સચવાતી નથી
(કવિશ્રી કિરણ ચૌહાણે , એક કવિ મિત્રની યાદ રૂપે ડિસેમ્બર,૧૧,૨૦૦૭ માં મારી સુરતની મુલાકાત વખતે “સ્મરણોત્સવ”ની અમુલ્ય ભેટ આપી, અવાર નવાર એજ ગઝલ સંગ્રહ વારંવાર વાંચુ છું, આનંદ અનુભવુ છું..અવાર-નવાર એમની યાદગારો ગઝલો આ બ્લોગમાં મૂકવા મન લલચાય છે.)
બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી,
એક પળ ખોવાઈ ગઈ છે, બીજી સચવાતી નથી.
ઓ શિકારી! પાંખ લીધી, આંખ પણ લઈ લે હવે,
આભને જોયા પછીની પીડ સ્હેવાતી નથી.
ઈશ્વરે જાણે તમસ પર શ્યામ અક્ષરથી લખી,
વાત મારા ભવિની મુજને જ વંચાતી નથી.
હા, કદી બિલકુલ અનાયાસે ગઝલ સર્જાય છે,
સો પ્રયત્નો બાદ પણ ક્યારેક સર્જાતી નથી.
તું હવે તારી જ ગઝલો ભૂલવા લાગ્યો ‘કિરણ’
આટલી મૂડી છે તારી, એ ય સચવાતી નથી?!