જીવલેણ દર્દ છે
જીવલેણ દર્દ છે,જીવ લઈ જશે, એનો સ્વભાવ છે,
દવા-દારૂ સાથે કરી લીધી દોસ્તી, એનો સ્વભાવ છે,
મૃત્યુ સાથે મળી કરે કેવી મજાક! એનો સ્વભાવ છે,
ભૂવો ભાગ્યો,વૈદ્ય થાક્યો મૂળવાટી ,એનો સ્વભાવ છે.
સગા-સંબંધી સૌ સેવા કરી થાક્યા,એનો સ્વભાવ છે,
આતમ અંદર બળી બળી થાક્યો! એનો સ્વભાવ છે.
ગળી ગળી શરીર થયું હાડ-પિંજર,એનો સ્વભાવ છે,
આંખમાં આંસુ, કશું કહી ના શકે, એનો સ્વભાવ છે.
આ દર્દ આવી કરી છે મરણ પથારી,એનો સ્વભાવ છે,
મરસે પણ સાથ સાથ સંગાથ દઈ,એનો સ્વભાવ છે.
ભૂલી જાઉં છું
ઘર કદી, શેરી કદી, હું ગામ ભૂલી જાઉં છું,
કોઈ કોઈ વાર મારું નામ ભૂલી જાઉં છું.
આપને જ્યારે મળું હું ખુબ રાજી થાઉં છું,
રૂબરુ આવ્યો હતો શું કામ ! ભૂલી જાઉં છું.
આભના તારા થયાં,શું એ સ્વજન પાછા ફરે?
‘રાહ જોવી’, વ્યર્થ છે,વ્યાયામ ભૂલી જાઉં છું.
કોઈ નકશાથી નથી સંબંધ; મારે તો જવું,
જે તરફ રસ્તો નથી; અંજામ ભૂલી જાઉં છું.
હો જવાનું વસ્તીમાં ને નીકળું વેરાનમાં,
આવશે આવો વચે મુકામ ભૂલી જાઉં છું.
હું વિખરાઈ જતો પડઘો બનીને ખીણમાં,
શબ્દ સાથે પ્રેમનું પરિણામ ભૂલી જાઉં છું.
-હર્ષદ ચંદારાણા
બે સુંદર કાવ્યો..સુમન અજમેરી
માણસ ગીતા
અમે આંધી વચ્ચે માણસ વાવ્યો
માણસ ત્યાં પણ ઊગી ગયો,
અમે પાવકની જવાળામાં એને
ઝબોળ્યો, માણસ પાકી ગયો.
ગિરિ-શૃંગથી દઈ હડસેલો
ફેંકાયો એને ખીણ મહીં,
વણ વસંતે બાગ-બાગ એ
પુષ્પ-પાંખે ખીલી ગયો.
લોઢ લોઢ ઊછળે મોજાં દઈ
ભીંસ કચડે, છુંદે, ડુબાડે
આ કિનારે દઈ ડૂબકી એ
સામા કિનારે સરી ગયો.
ઝરણમાં નાખ્યો, જળચર થઈ ગ્યો,
તરણે ફેંક્યો ભૂચર થ્યો.
ને ઉછાળ્યો નભ-પ્રાંગણમાં
ખેચર થઈ નર ઊડી ગયો.
મેં માણસને ધનુમાં તાક્યો
લક્ષ્ય સઘળાં વીધીં ગયો
હિમશિખા-શો ચળકી ચળકી
નવતમ જલધર બની ગયો.
ઊકળી ઉરની અશ્રુધારામાં
ગીત થઈને ગુંજી ગયો
આહે કેવા વિપરીત બળહો
હળદમ નીખરી ઊજળી ગયો.
સૂરજ જ્વાળા -શો સળગી
જગને આભા ધરી ગયો.
હાર્યા જુગારે ભવના દા’ માં
પત્તા જયકર ચીપી ગયો.
હર કાંડમાં, હર રંગમાં
જૌહર નિજનું દીપી ગયો
લીધી સુંવાળપ કોકે પારસી
પ્રાણ-પ્રાણથી પીગળી ગયો.
ઈશ્વરની કરતૂતી સામે
પ્રશ્ન બનીને ખૂંપી ગયો
થૈ સવાયો નિજ કર્યોથી
બ્રહ્મા ને પણ પૂગી ગયો.
કાળગતી-શી રેતધરીમાં
ડગમગ ડગલી ચણી ગયો,
અજર-અમર શું જીવ્યું જીવી
નિજ કર્મોનું અમૃત પીઈ ગયો.
***************************************
ના નસીબ પાંસરા
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.
સ્થળ:ગંગા જળીયો-તળાવને કિનારે,ભાવનગર
***********************************
તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,
હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.
ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;
લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.
આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,
મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.
રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,
દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.
બરકો,તો હોંકારો દેશે આખું ગામ,
બરકો,તો તનમનથી આવીશું કામ;
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.
-ડૉ.ફિરદૌસ દેખૈયા , નાઝિર દેખેયાના દીકરા છે..ભાવનગમાં રહે છે અને ગળે પણ સરસ્વતિ વસી છે અને વાયોલીન પણ સરસ વાગાડે છે..વ્યસાયે ડોકટર છે..
ગુજરાતી કહેવતો
અ
અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.
અક્કરમીનો પડિયો કાણો (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)
અધુરો ઘડો છલકાય ઘણો
અપના હાથ જગન્નાથ
અંતે ધર્મો જય, પાપો ક્ષય.
અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો
અન્ન એવો ઓડકાર
અતિની ગતિ નહીં
આ
આપત્તિ તો કસોટી છે.
આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ.
આપ ભલા તો જગ ભલા.
આપશો તેવું પામશો.
આપીને માગે તેની અક્કલ જાય આઘે.
આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.
આપે તે સુંવાળો, ને બીજે કાખનો મુંવાળો.
આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.
આપ સમાન બળ નહિ, ને મેઘ સમાન જળ નહિ.
આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.
આપ સુખી તો જગ સુખી.
આભાસથીય સરી જવાય છે, પડછાયો બની ન આવો, ઝાકળ સમ જીવી લઇશુ, સવારની ક્ષણો લઇ આવો.
આગ લાગે ત્યારે કુવો ન ખોદાય
આપ સમાન બળ નહિ
આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો
આવડે નહી ઘેઁશ ને રાઁધવા પેસ.
આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી
ઈ
ઈશ્વર જે કરે તે સારા કાજે.
ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.
ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.
ઉ
ઉકરડાને વધતાં વાર શી?
ઉજળું એટલું દુધ નહિ.
ઉજળે લુગડે ડાઘ બેસે.
ઉઠ પ્હાણા પગ પર.
ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.
ઉતર્યો અમલદાર કોડીનો. ઉજ્જડ ગામે એરંડો પ્રધાન.
ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ
ઊ
ઊંટના અઢારેય અંગ વાંકા.
ઊંટ કાઢતા બકરુ પેઠુ
એ
એના (ઈશ્વરનાં) ઘરે દેર છે અંધેર નથી.
ઓ
ઓળખાણ સૌથી મોટી ખાણ.
ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.
ક
કુંડુ કથરોટને ન નડે
કપાળે કપાળે જુદી મતિ.
કીડીને કણ ને હાથીને મણ.
કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.
કડવુ ઓસડ માતા જ પાય ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )
કાગા વહાલુ કુંભજળ, સ્ત્રીને વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુ, ગદ્દા વહાલી લાત, મુંડ મુંડાવે તીન ગુણ, મિટે સીરકી ખાજ, ખાનેકું લડ્ડુ મિલે, લોક કહે મહારાજ.
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯
તસ્વીર-૧: ડાબી બાજુ:સાહિત્ય સરિતાના કવિમિત્રો-શ્રોતાજનો
તસ્વીર-૨ જમણી બાજુથી: પ્રવિણાબેન(સભાસંચાલક), વિશ્વદીપ(સંચાલક), કવિશ્રીધીરૂભાઈ , સ્વ. કવિશ્રી પરમાર સાહેબના પત્નિ ફાતિમાબેન, પુત્ર સિરાજ)
****************************************************************************************
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯
હ્યુસ્ટનના આંગણે ગુજરાતી સાહિત્ય સરિતા ફાલી-ફૂલી રહી છે.વેગ વધતો જાય છે,ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યને પ્રાધાન્ય આપવા પુરતા પ્રયાસો થાય છે . એજ લક્ષને ધ્યાનમાં રાખતા
માસિક બેઠકમાં સ્વરચિત કાવ્યો, ગઝલનું પઠન થાય, સાથો સાથ હ્યુસ્ટનના શ્રોત્તાજનો સારી સંખ્યામાં હાજરી આપે છે, સપ્ટેમબરની ૨૦ તારીખે કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટની “ડેલી”માં બેઠક રાખવામાં આવેલ. એમની યજમાનગીરી નીચે હ્યુસ્ટન શ્રોત્તાજનો એ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ, બેઠકનો પ્રારંભ ડૉ.ઈન્દુબેન શાહે સરસ્વતિની પ્રાર્થનાથી કરેલ. શ્રી પ્રદીપભાઈએ સૌ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યુ.આજની બેઠકમા સાહિત્ય સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડે આજની સભા સંચાલન કરવા કવિયત્રી પ્રવિણબેન કડકિયાને વિનંતી કરી. સભાની શરૂઆત સમયને લક્ષમાં રાખી પ્રવિણાબેને દેવિકાબેનને પોતાની કૃતી રજૂ કરવા વિનંતી કરી. સમયને ઋતુને લક્ષમાં રાખી આ વખતનો વિષય હતો..નવરાત્રી નવલી રાત્રીના ગરબા…આંગણે આવી રહેલ..પાનખર ઋતું..દુહા સાથે ગરબા-ગીતની રમઝટ અને એક પછી એક સ્વરચિત કાવ્યો -ગીતો અને ગરબા રજૂ કરવા કવિશ્રી પ્રદીપભાઈ,ધીરુભાઇ શાહ,ફતેહઅલી ચતુર,મનોજ મહેતા,ઈન્દુબેન શાહ,સુરેશ બક્ષી,વિશ્વદીપ બારડ, નીરા શાહ, હેમંત ગજરાવાલા, નવીન બેંકર,પ્રવિણાબેન કડકિયા અને દીપક ભટ્ટે ..”પાનખર”ને સુંદર રીતે રજૂ કરતા કહ્યું:માનવીના જીવનમાં..”પાનખર” એક એવી ઋતુ છે..જે આવે છે, જાય છે. એ તો માત્ર પ્રતિક રૂપ છે..સમજે તો શાણપણ રૂપ છે..પાનખરને લગતા ઘણાં સારા કાવ્યોની રસધારામાં ડુબતા શ્રોતાજનોએ મનભર આનંદ માણ્યો અને કવિઓને તાલીઓના ગડ્ગડાટથી વધાવી લીધા.
બીજા દોરમાં હ્યુસ્ટનના જાણીતા-માનીતા લાડલા સ્વ.સૂફી કવિ મહમંદઅલી પરમારનું “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન, ગુજરાતી સાહિત્યના પ્રોઢ-વડીલ કવિશ્રી ધીરૂભા શાહના વરદ હસ્તે પરમાર સાહેબની ધર્મપત્નિ ફાતિમાબેન અને પુત્ર સિરાજ પરમારના હાજરીમાં સૌ શ્રોતાજનોએ વધાવી લીધેલ. વિશ્વદીપ બારડે અને ફાતિમાબેને સ્વ.પરમાર સહેબના બે કાવ્યોનું પઠન કરેલ..નાત,જાત અને ધર્મના વાડાથી કઈ દૂર એવા એક અલગારી, બ્રહ્મજ્ઞાની કવિની કવ્ય રચનાતો જુઓ.
તું સુકર્મો કરી લેજે ‘અલી’ આજે ને અત્યારે
જે સુકર્મો કરે છે તે અસલમાં બ્રહ્મજ્ઞાની છે..
ઈશ્વરના નામો તો આપણે પાડ્યા છે..એ તો એક છે..
” ઓ ઈશ્વર, એ પ્રભુ, કે અલ્લાહ ક્યાં નામો લઈ પુજું
ભૂલી નામોના ઝગડા, મે ખરી ભક્તિ કરેલી છે.”
આધ્યાત્મિક કવિશ્રી સ્વ.પરમાર સાહેબનું આ નવ-પ્રકાશિત પુસ્તક”આધ્યાત્મિક કાવ્યો”.નું પુસ્તક બેઠકમાં પધારેલા દરેક વ્યક્તિને ભેટ અને યાદ રૂપે પરમાર કુટુંબે આપેલ. ગુજરાતી સાહિત્ય સરિતાએ એક પ્રખર ફીલસુફ,બ્રહ્મજ્ઞાની કવિને સદા યાદ રાખશે..એ નથી પણ એમની કવિતા સદા ગુજરાતી સાહિત્યમાં જીવંત રહેશે. આજની સભામાં ભારતથી પધારેલ “સંદેશ”ના સિનયર તંત્રી અને પત્રકાર શ્રી જયકાંતભાઈ પટેલનું સાહિત્ય સરિતામાં સ્વાગત કરેલ. એમણે નિવૃતી અને જીવન જીવવા “પૉઝીટીવ”લક્ષ્ને કેન્દ્રીત રાખી કહ્યુ હતું: “મન માંદુ તો તન માંદું”..માનવીએ સભાનતા સાથે જીવવું જોઈએ. વિશ્વદીપે સાહિત્ય સરિતાના યુવાન કવિ શ્રી વિશાલ મોનપરાના કાર્યની બિરદાવતા કહ્યું” ગુજરાતી ભાષા સાથે ભારતની અન્ય આઠ, આઠ ભાષામાં લખી શકાય એવું પ્રમૂખસ્વામી-પેડ રજૂ કરી. આપણાં સાહિત્ય-જગતમાં એક સારી સફળતા પ્રાપ્ત કરી તેનું અમો સૌને ગૌરવ છે..એમની આગવી પ્રગતી માટે મારી હાર્દિક શુભેચ્છા.
સભાના અંતમાં સાહિત્ય સરિતાના સંચાલક વિશ્વદીપે કહ્યું:” યજમાન શ્રી પ્રદીપભાઈ અને રમાબેન બ્રહ્મભટ્ટનો આભાર તેમજ સુંદર વ્યવસ્થા સાથે સૌ મહેમાનોને અલ્પાહાર પિરસવા બદલ સાહિત્ય સરિતા આપની આભારી છે .સભાસંચાલક કવિયત્રી પ્રવિણાબેન કડકિયાએ સમયની સાચવણી સાથે સભાનું સુંદર સંચાલનની કામગીરી કરવા બદલ આભાર”.
અહેવાલ: વિશ્વદીપ બારડ
એક ગઝલ-મનહર મોદી
અતિ ઉદાસ ચહેરા ઉપર લીલી રાતો,
ઊગી, ઉગાડી ગઈ છે પ્રભાત ખરબચડાં.
પછી એ યાદ નથી કેટલા થયા તેઓ,
અડી ગયા છે પવન પાંચ,સાત ખરબચડાં.
વહી રહ્યાં છે સમયમાં અસંખ્ય આશયથી,
નિરાળાં પાણી-નદીના વિચાર ખરબચડાં.
જગા જગાએ કોતરે છે નામ પોતાના,
મળે ના કોઈને આવા અભાવ ખરબચડાં.
મન સુંઘી ગયાં છે બાગમાં બપોરાતાં,
રહે મઝામાં બધાંયે ગુલાબ ખરબચડાં.
પૂછું તો કેમ પૂંછું એક એક જગ્યાને,
મળે છે એકસામટા જવાબ ખરબચડાં.
રમી રહ્યાં છે સુંવાળી ઉદાસ આંખમાં,
અરણ્ય જેમ અડાબીડ ઘાસ ખરબચડાં.
ભમે છે શેરી શેરીએ ગલી ગલી રસ્તે,
અપાર ઘેન ઘેનમાં મિજાજા ખરબચડાં.
ગયા જે પહાડમાં ઝરણાંનો ભેજ ઓળંગી,
બની ગયા છે વધારે અવાજ ખરબચડાં.
બને છે આમ તેમ કેટ કેટલા રસ્તા!
પણે પણે પણે..ણે અંધકાર ખરબચડાં.
તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?
ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?
જાગ મનવા નહીતર હવે કુદરત જાગી રહી છે;
ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,
જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;
ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,
જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;
ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,
જાગ મનવા, નહીતર હવે કુદરત જગી રહી છે;
-રાજની ટાંક[૧૮-૦૯-૨૦૦૯]
[બચાવો કુદરતી સંપતિ]
લોકગીતના લાડિલા..હેમુ ગઢવી
********************************
જન્મ અને ઓળખ
હેમુભાઈ ગઢવી એ ગુજરાતી લોકસંગીતને ગુંજતુ કરનાર એક અડાભીડ ગાયક,અભિનેતા અને નાટ્યકાર હતાં. તેનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લા નાં સાયલા તાલુકાનાં ઢાંકળિયા ગામે તા.૦૪-૦૯-૧૯૨૯ નાં દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું. તેનાં માતા પિતાનાં સંસ્કારો નાનપણથી હેમુભાઈમાં ઉતર્યા હતાં.
બાળ કલાકાર
લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેને ” ગામડુ મુજને પ્યારૂં ગોકુળ ” પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવી નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ.૧૯૫૫ સુધીમાં વાંકાનેર ની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું. આકાશવાણી રાજકોટમાં યોગદાન
આકાશવાણી રાજકોટનાં ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બન્ને એ હેમુભાઈને નાટક દરમિયાન ખુબજ નજીકથી જોયા હતાં. જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ.૧૯૫૫ ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતાં. તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. આમ તેઓએ ઈ.સ.૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.
ઈ.સ.૧૯૬૨-૬૩ ની સાલમાં કોલંમ્બિયા કંપનીએ તેમની ૭૮ સ્પીકની “સોની હલામણ મે ઉજળી” રેકર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં. આમ ગુજરાતી ભાષાનાં સાહિત્યને પોતાનાં કંઠ દ્વારા વાચા આપનાર હેમુભાઈ તા.૨૦-૦૮-૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીગ વખતે હેમરેજ થવાથી ચકર આવ્યા ને ધરતી ઉપર કાયમને માટે ઢડી પડ્યા અને બધાને અલવિદા કરીને ચાલ્યા ગયા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. આજે પણ તેઓનાં લોકગીતો માણસને તેમની યાદ અપાવે છે. તેમનાં વારસાને આગળ ચલાવનાર તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ હેમુભાઈની જેમજ લોકસંગીતને જીવંત રાખવા માટે લોકગીતો ગાય છે.
સન્માન
- રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર.
- ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર.
- કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રનાં શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર.
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.
- તા.૧૧-૦૮-૧૯૯૮ નાં રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું.
- ****************************************************************
હેમુ ગઢવી એ ગાયેલું ગીત..”મારું વનરાવન છે રુડું..વૈંકુંઠ નહી આવું..સાંભળો”
http://www.youtube.com/watch?v=_05zhC4sNMc (click here)
સૌજન્ય: વિકિપિડિયા
હજારો સૂર્યની આંખો અંજાય જશે!
માનવજાતનો શું ભરોસો?
આ વામન-વાનર જાત
ક્યારે ક્રુર બની..
સકળ સૃષ્ટિને સળગાવી દે.
પછી..એની રાખ..
અખિલ બહ્માંડમાં ઉડ્યા કરશે!
હજારો સૂર્યની આંખો અંજાય જશે!
લોકગીત સાથે ગરબાની રમઝટ..
(સૌજન્ય: ફોટો.સંદેશ)
**************************************************
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી….. હું તો…..
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
*****************************
હે તને જાતાં જોઇ પનઘટની વાટે,
મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું. હે તને …..
કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું. હે તને…..
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું. હે તને…..
રાસે રમતી, આંખને ગમતી પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું. હે તને…..
હે તને જાતાં જોઇ પનઘટની વાટે,
મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું. હે તને …..
*****************************
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર,
જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી કાંબીયું લેરાલેર,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. Continue reading
એક સુંદર ગઝલ-રાજેશ વ્યાસ’મિસ્કીન’
હતી જીવલેણ ઠોકર પણ એ ઠોકરને ભુલી જઈએ,
ઘણાં ફૂલો મળ્યાં એ એક પથ્થરને ભૂલી જઈએ.
ગમે ત્યાં જાવ, ખર્ચો ખૂબ કિંતુ ના મઝા આવે,
શરત છે સાવ સીધી એજ કે ઘરને ભૂલી જઈએ.
પછીથી લાગશે આ જિંદગી અવસર સમી હરપળ,
ફકત માઠા નહીં સારાય અવસરને ભૂલી જઈએ.
હજૂ પણ ક્યાં સુધી નાટક રિસાવાનાં-મનાવાના,
ઊભુ હાથે કર્યું એ દોસ્ત અંતરને ભૂલી જઈએ.
હકીકત એજ છે કે સૂરજ અને અજવાળું સાચા છે,
હવે ઓ કલપ્ના! એ રાતના ડરને ભૂલી જઈએ.
પરિસ્થિતિ નહીં, તો નાખીએ બદલી મન:સ્થિતિ,
ખરેખર દેહ પિંજર છે તો પિંજરને ભૂલી જઈએ.
નથી પૂરી શકાતા પ્રાણ એકે કાર્યમાં ‘મિસ્કીન’,
હવે આ આંધળી શ્રદ્ધા- ઈશ્વરને ભૂલી જઈએ.
-રાજેશ વ્યાસ’મિસ્કીન’
સાચી સમજ….
અસલરૂપે અમે દુનિયાને દેખાઈ નથી શકતા,
બહુ સાદા સરળ હોવાથી સમજાય નથી શકતા.
-‘રાઝ’ નવસારવી
ઈરાનામાં એક વાર ઘોર દરિદ્રતાએ ધામો નાખ્યો હતો. ભૂખ્યાં લોકો ધનિકોને લૂંટવા જહેમત કરતાં. ત્યાંના એક શાહ સોદાગરે આ જાણ્યું ત્યારે તેની ઊંઘ હરામ થઈ ગઈ. તે બીતો બીતો જીવવા લાગ્યો ત્યારે એક દિવસ આ ભયભર્યા જીવનથી કંટાળી તેણે સંપત્તિનો ત્યાગ કર્યો અને બે ટંકનું ભોજન ભિક્ષા દ્વારા મેળવી નિરાંતે ઊંઘી જતો. એક વાર ત્યાંના સંત આઝરનો તેને ભેટો થયો. સંત આઝરે પૂછ્યું,’કેમ છો? પેલા સોદાગરે કહ્યું, જ્યારથી આ ફકીરી સ્વીકારી છે ત્યારથી આનંદ છે, ચેનથી ઊંઘવા માટે જ આ ફકીરી સ્વીકારી છે,’ ત્યારે આઝરે ખૂબ વિચાર કરીને પેલા સોદાગરને કહ્યું,’તમે મોટી ભૂલ કરો છો. ફિકરકી ફાકી કરે ઉસકા નામ ફકીર.’ પેલા સોદાગરને સમજાય ગયું કે પોતાની ફકીરી સ્વાર્થપ્રેરિત છે. પોતે તો પોતાની સલામતી માટે ફકીરી સ્વીકારી છે. સાચો ફકીર તો બીજાંનાં દુ:ખો દૂર કરવા ફકીરી સ્વીકારે છે અને એ શાહ સોદાગરે સંતાઝરના ચરણોમાં માથું ઝુકાવી દીધું.
સૌજન્ય: કુમાર
૯/૧૧..યાદ છે…
તારીખ યાદ છે,
મહિનો યાદ છે,
બે-હજાર એકનું વરસ યાદ છે.
પીઠ પાછળ કરેલો ઘા યાદ છે,
નિર્દોષ ઘવાયા યાદ છે,
હજારોની હત્યા! યાદ છે.
આઠ આઠ વરસ વીતી ગયા,
હૈયામાં કંડારેલી સૌની યાદ છે,
હતો કેવો ગમગીન દિવસ યાદ છે!
*****************************
પરમાત્મા
કોઈની અભાગી મા કે બાપ,
કે વ્હાલસોય દીકરી કે દીકરો,
પતિ કે પત્નિ! કોઈ લાડલી બેન કે ભાઈ,
સૌ કોઈ આવ્યા છે તારે આંગણે,
સદગત આત્માને,
દીધો છે આસરો,
બક્ષી છે પરમશાંતી,
આજ એમની યાદ આવે સૌને..
તું દયાળુ છે,
હિમંત આપજે સૌને,
આ અમેરિકા છે,
વિશ્વના ભાત,ભાતના
લોકો વસે છે અહીં,
સૌને શાંતી,
ભાઈ-ચારાની ભાવના,
એક-મેક મળી સાથે રહે,
એવી ભાવના
આપજે સૌને…
કૂકડો
રાતને અળગી કરે છે કૂકડો,
આંખ કિરણોથી ધુએ છે કૂકડો.
ત્યાં ગયાં ત્યારે કિરણ શિધી શક્યાં,
શહેરના ખૂણે વસે છે કૂકડો.
કેમ દુનિયામાં બધે અંધાર છે ?
સૂર્યને પ્રશ્નો પૂછે છે કૂકડો.
પ્રશ્નના ઉત્તરરૂપે ચારે તરફ,
જ્યોત કિરણોની જુએ છે કૂકડો.
એક બિંદુ તેજનું પામી જઈ,
શિર ઝુકાવીને નમે છે કૂકડો.
તિમિર કેરો ભેદ સમજ્યા પછી,
કંઠને વ્હેતો મૂકે છે કૂકડો.
રાત વીતી ગઈ, હવે ઊઠો’નયન’,
ઊંડે ઊંડે સાદ દે છે કૂકડો.
-મનહર મોદી
પ્રભાતે સૂર્ય ઊગે તે પહેલાં સૃષ્ટિ આખી નીંદરને ખોળે સૂતી હોય છે, સર્વત્ર સૂનકાર વ્યાપ્ત હોય છે-‘ધરા પડી સૂન્કાર’. લોકોના ઊંઘ ભરેલાં નિદ્રિત પોપચે જાગૃતિ લાવવાનું કામ કરે છે કૂકડો. કૂકડો જાગૃતિનો પ્રહરી છે. પ્રભાતના પ્રથમ પહોરનું જાગૃતિ ગીત કૂકડાના કંઠેથી સંભળાય છે. જગતને જગાડનાર, પ્રભાતના આગમનની આલબેલ પોકારનાર કૂકડો પ્રકૃતિનો જાગૃત ચોકીદાર અને વૈતાલિક છે.તેની કૂકડો કૂક ચારે ખૂણે દસેય દિશાઓને ભરી દે છે. આપણે વહેલા ઊઠવા એલાર્મ ઘડિયાળ મૂકીએ છીએ, પ્રકૃતિ કૂકડા દ્વારા એ કામગીરી બજાવડાવે છે. કૂકડાના સ્વમૂખે ગવાયેલું ગીત માનવા જોગ છે.
“જાગો ઊઠો ભોર થઈ છે શૂરા બનો તૈયાર,
સંજાવનનો મંત્ર આ મારો સકલ વેદનો સાર.”
એ જાણે કૂકડાના ગાનનો મર્મ છે.
સૌજન્ય: ઓળખ.
સૂરની આભા : આભા દેસાઇ

શાળાકીય સ્પર્ધા દરમિયાન પ્રદર્શિત કરેલી કુદરતી કલાપ્રતિભા એ નાનકડી છોકરીને સાચા અર્થમાં સક્ષમ કલાકાર બનાવે છે. ઉપરોકત પ્રસંગ પરથી સ્વાભાવિક રીતે એવું થાય કે એ છોકરી નત્યાંગના જ બની હશે, પણ ના, એ ઢબુડી કુશળ ગાયિકા બને છે. એટલા માટે તે ખરા અર્થમાં કલાકાર છે. સાડા પાંચ દાયકા પહેલાની એ ટચુકડી બાળા એટલે હાલમાં ગુજરાતી સુગમ સંગીતની દુનિયામાં ગુંજતું નામ આભા દેસાઇ.
મૂળ પેટલાદના નાગર પરિવારમાં જન્મેલા આભાબહેન દેસાઇનો જન્મ-ઉછેર-અભ્યાસ અમદાવાદમાં થયો. પિતા મુકુલભાઇ રબર બનાવતી ફેકટરીના માલિક અને માતા બ્રહ્મવિધાબહેન અમદાવાદની સ્કૂલમાં પ્રિન્સિપાલ હતાં. આભાબહેને શાળાકીય શિક્ષણ ભકત વલ્લભ ધોળા સ્કૂલમાંથી મેળવ્યું.
તેમણે સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાંથી રસાયણશાસ્ત્ર વિષયમાં બી.એસસી. પાસ કર્યું. કોલેજકાળ દરમિયાન આભાબહેને ઇત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેનાથી તેમનામાં પડેલું કલાનું બીજ વટવૃક્ષ બન્યું. તેમને સંગીતનો સંસ્કારવારસો ગળથૂથીમાંથી મળ્યો છે. દત્તક સંતાન એવા આભા દેસાઇના મૂળ માતા-પિતા ચિદાનંદબહેન અને પ્રમોદરાય ભટ્ટ રેડિયો આર્ટિસ્ટ હતા. એટલે તેઓ ગાયકી તરફ વળ્યા. તેમણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ઇનામો જીત્યા.
આભાબહેને સંગીતની પદ્ધતિસરની તાલીમ લગ્ન પછી મેળવી. ૧૯૭૨માં તેમના લગ્ન ડો. યતીન દેસાઇ સાથે થયા. પરણીને તેઓ મઘ્યપ્રદેશના ઉજજૈન ખાતે ગયા. ત્રણ વર્ષ પછી તેઓ અમદાવાદ પાછા ફર્યા. આભાબહેને શાસ્ત્રીય સંગીતની તાલીમ કલાસાધક કષ્ણકાંત પરીખ અને સુગમ સંગીતની તાલીમ રાસબિહારી દેસાઇ પાસેથી મેળવી. સાથોસાથ પિતાજીની રબર ફેકટરીનું સંચાલન કરવા લાગ્યા. અત્યારે તો આભાબહેન ફેકટરીના વહીવટી કામકાજમાંથી સંપૂર્ણ નિવૃત્ત થઇ ગયા છે.
હાલમાં ફેકટરીનું સંચાલન પુત્ર શાશ્વત દેસાઇ સંભાળે છે. ૫૯ વર્ષીય આભાબહેન પોતાની સૂરીલી યાત્રા વિશે કહે છે, ‘કોલેજકાળ દરમિયાન મેં યૂથ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. ચિનુ મોદી રચિત ગઝલ ‘કયાંક તું છે, કયાં હું છું.’ હરેશ બક્ષીએ સ્વરાંકિત કરી હતી. એ ગઝલ સૌપ્રથમ વાર મેં ગાઇ અને ઇનામ મેળવ્યું હતું. ત્યાર પછી મને રેડિયો પર યુવાવાણીમાં ગાવા આમંત્રિત કરાઇ.’
આભાબહેન હાલમાં પોતાના ઘરે અને સનફલાવર સ્કૂલમાં મ્યૂઝિક શીખવાડે છે. અમેરિકા, બ્રિટન, સિંગાપોર અને બેંગકોકમાં કલાનો પરિચય આપનારા આભાબહેનની વિદેશનિવાસી પુત્રી ઊર્જાબહેન કથકના પર્યાયરૂપ કલાકાર કુમુદિનીબહેન લાખિયાના શિષ્યા છે. વાંચનના શોખીન આભા દેસાઇની બે ઓડિયો સી.ડી. ‘દીવડો જલે’ અને ‘નવ ચરણે’ પ્રસદ્ધિ થઇ છે. તેમાં તેમણે ગરબા અને ભજન પ્રસ્તુત કર્યા છે.
આભાબહેને માતાએ લખેલા અને સ્વરાંકિત કરેલા કાવ્યોની સી.ડી. ‘ગગન ગોખે’ ઘરના સભ્યો સાથે મળીને પ્રસદ્ધિ કરી છે. સંગીતના રિયાઝ વિશે આભાબહેન કહે છે, ‘નિયમિતપણે રિયાઝ ન કરો તો તરત જ ખબર પડી જાય છે.’ તેનો રસપ્રદ કિસ્સો ટાંકતા તેઓ કહે છે, ‘હું ફેકટરીનું કામકાજ સંભાળતી હતી ત્યારે ત્યાં ચાલતા મિકિસંગ મિલનો સૂર પકડી મારા રૂમમાં બેસીને સંગીતનો રિયાઝ કરતી હતી!’
Warm Wishes
Urja Thakore
Artistic Director
Pagrav Dance Company
www.pagravdance.com
courtesy e-mail: Harasha Pota
કાં ગઝલ પાસે મળે..
પાપો વિશેની હરગલીનીએ જન છે ભગવાનને
ભગવાનનું ઘર ક્યાં ખરેખર, પૂછ તું શેતાનને.
મારી હયાતીનું નગર ખોદીશ તોયે નહિ મળે,
આકાશની ઊંચાઈ છું હું, પૂછ તું ઉત્થાનને.
દર્પણ કનેથી ઉત્તરો નહિ મળે મરતા સુધી,
આ રૂપ શું છે?રાખ શું છે, પૂછ તું સ્મશાનને.
યુદ્ધો સિવાયે ક્યાં કશે પણ કામમાં આવે હજી,
હોવાપણાનો અર્થ શું છે? પૂછ તું મેદાનને.
પાંચેય પાંડવ મન ફકત એ કુલવધૂ છે એટલું,
છે નામ કોનું દ્રોપદી, એ પૂછ તું અપમાનને.
વરસાદનો શું જન્મદિન છે , યાદ ઋતુને નથી,
ક્યાં ક્યાં કરી ક્યારે તબાહી, પૂછ તું તોફાનને.
મારા વિશેની દંતકથાની, જાણવી જો હોય તો,
કાં ગઝલ પાસે મળે કાં પૂછ તું વેરાન ને.
-જિતેન્દ્ર કા. વ્યાસ
(સૌજન્ય: કુમાર)
જીવનનું અંતિમ પર્વ..
દીકરા વહુના આશ્રયે આપણે રહેતાં હોઈ એ ત્યારે આપણું જીવન એમને અનુકૂળ પડે એ રીતે ગોઠવી લેવામાં મનને ઓછું ન આવવું જોઈ એ.આજ બાળકો જ્યારે આપણા આશ્રયે હતાં ત્યારે આપણને અનુકૂળ થઈને જ એમને જીવવું પડ્યું છે ને! પુત્રવધૂને સવારે સાત વાગે શાળા-કોલેજે નોકરી માટે પહોંચી જવાનું હોય તો એ રસોઈ કરીને જ જાય અથવા તો બાર વાગે આવીને એકડે એકથી રસોઈ શરૂ કરે એ અશક્ય છે. કુટુંબમાં વાતો સાવ નાની હોય છે, પણ અવળચડું મન કાગનો વાઘ કરી મૂકી કુટુંબમાં હોળી પ્રગટાવે છે. જેમકે બાળકો ઉછેરવાની બાબતમાં સંતાનોના મનમાં હોંશ હોય કે બાળકોને આપણી રીતે ઉછેરવાછે.’તો તું એનો બાપ , તો હું એનો દાદો નહીં?’ આવો હક અખત્યાર કરવાની કશી જરૂર નથી. હવેતો આપણે એવી વયે પહોંચ્યા છીએ જ્યારે ‘હુંપણું’મટાડવાનું છે. ‘ બાપપણું”સાસરાપણું’, દાદાપણું ભુલી જઈ સંકટ સમયની ‘સાંકળ’ બનીને કુટુંબમાં રહેવાનું છે.
જીવનસાથી વગર ભાંગી ન પડીએ.
જ્યારે દાદા-દાદીમાંથી કોઈ કે વિદાય થાય ત્યારે જીવનભરના સાથીના વિયોગનો ઘા વેઠવો એ કોઈ નાની સૂની બાબત નથી. પરંતુ જાવનમાં કેટલીક બાબત સ્વીકારવી જ પડે તેમ છે.એ રીતે કદી ન કદી જીવનસાથીનો વિયોગ વેઠવાનો છે.એ દુ:ખનો કે પીડાનો બોજો બીજા પર નાંખવો ના પડે એ માટે મારે પહેલેથી તૈયાર કરી લેવાની જરૂર છે. જીવનસંધ્યાનું રૂડી રીતે સ્વાગત કરવું હોય તો એકલા સરસ રીતે જીવી શકાય એની તૈયારી કરી લેવી જોઈ એ. ઘણાં એવું માને છે કે એકલા સારી રીતે ન જીવી શકી એ તો જ જીવનસાથી પ્રત્યેનો પ્રેમ દાખવ્યો કહેવાય. આ સાવ ખોટી માન્યતા છે.જીવનું ચૈતન્ય તો સદાય પ્રફુલ્લિત બનવા, ફૂટવા આતુર હોય જ છે.
જીવનનો ઈન્કાર ન કરીએ.
આપણે ત્યાં વિધવા પર આ બાબતમાં ભારે જૂલમ થયો છે. પતિના મૃત્યની ઘટનાથી એના જીવનમાં જેટલું દુ:ખ, શોક અને સંતાપ હશે, તેટલો બીજા કોના જીવનમકં હોય? જીવનસાથી સાથે જીવવા મળ્યું ત્યારે એની સાથેના સહજીવનનો પૂર્ણ આનંદ અને પૂર્ણ સંતોષ મેળવવા પ્રયત્ન કર્યો. હવે જીવન સાથી નથી તો એના વગરના જીવનમાંથી પણ શક્ય તેટલો તમામ આનંદ મેળવવાનો માનસને અધિકાર નથી બલકે જીવનમાંથી આનંદ ન લેવો એ જીવન પ્રત્યેનો દ્રોહ છે.પૂરા આનંદ, પૂરા સંતોષ અને પૂરા રસપૂર્વક જીવવું એ જીવમાત્રનો ધર્મ છે.
આપણી તો વૃદ્ધાવસ્થા જ આઘાત અને આંચકાથી શરૂ થાય છે. આપણાં પોતાનાં સંતાનો એમના સમવયસ્ક મિત્રોમાં જેવા ખીલે, તેવા આપણી સાથે ન ખીલે અને ક્યારેક તેમાંનો કોઈ યુવાન આપણને’વડીલ’ કે ‘દાદા’ કહી દે તો આપણને બહુ આઘાત લાગે છે કે . અરે, હવે હું વડીલ થઈ ગયો? આ બધા સાથે હું હવે ભળી નહી શકું? આનો અર્થ એ થયો કે આપણા જીવનને આંગણે આવેલી વનપ્રવેશની જન્મગાંઠેનો આપણે સ્વીકાર નથી કર્યો. આપણે કદી મનમાં એવી ગ્લાનિ ઉમટવા ન દઈ એ કે હવે આપણો કોઈને ખપ નથી.અરે કોઈને હોય કે નાહોય. આપણને પોતાને, આપણી જાતને હજુ ખૂબ જરૂર છે. એવી ખુમારી મનમાં હોવી જોઈએ . જીવન એક મેઘધનુષ્ય જેવું છે. રંગ પૂરો કરો કે ના કરો, ત્યાં બીજો રંગ ફૂટી નીકળે. એટલે અંતરમાં એક આત્મવિશ્વાસ પેદા થઈ જવો જોઈ એ કે મારું જીવન એ મારા માટે એક મૂલ્ય ચીજ છે.એ મારી જવાબદારી પણ છે. મારા જીવનની સુંદર સ્વચ્છ ચાદર લઈને મારે પ્રભુને ત્યાં પહોંચવાનું છે.
સૌજન્ય” જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ
સંકલન: વિશ્વદીપ
કળીનો કારાગ્રહ !
ઓરેંજ લિબાસમાં જેક એન્ડરસન અને તેની પત્નિ લીસા કોર્ટમાં હાજર થયાં. મોં પર કોઈ જાતની ભૂલનો અહેસાસ નો’તો..જાણે કશું બન્યું નથી! કરેલા કારમાં કૃત્યને લક્ષમાં રાખતાં ન્યાયધીશે પતિ-પત્નિ બન્નેને જામીન પર છોડવાની સખ્ત મનાય ફરમાવી.જેલમા પણ એમની પર સખ્ત નજર રાખવાનો ઑડર આપ્યો.
૧૮ વર્ષ પહેલાં હું અને મારી બહેન પણી એમી અને બીજી સહેલીઓ બધા અમારા સબ-ડીવીઝનનાં પાર્કમાં બાસ્કેટ-બોલ રમી રહ્યા હતાં અને મને તરસ અને બાથરૂમ બન્ને લાગ્યા હતાં..સબડીવીઝનના બાથરૂમમાં જેવી ગઈ ત્યાં એક લેડી હતી એણે મને કહ્યું: “મારી કારમાંથી પિકનિકનો સામાન કાઢવો છે તું મને મદદ કરીશ? મેં હા પાડી. કાર પાસે ગઈ અંદર એક માણસ ડ્રાવીંગ-સાઈડ પર બેઠેલો હતો. મને યાદ છે કે પેલી લેડીએ મને ગન બતાવી કારમાં બેસી જવાનું કહ્યું..ગભરાઈ ગઈ..રડી પડી.લેડી બોલી..”એક પણ શબ્દ બોલીશ તો ગનથી તારું હેડ બ્લો કરી નાખીશ. કારમાં મારા બન્ને હાથ બાંધી દીધા, મોં પર ટેઈપ મારી દીધીને પાછલી સીટ પર ઉંધી સુંવાડી દીધી અને મારી બાજુમાં પેલી લેડી! રાતનો સમય થઈ ગયો હતો. કાર સીધી ગેરેજમાં લીધી. ગેરેજ બંધ કરી મને બહાર કાઢી. એજ લેડી જે લીસા અને એજ ડ્રાવર જેક બન્ને એના ઘરમાં લઈ ગયાં.ઘર ઘણુંજ ગંદુ હતું, સોફા ફાટેલા..બેડ પર ચાદર નહી..રસોડું પણ ગંધ મારતું હતું. ક્યા મારું ચાર બેડરૂમનું આલિશાન મકાન અને મારી પસંદગીથી સજાવેલો મારો પોતાનો બેડરૂ રૂમનો કલર પિન્ક, પડદા પિન્ક, બેડની ચાદર, પીલો, અને મારો પિન્કી ટેડી-બે’ર! હું ધ્રુસ્કે, ધ્રુસ્કે રડવા લાગી અને હાથ જોડી બોલી” મને મારા ઘેર લઈ જાવ..મને અહીં શામાટે લાવ્યા છો? મેં શું ભુલ કરી છે? મારી મમ્મી મારી રાહ જોતી, જોતી રડતી હશે.પણ બન્ને માણસો પર કશી અસર ના થઈ..તાડુકી બોલ્યા” ચુપ રહે..અમે જેમ કહીએ એમજ તારે કરવાનું છે..હવે આ તારું ઘર છે.બહાર અમારો ડોગ(કુતરો) જર્મન-શેફર્ડ છે તે બહું ખતરનાક છે..બહાર એકલી જઈશ તો તને કરડી ખાશે”.મને બલોની સેન્ડવીચ અને કોર્ન-ચીપ્સ ખાવામાં આપી.ભૂખ ના જોવે એઠો ભાત! ઉઘાડા પડેલું અને ગંધમારતી બલોની સેન્વીચ મારે ખાવી પડી.. એજ રાતે મારા પર જેકે સેક્સ્યુલ જુલ્મ ગુજાર્યો..ચીસો પાડી,રડી, લોહી-લોહાણ થઈ ગઈ કોણ સાંભળે! જેકની પત્નિ લીસા આ બધું જોઈને હસતી હતી! બન્ને માણસો નહોતા! રાક્ષસ હતા! આજુબાજું નજીકમાં મકાન પણ નહોતું! મારી મા એ કહેલું કે સંકટના સમયે ઈશ્વરને યાદ કરવાથી એ આપણને મદદ કરે!મેં પ્રાર્થના કરી “હે ઈશ્વર તું મને આમાંથી છોડાવ! મને મારી મા પાસે લઈ જા!” કોણ જાણે કેમ મારી પ્રાર્થના આકાશ સુધી પહોચી જ નહીં!
જેક-લીસાને કોઈ મિત્રો નહોતા, એમના ઘેર કોઈ પણ વ્યક્તિ આવતું નહોતું..પોતાના યાર્ડમાં મરઘીઓ, ઘરમાં ચાર બિલાડીઓ,દિવાલો પર ગંદા,ગંદા નર-નારીઓના ફોટાઓ લટકાવેલા હતાં. એમનો ધર્મ કઈ વિચિત્ર હતો,યાર્ડમાંથી મરઘી મારી એનું લોહી એના ભગવાનને ચડાવે! અને પછી એ પ્રસાદ રૂપે ગરમ કરી પીએ.મને એટલી બધી ચીથરી ચડે કે ઉલટી થઈ જાય! શું કરું? આવા નર્કમાંથી છુટવા ઈશ્વરને દરરોજ પ્રાર્થના કરુ પણ મને લાગ્યું કે ઈશ્વર પણ ધ્યાનબેરો થઈ ગયો છે! મા કહેતી હતી કે ઈશ્વર છે.. તો એ અત્યારે ક્યાં છુપાઈ ગયો છે?
આ રાક્ષસો સાથે કાળકોટડીમાં જુલ્મ સહન કરતાં કરતાં આ રાક્ષસથી મારે બે બાળકો થઈ ગયાં, છોકરો ૮ વર્ષનો એનું નામ પાડ્યું જેશન અને છોકરી ૬ વર્ષની મોના,બન્ને દેખાવમાં મારા જેવા હતાં પણ આ રાક્ષસોને કોઈ જાતની લાગણી કે પ્રેમ-ભાવનો છાંટો સુધ્ધા નહોતો..એક વખત દારૂ પી મારા છોકરાને માર્યો..કોઈ પડોસીએ પોલીસમાં ફરિયાદ કરી , પોલીસ આવી પણ ખરી..જેકીની પત્નિ લીસાએ દોર હાથમાં લઈ લીધો ને કહ્યું ” સોરી, હવે ફરી આવું નહી થાય,”..પોલીસ ચેતવણી આપી જતી રહી.હે ભગવાન! તે આ શું કર્યું? બચવાને આરે આવ્યા અને ફરી પાછા ડુબાડી દીધા! તારી પણ આ કેવી કમાલ છે? ઈશ્વર, મારી દયા ખાવાને બદલે આ રાક્ષસને મદદ કરે છે!
“મારું નહી તો મારા આ નિર્દોષ બાળકોનું તો તું સાંભળ!અઢાર વરસથી હું તો આ હત્યાચાર સહન કરી કરી શરીર અને મગજ બન્ને વર્ષોથી દુકાળથી સબડતી ધરતીના સુકાય ગયેલા ધાવણ જેવી થઈ ગયાં છે!” દરેક વસ્તું નો અંત હોય છે !એનો અહેસાસ એક વખત થયો. એક વહેલી સવારે ચાર-પાંચ પોલીસ કાર આવી ગઈ! ઘર તોડી જેક અને લીસાને હાથકડી પહેરાવી પકડી લીધા. મને અને બન્ને બાળકોને એમ્બ્યુલન્સમાં બેઠાડી દીધા.અઢાર વરસ અઢાર યુગ જેવા લાગ્યાં. મારી મા ને ૧૮ વરસ બાદ પહેલી વખત ભેટી.આંસું, હેત અને વ્હાલની નદી અને આનંદ-ઉત્સાહની હેલીનું ગીત ગુંજી ઉઠ્યું! “દીકરી, તારા વગર મેં અઢાર વરસ કેવી રીતે કાઢ્યા”…” “મા મેં પણ.. તને યાદ કરતાં કરતાં આ હત્યાચારી કંસના કાળાવાસમાં…”
જેક અને લીસા બન્ને કોર્ટમાંથી લઈ પોલીસ તેમને પોલીસ-કાર તરફ લઈ જતી હતી. બહાર ઝરમર સ્નો પડી રહ્યો હતો.સડક પર ધીમે ધીમે સ્નો જામી રહ્યો હતો.ઠંડી હતી.મેં જેક અને લીસા તરફ એક નફરતભરી નજર કરી. બન્નેઈ મારી તરફ જોઈ, હટહાસ્ય કરવા લાગ્યા. મને હબુજ ગુસ્સો આવ્યો થયું કે આત્યારે મારી પાસે ગન હોત તો અબ્ન્ને રાક્ષસોને એકજ ધડાકે ફૂંકી મારું!અરે શું થયું? કોઈની કારે રેડ-લાઈટ મીસ કરી, સ્કીડ થઈ જેક અને લીસા પર જ કાર ફરી વળી, એક આક્રંદ ચીસ! મોતના ગીધ્ધડ એની આસ-પાસ ફરી વળ્યા. એમનો અંત ! મારી નવી જિંદગીની શરૂઆત!