, લલ્લા,મુકતા આંડાઆળ, આક્કા, જનાબાઈ જેવી વિદ્રોહી મહિલાઓ ધરતી ફાડીને ફૂટતા અંકૂરની જેમ પ્રગટી છે.પરંતુ સર્વસાધારણ રીતે સ્ત્રીના વ્યક્તિત્વને એના ‘દેહ’માં અને ‘ઘર-પરિવાર’માં સીમિત કરી દેવાયું છે.

   સમાજને માટે સ્ત્રી એટલે માત્ર ઘર સાચવવાનું પાત્ર, વંશવેલો વધારનારું  યંત્ર!પુરુષને અનુકૂળ થવું એજ એનો ધર્મ ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમ એર્હતિ’  જેવા શાસ્ત્રવચન પણ કહેવાયાં.સ્ત્રીનું મૂલ્ય-એનું દૈહિક રુપ! રૂપથી જ એ મૂલવાય.રૂપાળી પત્ની હોવી એ પતિ માટે ખતરો. સ્ત્રીનું અપહરણ કરી શકાય. સ્ત્રી એટલે ઢીંગલી. એને સજાવી શકાય, શણગારી શકાય. એની સાથે  રમી શકાય.સ્ત્રી તો ભોગનું સાધન. ઉપભોગની ચીજ! સ્ત્રીને ભોગવવા માટે એના પર બળાત્કાર પણ કરી શકાય. આમ ઠેઠ આજની ઘડી સુધી સ્ત્રી તરફ જોવાની આ દ્રષ્ટિ હજુ ચાલુજ છે.

  સ્ત્રીનો બીજો અર્થ’વામા’. વામા એટલે કે જે ડાબા પડખે છે તે-વામા. હવે શું ડાબું કે શું જમણું-બધું જ  પોતપોતાને સ્થાને ઉચિત જ છે. પરંતુ આપણે ત્યાં વામાંગને થોડું ઓછું સ્થાન અપાયું. ડાબા  હાથે શૌચક્રિયા થાય એટલે બિચારો ઓરમાયો બન્યો રહ્યો છે. ગમે એમ, પણ સ્ત્રી માટે ડાબું સ્થાન પસંદ કરવામાં આવ્યું. સ્ત્રીના ધ્યાનમાં સતત રહેવું જોઈ એ ને કે એ મુખ્ય નથી!

 આવોજ એક શબ્દ-‘વનિતા’એટલે વેલ,લત્તા આ પણ સૂચક શબ્દ છે. સ્ત્રીની ભૂમિકા વેલની ,એટલે કે વળગવાની. એ પોતાના પગ પર ઊભી રહી ન શકે , ખીલી કે વિકસી ન શકે, એને આધાર જોઈ એ , પુરૂષ એ વૃક્ષ અને સ્ત્રી એ વનિતા-લત્તા. આવી ભૂમિકા આજની સ્ત્રી સંમત ના થઈ શકે . સાથ હોય તો પરસ્પરનો હોય. કોઈને વળગીને જીવવાનો શો આનંદ?

 કુદરતે સ્ત્રીને કાયા આપી છ તે કમનીય છે, કહેનારે સાચું જ કહ્યું છે કે પ્રભુએ નારી દેહ સર્જિને પોતાના હાથ ધોઈ નાખ્યા હશે.નારિ દેહના વળાંકો, ગોળાઈ અદભૂત લાવણ્ય સર્જે છે. વળી કુદરતે આ જ નારીદેહમાં ગર્ભરક્ષણનો અદભૂત કિલ્લો સર્જ્યો, એ તો વળી પ્રભુનું વિશેષ વરદાન છે એ સિદ્ધ કરે છે  કે નારીદેહમાં કોઈ ઊણપ નથી.

  પરંતુ સૌંદર્ય કોઈના અંતરની કામવાસનાને જગાડે એ સૌંદર્ય મંગળમય નથી એટલે રૂપસજાવટ  તથા સૌંદર્ય-શણગારમાં સ્ત્રીએ આટલી મર્યાદા તો મૂકવી જોઈ એ કે પોતાના દેહને એ એવી રીતે ન સજાવે કે જેથી પુરૂષની વૃત્તિઓ ઉશ્કેરાય.કપડાં શરીરને ઢાંકવા બનાવવામાં આવ્યા છે , પરંતુ એજ કપડાં જ્યારે અંગોને વધુ ઉઘાડા કરી મૂકે , ત્યારે શું સમજવું?

  સ્ત્રીએ પોતાની બુદ્ધિ-પ્રતિભા અને બીજી શક્તિને પ્રગટ કરવી પડશે, સ્ત્રીનું બાહ્ય રૂપ એજ સૌદર્ય નથી, એથીય અદકેરું સૌદર્ય પ્રગટાકરવું પડશે, ત્યારે જ એના તરફ જોવાની સમાજની દ્ર્ષ્ટિ બદલાશે.

  આમ સમાજ ભલે જ્યાં ઊભો હોય ત્યાં  ઉભો  રહે. સ્ત્રી પોતે પોતાના તરફ જોવાની દ્રષ્ટિમાં આમૂલ ક્રાંતિ લાવી, અંતરમાં આત્મવિશ્વાસ ભરી, પોતાના સમસ્ત મહિમા સાથે ઉભી થશે તો સમાજ  બદલાશે, સમાજનાં મૂલ્યોમાં ઘરમૂળ પરિવર્તન આવશે અને સમાજમાં સ્ત્રીનું એક ગૌરવવંતુ સ્થાન નિર્માશે, સ્ત્રીત્વની પ્રતિષ્ઠા થશે.

  સ્ત્રીઓને સૌથી મોટો ડર સાપ,વીંછી, વાઘ , વરુ કે ડાકુ-લૂંટેરાનો નથી, સૌથી મોટો ડર બળાત્કારનો છે! આ ભયની સામે ઝૂઝવા સ્ત્રીએ દેહ ઉપરાંત બીજા એક બળની ઉપાસના કરવી પડશે, આ બળ શારિરીક નથી. આ આંતરિક બળે છે જે શક્તિ થકી મુઠ્ઠી ભર હાડકાંવાળો ગાંધી કદી ન આથમતી બ્રિટિશ સતા સામે ઝૂઝયો  અને જીત્યો, તે અંતઃશક્તિની , પ્રેમ  અને અહિંસાશક્તિની આરાધના સ્ત્રીએ કરવી પડશે. આ ભીતરની આંતરીક શક્તિ છે, એ આત્માની શક્તિ છે, સમર્પણ અને સત્ય-પ્રેમની શક્તિ છે.સત્યની આ આત્મશક્તિ શુભંકારી પણ છે . એ કલ્યાણકારી, માંગલ્યપૂર્ણ છે. આ જગત-તારિણી શક્તિ છે.

  સ્ત્રીઓમાં  સાહસ અને વીરતા પણ પ્રગટ થવા જોઈ એ, આત્મશક્તિમાં જ નહીં, પણ મહા..
(ક્રમાશ)
-મીરા ભટ્ટ

ઓગસ્ટ 18, 2008 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

  1. નારીની સંપૂર્ણ કદર તો ક્યારેય થઇ નથી..!!.. આટ્લા લેખો -કાવ્યો -વાર્તાઓ દ્વારા નારીને નારાયણી કહી છે… દેવી કહી છે… સહંન શીલતાની મુર્તી કહી છે , પણ …!..એકંદરે તો નારીનું સ્થાન જ્યાં નું ત્યાં જ છે…!!!!!!!

    ટિપ્પણી by chetu | ઓગસ્ટ 18, 2008

  2. અબળામાંથી મહીલા બનવાનું તેના જ હાથમં છે

    ટિપ્પણી by pragnaju | ઓગસ્ટ 19, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.