"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક મૃત્યુ બરાબર કેટલા ડૂસકા ?

 
                               મૃત્યુ નામના સાવ જ અપરિચિત ગામમાં પ્રવેશતાં પહેલાં પાદર પર ઊભેલો માણસ પોતાના જીવનપથ પર પાછોતરી નજર નાખે તો કદાચ જીવનનું ઓડિટ પ્રગટ થાય એમ બને. ન કોઈ છેતરપિંડી અને ન કોઈ સજા!બસ જાતનો હિસાબ જાત સાથે! ઉપનિષદના ઋષિએ આવા આખરી ઑડિટ માટે શબ્દો પ્રયોજ્યા: “ક્રતો સ્મર ક્ર્તં સમર! હે જિવાત્મા, કરેલા કર્મોનું સ્મરણ કર.” નોર્મન કઝિન્સ  કહેછે: મૃત્યુ એ મોટું નુકશાન નથી, પરંતુ આપને જીવીએ ત્યારે જે કશું ભીતર મટી જાય છે એ મોટું નુકશાન છે,”

                              કોઈ પુષ્પ સંધ્યા સમયે ખરી પડે ત્યારે બીજાં પુષ્પો રડારોળ નથી કરતાં.ખીલવું અને ખરી પડવુ એ એક જ સિક્કાની બે બાજુઓ છે.ખરી પડે તે પહેલાં પુષ્પ પોતાની સુગંધનું વિસર્જન કરતું જાય છે.મૃત્યુની પ્રતિક્ષા કરવા સિવાય બીજો કોઈજ એજન્ડા ન હોય ત્યારે માણસ જે સ્વસ્થતા જાળવે તે જ એના જીવનની ખરી કમાણી ગણાય. આવી રહેલા મૃત્યુને ભેટવાની પુરી તૈયારી કરીને બેઠેલો માણસ જુદો પડી આવે છે.આ જગતમાં માંદગી જેવી બીજી કોઈ યુનિવર્સિટી ન હોય શકે અને મૃત્યુ જેવો કોઈ મહાન શિક્ષક ન હોય શકે.

                               મૃત્યુને કાકાસાહેબ કાલેલકરે ‘પરમ સખા” ગાણાવ્યુ હતું. મૃત્યુનું સ્વાગત કરે તે મહાત્મા ગણાય, પરંતુ કવિ જયંતિભાઈ એવો કોઈ ફાંફોધરાવતા ન હતા. એ કવિને “અંકાશી નોતરા” મળ્યાં ત્યારે શું બન્યું?

                           એ ન અંકાશી આવ્યાં રે નોતરાં
                                      જીવ હવે મેલો આ ફોલવાનું ફોતરાં!
                           ખંખેરા ધૂળ બધી નાખો ને મેલ ચડ્યા !
                           ચોખ્ખી ચનક કરી જાતને આ ઓચ્છવમાં
                                      અણથંભ્યા રમવા દો રંગમાં!
                           ઈજન આવ્યાં રે આગોતરાં,
                           જીવ દિયો ફંગોળી જર્જર આ જોતરાં!

                            માણસ મૃત્યુ પામે છે અને ડૂસકાંની પરનાળ છલકાઈ જાય છે. એક મૃત્યુ બરાબર કેટલાં ડૂસકા? એક ડૂસકું બરાબર કેટલાં આસું? એક અશ્રુબિંદુ બરાબર કેટલી લાગણી?
સ્વજનના મૃત્યુ વખતે ડૂસકાં તો ઘણાં સંભળાય છે, પરંતુ કશાય અવાજવિના કો’ક અજાણી આંખના ખૂણેથી તપકી પડેલું એક ખારું અશ્રુબિંદુ જગતની સઘળી મીઠાશનો સરવાળો અને ગુણાકાર લઈને ગાલ પર આવીને અટકી જતું હોય છે. પ્રિયજનની એ આંખને કદાચ મને રડી પડવાની છૂટ નહી હોય. એ અશ્રુબિંદુમાં ઘૂઘવતા લાગણીના સમંદરને પામવામાં આખું જીવન ટુંકું પડે એમ બને.

                           મૃત્યુ પછી ભલભલા મોટા માણસના શબને ભોંય પર રાખવાનો રિવાજ છે. મૃત્યુ સ્વભાવે સમાજવાદી ઘટના ગણાય. અગ્નિપથ પર સૌ સરખાં !  કફનમાં ગજવું નથી હોતું.   કેટલાય દુ:ખી લોકોને મૃત્યુ મુક્ત કરે છે.

                           ભગવાન બુદ્ધે શ્રમણોને સલાહ આપી હતી:   ‘ જો માણસ મૃત્યુના સ્મરણને જાલવે અને કેવળે તો એનું ફળ ઘણું લાભપ્રદ બને. એને છેવાડે  અમૃત્યુની પ્રાપ્તિ થાય. તેથી તમારે સતત મૃત્યુનું સ્મરણ જાળવી રાખ્વું જોઈએ.’ તથાગતના આખરી શબ્દો હતા: તમે સૌ બુદ્ધ છો.’

-ગુણવંત શાહ (કોકરવરણો તડકો)
સંકલન: વિશ્વદીપ બારડ

જાન્યુઆરી 13, 2010 - Posted by | નિબંધ, વાચકને ગમતું

1 ટીકા »

  1. “મૃત્યુનું સ્મરણ જાળવી રાખ્વું જોઈએ.”
    That the last contact we have in this life!

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    ટિપ્પણી by dhavalrajgeera | જાન્યુઆરી 13, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.