ના કરો…
શું કહું તેમને કે શૂં શું ના કરો
જે કહું એનાથી ઊંધું ના કરો.
વાતેવાતે આમ ઊંહુંના કરો,
પૂંછ પર પગ ક્યાં છે?કંકું ના કરો,
વાંસળી ને ફૂકણીમાં ફેર છે,
વાંસ પોલો જોઈફૂંકું ના કરો.
ધોલ મારી બાપે શીખવાડ્યું હતું,
કોઈનું ક્યારેય બૂરું ના કરો.
સાત ફેરા….સાત જન્મો…ભૂલીને
સાત મહિનામાં જ છૂટું ના કરો.
ના! નથી ફેશનનો વાંધો,
પણ ડિયર ગંજી કરતાં શર્ટ ટૂંકુ ના કરો.
લાળ પાડે એકલાં જે વાતે સૌ,
ભેગા થઈ એ વાતે થૂથૂ ના કરો.
તીસ નંબર બીડી જેવું આયખું
ફૂંકી ફૂંકી એને ઠૂંઠૂ ના કરો.
દેશમાં દુષ્કાળ,જળ તરસી ધરા..(પણ)
કાર રોકી જ્યાં ત્યાં સૂ સૂ ના કરો,
-રઈશ મનીઆર
કાકાને જબરો ફાંકો..
કાકાને જબરો ફાંકો
નિત નવા એ કરે અખતરા પાડી દેવા છાકો.
રોજ આગાશી પર જઈને એ કસરત જેવું કરતાં;
અલ્પ કરે માલીસ ને ઢગલો તેલ શરીરે ઘસતા,
શ્યામ કલપથી રંગે શ્યામલ ઉજળાં કેશ-કલાપો.
બેત્રણ દાંત હતાં એ કઢાવી બનાવરાવ્યું ડેન્ચર;
સજધજકે ફિર નીકલ પડે હૈ કરનેકો એડવેન્ચર,
રોશન શમ્મા જોઈ નથી ફૂદકે છે પરવાનો,
મુગ્ધાઓ જ્યાં કાકા સંગે જરાક અમથું બોલે ;
બીન બજે ને નાગ ડૉલતો;કાકા એમજ ડોલે,
“કાકા’! કહી સંબોધે ત્યાં તો ઝમરખ દીવડો ઝાંખો.
-અરૂણ દેશાણી (ભાવનગર)
કવિના મૃત્યુ પર યમરાજનો આદેશ.
કવિના ગામ મધ્યે જઈ કવિના પ્રાણ લઈ આવ્યો,
કવન અકબંધ રહેવા દઈ કવિના પ્રાણ લઈ આવ્યો.
ફૂલોથી પણ વધુ નાજૂક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ કવિના પ્રાણ લઈ આવ્યો,
પડે વિક્ષેપ ના સહેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી કવિના પ્રાણ લઈ આવ્યો.
પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી કવિના પ્રાણ લઈ આવ્યો.
ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વકને સાવધાન રહી કવિનાપ્રાણ લઈ આવ્યો.
કલમ હો હાથમાં તો બે ધડી દ્વારે ઉભા રહેજો,
રજા મા શારદાની લઈ કવિના પ્રાણ લઈ આવ્યો.
-ઉર્વીશ વસાવડા
વાંચું છું…
અભણ છું પણ સદાયે સ્પષ્ટ ઝંઝાવાત વાંચું છું,
હું જ્યારે હસ્તરેખા વાંચું, ઉલ્કાપાત વાંચું છું.
અભણ છું,મિત્ર મારા!પણ તમારા ભાવ વાંચું છું,
તમારા કારણે મળતી મને નિરાંત વાંચું છું.
ઘડીભરનો સમય કાઢી હું મારો હાથ વાંચું છું,
નવું તો શું મળે? આઘાત પર આઘાત વાંચું છું.
ગમે છે,સાંભળું; તારા વિષે કોયલ જે બોલે છે,
ટહુંકતી, ટહુકાની મધથી મીઠી સોગાત વાંચું છું.
પ્રિયે! ઓ જિંદગી મારી! તને ખુબ ચાહું છું,
હ્ર્દનાં પૃષ્ઠ ખોલી-ખોલી આખી રાત વાંચું છું.
મને ડુબાડવાને, શાહીનો ખડીયો જ કાફીએ છે,
તમે જે વ્યર્થ લાવ્યા તે સમંદર સાત વાંચું છું.
-હર્ષદ ચંદારાણા
જવાબ દે…
અહીં જો નથી કોઈ જવાદ દે,
લે, આંખ શીદ રોઈ જવાબ દે.
આ ભૂમિ વેરાન પડી સઘળે,
શાને ઝંઝાની વેલ બોઈ?જવાબ દે.
ભટક્યા કરે છે કેમ રાતદિવસ?
ના કોઈ ક્ષણ પકડાઈ! જવાબ દે.
નહીં સંત-સોઈ કે ઠાકુર સ્થાન,
કેમ ટિંગાડી દીધી પિચોઈ, જવાબ દે.
કદી આવવાની નથી કંકોતરી,
બજાવ્યા કરે રોજ શરણાઈ,જવાબ દે.
બીજે જવાનું આ ગમે આયખામાં,
શું નથી છોડાતી ડભોઈ!જવાબ દે.
-રામચંદ્ર પટેલ
સૌજન્યઃ ઉદ્દેશ
“કે ત્યાં બિચારી એકલી નિંદા અમારી છે.”
તમને ખબર છે? કેવી કવિતા અમારી છે,
જે જે કડી છે-ભાગ્યની રેખા અમારી છે.
ઘર બેઠા જે લખીએ છીએ-સંભળાય છે સૌને,
જે જે મુશાયરા છે,એ શાખા અમારી છે.
કડવા અનુભવોનું કથન હો મીઠાશથી,
એ બોલચાલ અમારી,એ ભાષા અમારી છે.
આ ઘરના એક ખૂણામાં બેસી જવું પડ્યું?
ને ચારે તરફ કેટલી દુનિયા અમારી છે.
એને તમે અમારી હતાશા નહીં કહો,
આશા વધારે પડતી-નિરાશા અમારી છે.
પાછળ ફરીને જોવું પડે છે કોઈ વખત,
કે ત્યાં બિચારી એકલી નિંદા અમારી છે.
દુનિયાને કરે મસ્ત અમે હો તામાશાબીન,
અમને ન ચઢે-એવી મદીરા અમારી છે.
-મરીઝ-“નકશા”
બધું માગવા જેવું નથી…
ઘણીવાર કોઈ પ્રિય વ્યુક્તિને ઉંમ્રે નૂહ મળે એવું કહેવામાં આવે છે. કહેવાય છે કે નૂહ ૨૩૦૦ વર્ષ જીવ્યા હતા.અતિશય સંયમી જિંદગી જીવતા નૂહે ૨૦૦ વર્ષ કસ્તી બનાવવામાં ગાળ્યા હતાં.જીવનનાં છેલ્લાં ૫૦૦ વર્ષ એમણે લોકોને ફરીથી વસાવવા અને આબાદ બનાવવામાં ગાળ્યાં હતાં.નાસ્તિકોની અક્કલ ઠેકાણે લાવવા માટે તે પ્રલય માગી બેઠેલા. તેમની કસ્તીમાં ૮૦ માણસો હતા. પશુ,પક્ષીઓ પણ હતાં. પ્રલયનું તોફાન શમ્યા પછી ૮૦ માણસોની જે વસ્તી આબાદ થઈ એમાં પણ નાસ્તિક લોકો હતા. એ બધા પણ વિચિત્ર રોગચાળામાં મરી ગયા.માત્ર નૂહ તેના ત્રણ દિકારા અને વહુ બચી ગયાં. આ ત્રણ જોડામાંથી આખી દુનિયા ફરી વસી.
પછી ખુદાએ એક ફરિશ્તાને નૂહ પાસે કૂંજો ખરીદવા મોકલ્યો. પેલાએ કિંમત ચૂકવી કુંજો લીધો અને ફોડી નાખ્યો. આવું એ ફરીફરીને કરતો રહ્યો. પૈસા ચૂકવે, કૂજો ખરીદે અને ફોડી નાખે. આખરે હુઝરત નૂહથી ના રહેવાયું. તે બોલી ઊઠ્યા,”ભાઈ આ તું શું કરે છે?” પેલાએ જવાબ આપ્યો, “હું કિંમત ચૂકવું છું. કૂજો મારો છે. પછી તમને શું વાંધો છે.” નૂહ બોલ્યા,”ભાઈ, તારી વાત સાચી છે પણ આ કૂંજો મેં મારા હાથે ઘડ્યો છે.એટલે તું તોડે છે ત્યારે મને દુ:ખ થાય છે.” તુરત જ પેલો ફરિશ્તો બોલી ઊઠ્યો,”આપે બનાવેલી ચીજ આપની નજર સામે નાબૂદ થઈ એટલે આપને દુ:ખ થઈ રહ્યું છે. તો વિચાર કરો કે ખુદાએ બનાવેલી દુનિયાના સર્વનાશ માટે આપે દુઆ કરી, ત્યારે શું ખુદાને દુ:ખ નહી થયું હોય?* આ સાંભળી નૂહ ચમક્યા, પછી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પસ્તાવાનાં આસું સારતાં રહ્યા.(*સૌજન્ય: શરીફા વીજળીવાળા)
આપણે પણ ઘનીવાર કોઈ ખોટી વસ્તુ ભગવાન પાસે માગી બેસી છીએ. કોઈને સીધા કરવા, કોઈની સાન ઠેકાણે લાવવા પ્રલય જ માગી બેસીએ છીએ અને પછી બાકીની જિંદગી એના પસ્તાવામાં જ ગાળીએ છીએ. ક્યારેક તો એ પસ્તાવો પણ નથી કરતા. ક્યારેક પસ્તાવાનો વખત પણ નથી રહેતો, મોડું થઈ ગયું હોય છે. આજ ભાવ આ ગઝલના પેહેલા શે’રમાં, પ્રથમ બે પંકતિઓમાં જુદી રીતે આવ્યો છે.
શું મળ્યું, બોલ હ્ર્દય બોલ પ્રલય માગીને?
ને પશ્વાત્તાપમાં રડવાનો સમય માગીને.
સદાય ભીખ તો ભીખ જ રહે છે ઓ મિત્રો,
કરી મૂક્યો છે તમે તુચ્છ વિજય માંગીને.
ઘણાય હોય છે વક્તાઓ એટલે ભૂખ્યા,
ભરે છે પેટ ગમે તેવા વિષય માગીને.
તને ખબર નથી તેં સાંજ સ્વીકારી લીધી,
ઘડીક નામના સૂરજનો ઉદય માગીને.
ખરું કહું છું એ સદગુણ તો હ્ર્દયનો છે,
નથી એ વસ્ત્ર કે પહેરાય વિનય માગીને.
કદીક હાથ એ માગ્યો’તો હ્ર્દયને ખાતર,
ગયાં છે એજ તો બદલામાં હ્ર્દય માગીને.
-રાજેશ વ્યાસ-‘મિસ્કીન'(સૌજન્ય: ઉદ્દેશ)
આપણને નહિ ફાવે..
સળગતું હૈયું ઠંડુ પાડવું આપણને નહિ ફાવે,
સ્મરણને છાતીએ પસવારવું આપણને નહિ ફાવે.
મને મળવું જ છે તો પડછાયા જેમ જ રહે પડખે,
હવાની જેમ તારું આવવું આપણને નહિ ફાવે.
કહે તો આગ જેવી આગ પાણી જેમ પી નાખું,
નજરના કેફમાં ડૂબી જવું આપણને નહિ ફાવે.
અમે તો માર્ગ આપોઆપ શોધીને જ જંપીશું,
તમારા પગલે-પગલે ચાલવું આપણને નહિ ફાવે.
કશું યે ન્હોતું ત્યારે વસવસો કાયમ રહ્યા કરતો,
બધું પામી લઈને જાગવું આપણને નહિ ફાવે.
અમે તો સત્ય દાદાગીરી-પૂર્વક સાંભળી લેશું,
અમસ્તું કોઈને ધમકાવવું આપણને નહિ ફાવે.
-નીલેશ પટેલ
મન થયું..
આ જગતને ચાહવાનું મન થયું,
લ્યો મને માણસ થવાનું મન થયું.
એક કૂપળ ફૂટતી જોયા પછી,
ભીંત તોડી નાંખવાનું મન થયું
આ પવન તો ખેરવી ચાલ્યો ગયો,
પાન ડાળે મૂકવાનું મન થયું.
આ તરસ સૂરજની છે કહેવાય ના,
એમને નદીઓ ઢાંકવાનું મન થયું.
જાળને જળ એક સરખાં લાગતાં,
માછલીને ઊડવાનું મન થયું.
કોણ જાણે કંઈ રમત રમતાં હતાં,
બેઉં જણને હારવાનું મન થયું.
મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરનાં થઈ જવાનું મન થયું.
-ગૌરાંગ ઠાકર
“આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.”
એકજ જવાબ દે મારો એકજ સવાલ છે,
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.
વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું ,
બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે.
આ આજના ભરોસે મને માન આપના,
કોને ખબર કે શું મારી આગામી કાલ છે.
પુરા કરો વચન જે દીધા આજકાલના,
મારી ય જિંદગાની હવે આજકાલ છે.
બસ એક નજર સચેત-તો વૈભવ બધા મળે,
બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે.
એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાલ છે.
-મરીઝ
**************************
“કાળને મારી ચિઠ્ઠી મળતી નથી,
કેવો અંધાર છે જામ્યો છે અહીં.
જાવું છે પેલેપાર, થાક્યો છું,
કેમ કોઈ લેવા મને આવતું નથી?”
-DEEP
“આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું”
મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી.
પોત પોતાના જ માટે સૌ કરે છે પ્રાર્થના,
કોઈના માટે કદી કોઈ દુવા ક્યારે હતી.
હું ય ક્યાં ફૂલોની માફક કોઈ દિ’ ખીલી શક્યો,
તું ય જો ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી.
એણે શ્વાસમાં જ વાવાઝોડું સંતાડ્યું હશે,
હા, નહિતર આવી ભારેખમ હવા ક્યારે હતી.
સંત અથવા માફિયા માટેના છે જલસા બધા,
આપણા માટે તો આવી સરભરા ક્યારે હતી.
આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી.
રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જિન્દગી,
મારી કોરી આંખમાં ભીની વ્યથા કયારે હતી.
-ખલીલ ધનતેજવી
અવળવાણી..મૃગજળને ચાખી જોયું તો મધ કરતાં પણ મીઠું!
કોયલ મૂંગી આંબો ટહુકે અચરજ એવું દીઠું,
મૃગજળને ચાખી જોયું તો મધ કરતાં પણ મીઠું!
ખાબોચિયું દરિયો થૈ ઘૂઘવે, દરિયો થૈ જાય રેતી,
મધરાતે જળ જંપે ત્યારે વાવ હોકારા દેતી!
સૂરજ વરસે શીળી ચાંદની, ચાંદો અગનઝાળ,
‘સીતા-રામ’ની રટણા મૂકી પોપટ બોલે ગાળ!
ફૂલ આકરું ડંખી જાય ને કાંટા મલમ લગાવે,
કાગ રૂપાળા પીછાં ખોસી નિજને મોર કહાવે!
નાનું અમથું ચાંદરણું ખાય સૂરજ સામે ખોંખરા,
શિયાળવું પણ સિંહની સામે કરતું હવે લવારાં!
‘સમય સમય બલવાન નહિ પુરુષ બલવાન’!
હમણાં સુધી હતું સાંભળ્યું અમે અમારે કાન!
-લાલજી કાનપરિયા
શક્ય છે.
હું અને તું આપણે બે હોઈ તો શક્ય છે,
એકબીજાની નજરમાં જોઈએ તો શક્ય છે.
એ રીતે દશ્યો સમૂળાં ધોઈએ તો શકય છે,
એકબીજાના નયનથી રોઈ તો શક્ય છે.
દેહથી સૌને ભલે અહીંયા જ દેખાતાં છતાં,
એક બીજા વિશ્વમાં પણ હોઈ એ તો શક્ય છે.
બે દિશાઓ બંધ થઈને ક્યાંય ત્રીજી ઊઘડે,
એકબીજામાં સ્વયંને ખોઈ એ તો શક્ય છે.
દ્વૈત’ને અદ્વૈત પડદો પછીથી ન રહે,
એકબીજાને હ્ર્દયમાં પ્રોઈ એ તો શક્ય છે.
ડૉ.નીરજ મહેતા
પ્રીતિમાં એવી રીતે
પ્રીતિમાં એવી રીતે ડુ બાવી ગયાં તમે,
માયા ને મોહમાંથી તરાવી ગયાં તમે.
એની અસરથી આખું જગત ઝળહળે તો છે,
ઉરમાં ભલેને આગ લગાવી ગયાં તમે.
જો કે અરસપરસ હતી દિલની જ આપલે,
હું ખોટમાં રહ્યો અને ફાવી ગયાં તમે.
ડાહ્યા જનોને મારી અદેખાઈ થાય છે,
કઈ જાતનો દીવાનો બનાવી ગયાં તમે.
બેફામે તમને જીવતાં દીધા હતાં જે ફૂલ,
એની કબર ઉપર એ ચઢાવી ગયાં તમે?
-બરકત વીરાણી ‘બેફામ’
નીકળે..
લાગણીની પાળ જેવું નીકળે,
આંસુ તો ખડકાળ જેવું નીકળે.
ભેજ ક્યાં મળતો હતો આ શબ્દમાં?
પત્રમાં પાતાળ જેવું નીકળે.
કોઈ પણ ઘરમાં બચ્ચુ ના છેવટે,
ડુસકું દુષ્કાળ જેવું નીકળે.
આ નગરમાં સાચવીને ચાલજે,
ફૂલ પણ પથરાળ નીકળે.
શોધેવામાં જિંદગી આખી જતી,
ક્યાં તમારી ભાળ જેવું નીકળે?
પંખીઓ ઊડી ગયાં આકાશમાં,
સાવ ખાલી ડાળ જેવું નીકળે.
ડાયરીનું ફાટતું પાનું મનીષ,
અક્ષરોમાં ફાળ જેવું નીકળે.
-મનીષ પરમાર
અહીં મસ્તક ફૂટ્યું …
અહીં મસ્તક ફૂટ્યું ને રકતધારા લાલ આવી ગઈ,
પછી જોયું તો એક બિન્દી તમારે ભાલ આવી ગઈ.
હતાં જે આવનારાં કાલ એ એક જ નહીં આવ્યાં,
નહીંતર જિંદગીમાં તો ઘણીએ કાલ આવી ગઈ.
મહોબ્બતની ગલી સીધી હતી તો પણ વળ્યો પાછો,
કરૂં પણ શું બીજું ? વચ્ચે જ એક દિવાલ આવી ગઈ.
કદમ લથડી રહ્યો છે તો ય વધતો જાઉં છું આગળ,
મદિરાલયમાં જઈ આવ્યો તો મક્કમ ચાલ આવી ગઈ.
અમારે તો જીવન સંગ્રામમાં ઘા ઝીલવાના છે,
અમારા હાથમાં તલવાર બદલે ઢાલ આવી ગઈ.
પરિવર્તન થયું બસ એટલું બેફામ જીવનમાં,
જનમદિન આવતા’તા ત્યાં મરણની સાલ આવી ગઈ.
-બરકત વીરાણી ‘બેફામ’
કોઈ આગળ નડ્યા..
કોઈ આગળ નડ્યા એવા કે રસ્તાઓ રૂંધી નાખ્યાં,
કોઈ પાછળ પડ્યા એવા કે પગલાંઓ ભૂંસી નાખ્યાં.
દુ:ખો છે આ, દુ:ખોના તે વળી દેખાવ શા કરવા?
નયનમાં આંસુ આવ્યાં કે તરત એને લૂછી નાખ્યાં.
હતાં એ ઝેર કે અમૃત, સવારે જાણ થઈ જશે;
અમે તો રાતનાં જે મળ્યાં પીણાં એ પી નાખ્યાં.
હતી એવી અછત જીવન મહીં કે એ પૂરી કરવા;
મહામૂલાં હતાં જે સ્વપ્ન, એ પણ વાપરી નાખ્યાં.
વિરહની રાતને અજવાળવાનું ઠીક ના લાગ્યું;
હતા બેચાર દીવા આરઝૂના, ઓલવી નાખ્યાં.
હું જીવતો હોત તો બેફામ સૂંઘી તો શકત એને;
કબર પર તો ફૂલોને સૌ એ વેડફી નાખ્યાં.
-બરકત વીરણી’બેફામ’
કો ખ્લાસી છે..
આંખમાં જળ ને આંખ પ્યાસી છે,
એ જ વાતે સદા ઉદાસી છે.
રાત છે ચાંદ છે અગાશી છે,
કોઈને ઝૂરવા ત્રિરાશી છે.
તેજ રફતાર કાળની છે ને
આપણા પગ મહીં કપાસી છે.
આપવા કોઈને ક્શું ક્યાં છે?
જાત છે એય દેવદાસી છે.
એક જ નાવમાં ભલે બેઠા,
કો પ્રવાસી તો કો ખ્લાસી છે.
-વજેસિંહ પારગી
ચાલ્યા જશું….
ના મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં ઘર બાંધશું, થોડું રમી, ચાલ્યા જશું.
દૂર થાશે ઝાંઝવાનુ ખોખલું દરિયાપણું,
આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું.
યાદના સૂરજ અચાનક માર્ગમાં ઊગી જશે,
બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું.
આ તે કેવો શાપ છે એકલપણાના ભારનો,
શ્વાસને સૌ આપના ચરણે ધરી ચાલ્યા જશું.
ધૂમ્ર થઇ જાતે કરો પૂણાર્હુતિ આ યજ્ઞની,
‘ઇન્દ્ર’ છેવટ એકલાં વાદળ ભણી ચાલ્યા જશું.
-હિતેન્દ્ર કારિયા (divya Bhaskar)
સમજ પડે તો….
દરિયો ડૂબ્યો હોડી અંદર , સમજ પડે તો કાગળ લખ,
ના કોઈ બારું ના કોઈ બંદર, સમજ પડે તો કાગળ લખ.
મત્સ્યકન્યાની અફવા નીકળી,સમજ પડે તો કાગળ લખ,
કદીયે ના જન્મારે મળી, સમજ પડે તો કાગળ લખ.
છીપ તજીને મોતી ચાલ્યું, સમજ પડે તો કાગળ લખ,
મળી ગયું તો ગજવે ઘાલ્યું, સમજ પડે તો કાગળ લખ.
જળની વચ્ચે જળને દીવો,સમજ પડે તો કાગળ લખ,
ડૂબી ગયો તીરે મરજીવો, સમજ પડે તો કાગળ લખ.
કાંઠે આવી હોડી અટકી, સમજ પડે તો કાગળ લખ,
ગયો અચાનક દરિયો છટકી, સમજ પડે તો કાગળ લખ.
-લાલજી કાનપરિયા