"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તમે આવ્યા તો ખરા !

સમજણની શેરીઓમાં તમો   આવ્યા તો ખરા,
મતલબની વાત છોડી તમો આવ્યા  તો ખરા.

મારા આંગણામાં  હતો એક નાનો   ચબુતરો ?
ઝાળને જાર   લઈ   તમો  આવ્યા તો  ખરા .

અઘોરી બાવાની હતી મારી    એક   ઝુંપડી,
ભભુતીનો ભાર  લઈ તમે    આવ્યા તો ખરા.

સંસાર સળગી  ગયો  બસ  એક જ વાત થી!
તેલની  ધાર  લઈને  તમે  આવ્યા તો  ખરા.

આભ  ફાટી  પડ્યું  એક  વીજના કડાકા થી!
વાદળી વસ્યા પછી  તમે  આવ્યા તો  ખરા.

એતો જતો  રહ્યો  બીનવારસી લાશ   છોડી!
કાંધો આપવા  અંતે  તમે  આવ્યા તો  ખરા!

જુલાઇ 25, 2011 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

એક માણસ થઈ

હોઠ પર સ્મિત ને   આંખ  પાછળ રડું,
આમ  કાયમ  મને ને મને   હું  છળું.

મિત્રો   તૈયાર છે   હાથ   લંબાવવા,
પણ જૂએ  રાહ  સૌ   કે હું ક્યારે પડું!

કોણ  જાણે   ક્યા જન્મનાં   પાપ છે?
એક   માણસ  થઈ  માણસોથી  ડરું.

ભીડમાં   અહીં મળાતું નથી   કોઈને,
શક્ય છે   કે કબરમાં મને    હું મળું.

ઘાસ  જેવા અહીં  ગંજ  છે શબ્દના,
સોય   જેવી ગઝલ  છું જડું તો જડું.
-હેમાંગ જોષી

એપ્રિલ 29, 2011 Posted by | ગઝલ અને ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

Happy Valentines day! “મજા માણું છું..”

તારા પ્યારમાં જીવી,જિંદગીની મજા માણું છું,
વસંતના વાયરે રોજ કોયલના ગીત માણું છું.

મળી છે મને મોતીની માળા મારાજ આંગણે,
આજ   અનોખી  ચમકની હું  મજા  માણું છું.

તારાજ ઉપવનમાં ફુલોની અનોખી મહેંક છે,
એક  એક પળ હું   લહેરની   મજા માણું છું.

શ્વાસ-ઉચ્છાવાસમાં એક બસ તારું નામ છે,
લાંબા  પ્રવાસની  સુંદર   હું  મજા માણું છું.

સંસારી સુખ સાથે સારા સંતાન દીધા   તે,
સંધ્યાને આરે આવી ,સોનેરી મજા માણું છું.

‘દીપ’ છું. રેખા થકી  આ વિશ્વમાં ફેલાવ,
તારી  અનોખી દોસ્તીની હું   મજા માણું છું.

ફેબ્રુવારી 13, 2011 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

વાત કરી ગયાં.

મૌન રહી ઘણી વાત કરી ગયાં,
જીવનની સારી વાત કરી ગયાં.

સાગર રડી રડી એ થયો  ખારો,
એ  ચાંદ-દૂતો  વાત કરી ગયાં.

દિલ  દીધું ,એ જાન લઈ ગયાં,
આંખના ઈશારા વાત કરી ગયાં.

ધરતી  ઉઠાવશે ભાર ક્યાં લગી?
પ્રયલયો  કેવી વાત  કરી ગયાં?

ચાલ્યો ગયો કીધાવગર એકલો!
યમ-દુતો કેટલી વાત કરી ગયાં?

જીવનમાં  રાખી  વાતો  ખાનગી,
હમદર્દીઓ  બધી વાત કરી ગયાં.

એને ખબર ના હતી મારા પ્રેમની.
આંસુ આવી બધી વાત કરી ગયાં.

‘દીપ’શોધી રહ્યો અંધારમાં  શું?
આગિયા આવી  વાત કરી ગયાં.

એપ્રિલ 14, 2010 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

આવી તો જો ! કવિ- તુષાર

securedownload[3]

“જોયું ન જાણ્યું જેણે, એનો ડર બતાવે એને,ધરતીના કવિ?
એજ કરેને કરાવે છે બધું.એમાનું એકાદ તું કરી કરાવી જો.”
-P.Shah

જુલાઇ 8, 2009 Posted by | ગઝલ અને ગીત, મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

મતલાના હલેશાથી વધતી કૃતિ-રાધેશ્યામ શર્મા

dsc00225.jpg

એક પળ- શ્રીરાધેશ્યામ શર્મા સાથે-૨૦૦૪

જુલાઈ-2007માં -‘તાદથ્યૅ’  મેગેઝીન પકટ થયેલ મારી એક ગઝલ “નભના નગર નીકળ્યાં” નો આસ્વાદ
રણજીતરામ સુવર્ણચદ્રક વિજેતા શ્રી રાધેશ્યામ શર્મા લખેલ છે જે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આશ છે કે આપ સૌ ને ગમશે અને આપનો પણ અભિપ્રાય  જરૂર આપશો.

********************************************

ગઝલનો આસ્વાદ

નભના  નગર નીકળ્યાં ,તારલા સૌ જોવા નીકળ્યાં,
શેરીના  શ્વાસ  રુંધાયા, શ્વાન  સૌ  ભસવા નીકળ્યાં.

ક્યાં  હતું    મારું અહી    કોઈ    ઠેકાણું આ  શહેરમાં,
ઝાંઝવાના   ઝળ  મને   કેમ અહીં શોધવા  નીકળ્યાં ?

સગા-  સંબંધીની   ખુશામત  અહી  જિંદગી-ભર કરી,
કાંધો  આપવા  એ  ઘેરથી    બહું    મોડા   નીકળ્યાં.

ભલે   દોસ્તી  કરી   લીધી સરિતાએ   ભાન-ભુલી ને,
મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં.

-વિશ્વદીપ બારડ

 

શીર્ષક  શૂન્ય કૃતિ, પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે પણ એકે એક  મિસરો જરી ઝીણી નજરે જોઈ  તો સંવેદનાનો વ્યાપ આવે.
અહી તો મતલો  જ અધિક ધ્યાનાર્હ છે-‘નભના નગર નિકળ્યા’…


ગુજરાતી કાવ્યસાહિત્યમાં  નગરકાવ્યો ઘણા છે. ત્યાં નગરની અંદર નભ વાણાયું, વર્ણવાયું મળે કદી, પણ  અહીં તો કવિએ નભના નગરને  નીકળતાં વર્ણવ્યા છે.સિટી ઑવર સ્કાય. ‘નીકળ્યાં’ લખ્યું છે તે ઉપરથી એક નહિ અનેક નગરોની વાત છે.
નભ નક્કર નથી, વાદળસભર એક પ્રકારનો અવકાશ જ છે ક્યારેક પ્રવાહી હોવાનો અભાસ આપે. નભ અવકાશ રૂપે સ્થિર લાગે અને અભ્રની ગતિથી ચલિત લાગે. આમાં નગર નિકળ્યાં આલેખી ભાવકમાં  કુતુહલ રોપ્યું કે આ નગરો નીકળીને ક્યાં જશે ? પણ ઉત્તરાર્ધ કડી એનું શમન કરે છે ‘તારલા સૌ જોવા નીકળ્યાં’. નભનગરો નીકળવાની આશ્ર્યકારક ઘટનાને તારકો સૌ જોવા નિકળ્યાં. એનું પરિણામ શું આવ્યું ? શેરીના શ્વાસ રુંધાયા,શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
ઉધ્વ આકાશ સાથે સકલ તારકો નીકળી પડે ત્યારે નીચે પૃથ્વીવાસી શ્વાન ભયભીત બની ભસવા જ માંડેને. વળી એમનું ભસવાનું શેરીના શ્વાસ  રુંધામણ પછીનું  રિએકશન છે. નભનું નગર રૂપે અચાનક નીકળી પડવું અને એની લગોલગ તારલાનું જોવા નીકળવું-જેટલું સ્વભાવિક છે એટલું જ સાંકડી શેરીના શ્વાસનું રુંધાવું  ને શ્વાનોનું ભસવું સહજ છે.

કવિની ખૂબી મતલામાં ભરી છે . બૃહદ વ્યાપક આકાશને , સંકીર્ણ શેરી-શ્વાનની નક્કર વાસ્વિકતા સાથે સંકલિત કરી આપી.

બીજો શે’ર નાયકની આત્મલક્ષી-આવારા આનિકેતનાનો અંદાજ આપેછે-‘ક્યાં હતું મારું અહીં કોઈ  ઠેકાણું આ શહેરમાં ?’ બીજી  તર્ક પ્રશ્નાર્થી છે ‘ઝાંઝવાના જળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં?’ અત્રે ‘ઝાંઝવાના જળ  પ્રયોગથી નભ  તેમજ નગરને પરોક્ષ રીતિર મૃગજળ ક્વ્યાં છે.

મત્લા બાદ લગભગ દરેક શે’ર સ્વતંત્ર છે. ત્રીજામાં , નાયકને સગાવહાલાંની  અપેક્ષા રાખતો દર્શાવ્યો છે. અપેક્ષા હતી એટલે તો જિંદગી-ભર સગા-સંબંધીની ખુશામત કરી. પણ અંતે પરિણામ ?
‘કાંધો  આપવા એ ઘેરથી બહુ  મોડા નીકળ્યાં’
‘બહું મોડા ‘ નીકળવાની  પ્રસ્તુતિ ગઝલીયતનો સામાન્ય મિજાજ દર્શાવે છે. જિંદગી આખી ખુશામત કરી કરી મરી ગયેલને સ્મશાન સગાં કાંધો  આપવા તો ગયાં પણ બહુ મોડા નીકળ્યાં ઘેરથી ! વાહ…

‘ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન -ભૂલીને ‘
(અહીં સરિતા, ભાનભૂલી ભોળી માનવસુતા રૂપે પ્રત્યક્ષ થઈ)

ત્રીજા શે’રની ‘મોડી પડવાની ઘટના મકતામાં રિપીટ કરીને રચનાનો પ્રભાવ અલ્પ કર્યો લાગશે-‘મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં’.(નીકળ્યાં’નો રદીફ સચવાયો છે સતત, પણ એટલું જ … વિશેષ કંઈ નહીં)

પ્રસ્તુત કૃતિ કવિ વિશ્વદીપ  બારડને મત્લાના જોર ઉપર જ ધન્યવાદ પાત્ર ઠરાવે એવી રચાઈ છે. ‘નભમાં નગર” અલકાનગરીની સ્મૃતિ કોઈક સુજ્ઞોને રણઝણાવશે, કદાચ.

-રાધેશ્યામ શર્મા -જુલાઈ-૨૦૦૭ ‘તાદર્થ્ય’ મેગેઝીન, ગુજરાત

ઓગસ્ટ 16, 2007 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

હાલ્યની માહતર થાઈ……

 confidence11.jpg

 હાલ્યની માહતર થાઈ, અરજણિયા, હાલ્યની.

દિ બધો શીમમાં પાટકી પાટકીને
ઘરે  આવીઈ હાંજ હમે
 એના કરતાં ખુરહીમાં બેહી રેવું, ભાઈ,
ઈ તો કોને નો ગમે, અરજણિયા,હાલ્યની.

ગાયું  સારિયું ને ભેહું સારિયું ને વળી
સાર્યા મોટા મોટા ઢોર;
એમાં તો હું મોટો મીર મારવો’તો
 ઓલ્યાં સારવાં નાનકડા સોરાં, અરજણિયા.

ફડ દઈને ભાળ્યું, ડાંગ મારીઈ તો
ડોબાંય  હાલે ઝટ;
ઈ ડાંગ આગળ સોકરાંના દેન હું,
ઈ તો હાલે હીધા હટ રે, અરજણિયા.

વેપારી માહતર ને ખેડુય માહતર
ને માહતર ભાણો ભુવો;
કાઢી મૂકેલ ઓલ્યો ટભલો ટપાલી-
ઈ યે માહતર થઈ ને મૂઓ, અરજણિયા.

હરાદ હરાવશું નેં સોડીયું પરણાવશુ
ને વાસશું હતનારણની કથા;
(આ) પેટનો ગુંજારો  એમ કાઢશું,
આપણે બીજી હું તથ્યા,અરજણિયા.

મોટા ગામથી ઓલ્યો શાબ્ય આવે,
 એને હારું હારું ખાધાના હેવા;
એના મોઢામાં લાડવા ઠાંહશું
ઈ તો રાજી રાજી થઈ જાય એવા, અરજણિયા.

હાલતી નિહાળે સોરે બેહશું
ને વાતુંમાં કાઢશું દનિયાં,
મોટા ગામમાં જો બદલી કરશે
રાખશું રે  ઠુંહણિયા,અરજણિયા.

(એક ભરવાડનો મનોરથ)
કેવળ નિદૉષ વિનોદ છે. કોઈને માટે દંશ નથી.
-હરીહર ભટ્ટ (૦૧-૦૫-૧૮૯૫-૧૦-૦૩-૧૯૭૮)

મે 7, 2007 Posted by | ગઝલ અને ગીત, ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

મેં એક શાહજાદી જોઈ હતી…

 15053qi93blasto1.gif

 શાંત  ઝરૂખે  વાટ નીરખતી રૂપની રાણી જોઈ  હતી,
                મેં એક શાહજાદી જોઈ હતી.
એના હાથની મેંદી હસતી’તી
                        એના આંખનું કાજળ હસતું’તું;
એક નાનું સરખું ઉપવન જાણે
                              મૌસમ જોઈ વિકસતું’તું.
એના સ્મિતમાં સો સો ગીત હતા
                  એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયાની હતી લગન
                         એની પગરવ સાથે પ્રિત હતી.
એણે યાદના આસોપાલવથી
                       એક સ્વપ્ન-મહેલ શણગાર્યો’તો;
જરા નજરને નીચી રાખીને
                          એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઊછળતી’તી;
                ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો
                            બહુ પ્યારભર્યુ શરમાતી’તી.
એને યૌવનની આશિષ હતી
                            એની સર્વ બલાઓ દૂર હતી;
એના પ્રેમમાં ભાગીદાર થવા
                            ખુદ કૂદરત પણ આતુર હતી.

સૈફ પાલનપુરી(૩૦-૦૮-૧૯૨૩-૦૭-૦૫-૧૯૮૦) સૈફુદીન ખારાવાલા.સૈફની ગઝલ વિવેચનની મોહતાજ નથી. એ પ્રત્યક્ષ અને સ્વયંસ્પષ્ટ છે. ગઝલના સ્વરૂપની સ્વમાનભેર આબરૂ જાળવનાર આ શાયરની શાયરીનો મિજાજ પણ જાણવા, માણવા અને પ્રમાણવા જેવો છે. દુબારા કે ઈર્શાદની વચ્ચે એમની ગઝલ ગૂંગળાઈ જતી નથી. પણ આપમેળે એ ખીલે છે અને ખૂલે છે. એમના કાવ્યસંગ્રહ’ઝરૂખો’ અને  હીચકો.
                                   

મે 2, 2007 Posted by | ગઝલ અને ગીત, ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

શંકર નહી આવે-જલન માતરી

 yp8zcaga2d64capv0vxzcakna0xzcasmnks8cad6o0tkca1nyopyca4cr5jkcajgunn1ca319np1caazobbcca6i61p0caem6lsocaeyaq25ca0yq3ngcaev4c0scaui4tfdcakx0t26cadljhaxca0yhbth.jpg

 દુઃખી   થવાને   માટે   કોઈ ધરતી   પર   નહીં   આવે,
હવે   સદીઓ    જશે   ને   કોઈ પયગમ્બર  નહીં  આવે.

છે    મસ્તીખોર   કિન્તુ   દિલનો    છે પથ્થર  નહી આવે,
સરિતાને   કદી   ઘર     આંગણે    સાગર    નહીં      આવે.

ચમનને   આંખમાં   લઈને   નીકળશો    જો  ચમનમાંથી,
નહીં   આવે    નજરમાં    જંગલો,    પાધર   નહીં     આવે.

અનુભવ   પરથી   દુનિયાના, તું   જો   મળશે ક્યામતમાં,
તને     જોઈ   ધ્રુજારી   આવશે,     આદર     નહીં       આવે.

દુઃખો    આવ્યાં    છે   હમણાં  તો   ફકત બેચાર   સંખ્યામાં,
ભલા   શી     ખાતરી    કે   એ    પછી   લશ્કર નહીં    આવે.

હવે    તો     દોસ્તો    ભેગા   મળી     વ્હેંચીને    પી  નાખો,
જગતનાં   ઝેર     પિવાને    હવે      શંકર     નહીં       આવે.

આ   બળવાખોર   ગઝલો    છોડ લખવાનું  ‘જલન’નહીંતર,
લખીને      રાખજે    અંજામ     તુંજ     સુંદર        નહીં    આવે.

કરીને    માફ      સ્નેહીઓ     ઉઠાવો    એક    બાબત  પર,
‘જલન’ની   લાશ    ઊંચકવા  અહીં     ઈશ્વર    નહીં આવે.


**********************************************

(જલન માતરી- “ગઝલ માટે એવું માનવું છે કે It should be communicated before it is understood.  ગઝલોનો શે’ર પૂરેપૂરો સમજાય, એનું અથૅવિશ્વ અશેષ હાથવગું થાય, એ પહેલા સાંભળ્નારના મોંમાથી ‘વાહ’ નિકળી જવી જોઈ એ. આવા ઘણા શે’ર જલનશાહેબની ગઝલોમાંથી મળી આવે છે.
               જલનસાહેબની તમામ ગઝલો પરંપરાપ્રિય વિષય અને ભાષા સાથે પનારો પાડે છે. સદ્ય પ્રત્યાનક્ષમતા એ એમની ગઝલનું, આથી વિલક્ષણ તત્વ બની રહે છે. એમની ગઝલની ભાષાપરંપરા સાથે જોડાયેલી છે છતાં એમના વિચારો પરંપરાને તોડનારા છે. જડ, બુઠ્ઠા, ક્રુર, અસમાનતાવાળા આ સમાજની રચના અને એના રચયિતા બેઉ સામે એમનો આક્રોશ સ્પષ્ટ છે.”-ચિનુ મોદી))  

એપ્રિલ 24, 2007 Posted by | ગઝલ અને ગીત, ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

આયખું નાનું ને…- અનિલ કડકિયા

image0061.gif 

 આયખું  નાનું   મને  ઓરતા અપાર,
નાનકડી નાવ ને સામે કેવો પારાવાર.     
                                  આયખું નાનું ને…

કોમળ   આ કૂંપળ  ને માથે  આકાશ,
ઝંખે    સૂરજમુખી   સૂરજ -સહવાસ,
હું   તો  છું  રાત  અને    ઝંખું સવાર.
                           આયખું નાનું ને…

માનવની  વચ્ચે હું  શોધું છું  માધવ,
શબરી  પણ  ઝંખે છે પોતાનો રાઘવ,
ચારેબાજું   ભીંત મારે ખોલવા છે દ્વાર.

                                  આયખું નાનું ને…


 

એપ્રિલ 1, 2007 Posted by | કાવ્ય, ગઝલ અને ગીત | 4 ટિપ્પણીઓ

આંખ

thumbnailcae42o27.jpg 

કાળપર નજર રાખતી આંખે,ઈતિહાસને બદલતો જોયો,
સ્વગૅ ને ધરતી પર, વિનાશનો  ઓકતો  અંગાર જોયો.

હાક મારે પૃથ્વી ધ્રજે ,એ  લંકેશ્વર ધૂળમાં રઝળતો જોયો,
સમ્રાટ  સિંકદર  ન રહ્યો, હિટલર ને કાળ ભરખતો જોયો.

અહિંસાના ફરીસ્તાને અહીં ગોળીના ઘાવથી મારતો જોયો,
કોણે  કરી છે  પરવા? હિંસાનો  દોર  અહીં ચાલતો જોયો.

જોતી  રહીં એ  કાળને , બ્રહ્માંડમાં  કાયમ ચાલતો જોયો,
“હશે  કોણ  કાલે ?”   આવું  ભવિષ્ય એણે ભાખતો જોયો.

માર્ચ 8, 2007 Posted by | ગઝલ અને ગીત | 3 ટિપ્પણીઓ