પથ્થરથી
શિકાયત ભૂલથી પણ નથી કરતો સિતમગરથી,
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.
ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરીશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સંમદરથી?
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.
જગતનાં સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશ અમારા સ્નેહ-સાગરથી.
પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થતું જે ઈશ્વરથી.
મુસાફર તો વિખૂટા થાય છે ક્યારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખૂટી થઈ મુસાફરથી.
ગરીબીમાંયે ખુદારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તવંગર’રાઝ’શી નિસ્બત તવંગરથી!
-સૈયદ’રાઝ’
આખી ગઝલ સરસ છે આફરીન આ પંક્તિ ઉપર
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.
સપના