"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ન માની લે

assorto_ranpix_0261.jpg 

જીવન  મારું   મહેકેં   તો  મને   અત્તર ન     માની  લે,
નિહાળી મારું   મન   મોટું    મને સાગર ન   માની લે.

હંમેશા   ફૂલ  જેવા  થઈ નથી   જિવાતું આ  જગતમાં,
સખત  બનવું પડે છે મારે  તો તું પથ્થર ન માની લે.

તમારી     પારખું    દ્રષ્ટીનું     પણ   છે   પારખું    આજે,
હું   પાણીદાર     મોતી     છું,    મને  કંકર   ન માની લે.

કર્યુ   છે  ડોકીયું  તેં   કયાં કદી મુજ  શ્યામ ભીતરમાં?
હું   જો  દેખાવું   સુંદર   તો    મને    સુંદર ન  માની લે.

જે   હૈયે   હોય   છે   તેને     ન     હોઠે   આવવા  દઉં  છું,
મધુર   મારા      વચનને, તારો  તું આદર ન  માની લે.

કહ્યું  માનું   છું  ડાહ્યાનું –     વખત   વરતીને  ચાલું છું,
જો   બેસું   સમસમીને  તો        મને કાયર ન માની લે.

જનમ   સાથે  જ  જગને    કાજ     હું  પેગામ  લાવ્યો છું,
છતાં  એ      વાત પરથી  મુજને  પેગમ્બર ન માની લે.

કૃપાથી એની,    ધારું    તો હું જ ‘કિસ્મત’ ને  વાંચી દઉં,
પરંતુ   ડર     છે   મુજને   ક્યાંક      તું ઈશ્વર ન માની લે.

-કિસ્મત કુરેશી

નવેમ્બર 22, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ