"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રાત છે

ઊંઘ   છે   અંધકારી   રાત   છે?
સ્વપ્ન  મારાં  કેમ  સન્નેપાત  છે?

આભ  નામે સાદ દઈને શું   કહું?
ગીધનો    રોજ   ચંચૂપાત    છે.

સાવ   કોરા તથ્યનો   તંતુ   કહે!
એકલા આ વાંભની ક્યાં વાત  છે?

આયનામાં   શ્વાસને   ઉચ્ચારવા,
થાક  પણ થાકી ગયાની ભાત છે.

પિંડ ‘મગળ’ પામવો શાથી કહો!
જીવતરમાં  કેટલા  જઝબાત   છે!

-મંગળ રાવળ’સ્નેહાતુર’

ઓગસ્ટ 30, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

ભીંત છે

બારણું  બારી  નમેલી   ભીંત  છે,
આસુંઓથી  ટકવેલી     ભીંત  છે.

એટલે  છાંયોય  ગાયબ થૈ  ગયો,
સૂર્ય સાથે  આથમેલી   ભીંત  છે.

રાતભર  રોયા  કર્યુ  છે મન મુકી,
ઓસર્યો ડૂમો, શમેલી  ભીંત  છે.

ઠોકતો   ખીલા જ જાણે  છાતીમાં,
ઘાવ  ખાલીના  ખમેલી  ભીંત છે.

છાંયડા      ફરતા  રહે   ખંડેરમાં,
કૈંક  જનમોથી  ઊભેલી   ભીંત છે.

-મનીષ પરમાર

ઓગસ્ટ 28, 2008 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

એક લઘુકથા-“શંકા”

મા બેચેન બની દીકરીની રાહ જોઈ રહી હતી. રાત્રીના દસ વાગ્યા હતા. ત્યાંજ દીકરીએ ઘરમાં
પ્રવેશ કર્યો. ટ્યુબલાઈટ્ના ઝગમગતા પ્રકાશમાં, એકદમ માની નજર દીકરીના ગાલ પરના એક લાલ ડાઘા પર પડી.

   મા વિચારોના ચકકરમા ધકેલાઈ ગઈઃ’ શું  દીકરી ઓફીસમાં’ઓવરટાઈમ’ના બહાને રોકાઈ ક્યાંક રંગરેલિયા મનાવવા  ગઈ હશે? જુઓ કોઈ એ એના ગાલ પર…કદાચ નશો તો નહીં કરતી હોયને? પરંતુ એની આંખો પરથી એવું લાગતું ન હતું. હોઠો પરની લિપસ્ટિકનો રંગ પણ બદલાઈ ચુક્યો છે. કાલે તો એ કહી રહી હતી કે કંઈક જાડી થતી જાય છે, અને બ્લાઉઝ પણ તંગ પડવા લાગ્યા છે. ભગવાન! શું એ કોઈ  આડા માર્ગે તો..મા એ નિસાસો  નાખ્યો. દીકરી ખૂબ  થાકેલી હતી, એના રૂમામાં જઈને સૂઈ ગઈ.

  મા શંકાનાં વાદળોમાં ઘેરાયેલી આખી રાત પાસાં ઘસતી રહી. દીકરી વહેલી સવારે ન્હાઈ-ધોઈ કપડાં બદલી બહાર જવા માટે તૈયાર થઈ ત્યારે તો માના હ્ર્દયમાં જાણે  ભયાનક વિસ્ફોટ થયો. ‘આટલી વહેલી સવારે તૈયાર થઈને ક્યાં જાયછે? માના મનમાં પ્રશ્ન થયો.’

  દીકરીએ ઢીલા અવાજે કહ્યું, “મમ્મી, મારા ગાલ અને શરીરના બીજા ભાગોમાં લાલ ડાઘા પડી ગયા છે. ડૉ. હેમાબેનને ત્યાં બતાવવા જઈ રહી છું . એ સિવાય આ બીમારીના સાચા કારણનું નિદાન નહીં થાય.”

  જાણે મા પર તો બરફનો વરસાદ તૂટી પડ્યો. તેને પોતાની જાત પર ધિક્કર છૂટ્યો. એણે લાગણીસભર બનીને પૂછ્યું.”દીકરી, હું સાથે આવું?’

  “જેવી તારી મરજી!”

-યશવંત કડીકર

ઓગસ્ટ 27, 2008 Posted by | ટુંકીવાર્તા | 4 ટિપ્પણીઓ

જખમો બધા આરામમાં છે.

હવાઓ  સાવ  ધીમેથી  વહો,જખમો  બધા   આરામમાં છે,
છે પતઝડ, પણ પર્ણો ના ખરો,જખમો બધા  આરામમાં છે.

હજી  તો   માંડ સમજાવ્યું હૃદયને ,ત્યાં નયન  જિદ્દ  કરે છે,
અરે! ઓ આંસુઓ,ના અવતરો,જખમો બધા આરામમાં છે.

સફરનો  થાક છે તો આંખ લાગી જાય સ્વભાવિક  છે એ તો,
અધૂરા સ્વપ્ન! પાછા ના ફરો,જખમો બધા   આરામમાં છે.

ઘડીભર   પ્યાસને   ઠેલ્યાં    કરો, મેળે  મટી જાશે  તરસ,
રહેવા  દોને , પ્યાલો  ના ધરો,જખમો બધા  આરામમાં છે.

ઊઘાડશે  પોપડાના  પોપડાઓ’પ્રેમ’ એકધારા  પછી ત્યાં,
વીતેલી વાતને  ના   કરગરો, જખમો બધા  આરામમાં છે.

-જિગર જોષી”પ્રેમ”

ઓગસ્ટ 26, 2008 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

“કરે છે હજી કેમ ‘હોચી’ ગધાડું.”

હતું    ઊંઘમાં   ઊંઘ    જેવું   ઉઘાડું,
કરે  છે   હજી  કેમ  ‘હોચી’  ગધાડું.

પવનની ગતિ હજી એમ લાગે છે જાણે,
દિશાઓ   ઉપાડીને  ચાલે     છે ગાડું.

વીતેલી   ક્ષણો   કાચ  જેવી બરડ  છે,
કહો   તો તમારા   ઉપર  હું    પછાડું.

સ્મરણના ખભા  બેય  થાકી   ગયા છે,
તને  કેટલી વાર     ક્યાંથી    ઉપાડું?

દીવાલોને   બાંધી   દઈ  એક   પડખે,
પડ્યું   છે    કોઈ  કૈક વર્ષોથી    આડું.

નથી   માત્ર  બે   આંખ  ને બંધ  મુઠ્ઠી,
જગત  એક   આખું  પડ્યું   છે  ઉઘાડું.

કરે   છે  હજી  કેમ ‘હોંચી;   ગધાડું?
મેં  અક્ષરભર્યા  છે, હું  ખેંચું  છું  ગાડું.

– મનહર મોદી

ઓગસ્ટ 25, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

શાને થઈ ઘેલી !

અલી  શાને થઈ ઘેલી !
હેત વરસાવે વ્હાલા પર
ઘરતી પર જેમ  હેલી !
અલી શાને થઈ ઘેલી !

મુલાયમ  મુખપર એના ના ચુંબનનો કંઈ પાર,
નજરું લાગશે લાડકાને,  કાઢીશ નહિ કંઈ સાર!

અનુભવની ડાયરીમાંથી-
વાત કહી  તને  વે’લી,
અલી શાને થઈ ઘેલી !

ઘવડાવતાં  ઘવડાવતાં  તું  મહીં  મહીં મલકાતી,
હાથ ફરી રહ્યો શિરપર ને શેરો દૂઘડે છલકાતી.

અમીરસનું પાન કરતાં કરતાં-
મીચાઈ ગઈ આંખ વે’લી,
અલી  શાને  થઈ  ઘેલી !

ભૂલી ગઈ ખુદને મૂઈ  તને એને  રાખી  બાંઘી,
તમ ઉભય દિલની ચિરાડ એને જ આવી સાંઘી!

     ઢળી રહી સંઘ્યા  પેલી,
      અલી શાને  થઈ  ઘેલી !
– ચીમન પટેલ ‘ચમન’૮-૮-’૬૫

ઓગસ્ટ 23, 2008 Posted by | મને ગમતી કવિતા | 8 ટિપ્પણીઓ

ચીસ

એ ઘર સાફ કરતી હોય કે કબાટ, રસોડામાં હોય કે બાથરૂમમાં, એ ગરોળીને જોએ, એટલે ચીસ પાડે. હું દોડી જાઉં, પછી તો ઠપકોય આપતો. લગ્નોત્તર આવી ચીસોથી હું ટેવાય ગયેલો. મેડી ઉપરના મારા વાંચનખંડમાંથી જ હું  બુમ મારીને કહેતોઃ ‘અરે! એમાં શું બીવાનું !’

    એકવાર તેણે રસોડાનું કબાટ  ખોલેલું. અંદરની બાજુ લપ્પટ થઈ ગયેલી બે ગરોળી મારી પત્નીની સાડી પર કૂદી પડી,તે ત્રીવ્ર ચીસ સાથે પાછી પડી, પછી તો સળગતા સ્ટવે તેને ક્રમશઃ
આશ્લેષી લીધી. તેની ચીસોથી ટેવાઈ  ગયેલો હું વાર્તાને અધૂરી છોડી  નીચે આવ્યો તો…

   આજે મારો લગ્નદિવસ. હું એની છબી વારંવાર નિહાળું છું. દિવાલ સાથેય એના સ્વભાવ પ્રમાણે કેવી ઓતપ્રોત છે એ ! એટલામાં એ છબીની બાજુમાંથી જ એક ગરોળી પસાર થઈ જાય છે. તેને હટાવવા મોઢેથી સિસકારો બોલાવવા બે હાથ વડે તાળી પાડી ઊભો થાઉં છું. તોયે એ છબી પર થઈને જ ચાલી જાય છે, ને છબી ચીસ પાડી ઊઠે છે.

-ભગીરથ બ્રહ્મભટ્ટ

ઓગસ્ટ 22, 2008 Posted by | ટુંકીવાર્તા | 6 ટિપ્પણીઓ

તારો -મારો પ્રેમ

હાથમાં હાથ  અને  નજરમાં નજરનું પરોવાવું-
આમ  આરંભાય  છે   આપણાં હૈયાનો આલેખ.

માર્ચની ચાંદની રાત છે . મહેંદીની મધુર સૌરંભ વાતાવરણમાં વ્યાપી છે.

મારી વાંસળી ઉપક્ષિત અવસ્થામાં ભોંય પર પડી છે
અને તારો પુષ્પહાર ગૂંથાયો નથી.

ગીત  સમો સરલ છે આ તારો પ્રેમ.

તારો કેસરિયો ઘૂંઘટ મારી આંખોમાં કેફ ભરે છે.

તેં મારા માટે ગૂંથેલો જૂઈનો હાર હૃદયને સ્તુતિની પેઠે રોમાંચિત કરે છે.

આ એક ક્રીડા છે આપવાની અને અટકી જવાની,
પ્રગટ કરવાની  અને ફરી     કશુંક   છુપાવવાની;

આછું સ્મિત, આછી લજ્જા અને વ્યર્થ પણ સુમધુર આછો તરફડાટ.

ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

વર્તમાનની પેલે પાર કોઈ રહસ્ય  નથી; અશક્ય માટેની કોઈ ખેચતાણ નથી;

આકર્ષણની  પછી  તે   કોઈ    કાળી છાયા નથી;
ઊડા અંધારામાં ક્યાંય હવતિયાં  મારવાના નથી.
ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

ચિર શાંતીમાં વિલીન થઈ જતા શબ્દો છોડી આપણે અવળે  માર્ગે જતાં નથી;

અશક્ય આકાંક્ષાઓ માટે આપણા હાથ વ્યર્થ ઊંચા કરતા નથી.

આપણે  જે   આપીએ    છીયે અને   પામીએ છીએ તે પૂરતું છે.

આપણે આપણા આનંદને એટલી હદે કચડ્યો નથી
જેથી     તેને    નિચોવતાં   પીડાનો  આસવ  ઝમે.
ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

-રવિન્દ્રનાથ ટાગોર
 અનુવાદઃ દક્ષા વ્યાસ

ઓગસ્ટ 21, 2008 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

મંદીર જો ખૂલે તો..

બેઠો   છું પેન   લઈને,    તકદીર   જો   ખૂલે તો
અંદર  સભર -સભર છે   એ મીર  જો   ખૂલે તો.

એ મ્હેલ, એ   ખજાનો,    જાગીર   જો   ખૂલે તો,
ઝાંખી   પડી   ગયેલી     તસ્વીર  જો   ખૂલે તો.

મારા જ ખુદના   ઘરની  તદબીર  જો   ખૂલે તો,
હું    પ્રાર્થના  કરુ   છું,     મંદીર     જો   ખૂલે તો.

પાણી અને    તરસની     જ્ંજીર   જો   ખૂલે તો,
મારા    શરીરમાં  છે    એ પીર    જો   ખૂલે તો.

ખૂલે      ઈલમશકાલા…     ખૂલે   ધજાપતાકા..
જો  નીર   આ   ખૂલે તો આ ક્ષીર   જો  ખૂલે તો.

તકદીરમાં    છૂપેલાં…       સિંદુરમાં લીંપેલા…
દેખાડવા    છે    મારે   આ    ચીર જો  ખૂલે તો.

એક    પાછલા પહોરે… જાવું   છે   ભજનચોરે…
એક    પાછલા  જનમનું  આ તીર  જો ખૂલે તો.

એક આપ એક ખૂણો…    એક ચેતવીને ધૂણો…
આપે   જડી  જવું   છે એક   હીર   જો  ખૂલે તો.

-લલિત ત્રિવેદી

ઓગસ્ટ 20, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

નાતાલ સાંજે-છેવટેતો શિયાળોને?

ઓગસ્ટ 19, 2008 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

નારી! તું તારિણી

“પૃથ્વી પરના લગભગ તમામ સામાજો વત્તેઓછે અંશે  પુરૂષ પ્રધાન રહ્યા છે”(આગલી સાઈટ પરથી ચાલુ)…
સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ…
પુરુષ  પ્રધાન સમાજે સ્ત્રીને અમુક દ્રષ્ટિએ જોઈ છે, પછી એ પુરુષ હોય કે સ્ત્રી, બંને ‘સ્ત્રી’ને અમુક રીતે જ મુલવતાં થઈ જાય છે કારણ કે બંનેનો ઉછેરે પ્રચલિત સમાજિક મૂલ્યોમાં જ થયો  હોય છે.

      વેદકાલીન યુગમાં આર્ષદ્રષ્ટાઓ એ સ્ત્રી-પુરુષ  વચ્ચે કોઈ ઊંચ-નીચ ભેદ જોયો નથી એટલેજ એ સમયમાં  સ્ત્રી ઋષિ બની શકી જેવી કે ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી તેજસ્વી મહિલાઓ પરમહંસ બનીને એ કાળમાં વિચરતા જોવા મળે.

     પછી   રામાયણ-મહાભારતમાં  ધીરે ધીરે સ્ત્રીની ભૂમિકા  ગૌણ કરવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે.પુરૂષ આગળ,પાછળ સ્ત્રીનું અનુસરણ; સીતા-સાવિત્રી, દમયંતી,ગાધારી, કુંતી, દ્રોપદી જેવી નારીઓની પોતપોતાની અસ્મિતા છે , તેમ છતાં એની ભૂમિકા પુરુષ પરત્વે ગૌણ છે.

    પછી બુદ્ધ-શાંકર યુગમાં અંકુશો વધતા જાય છે, મધ્યમયુગમાં તો સ્ત્રી ઘરની ચાર દીવાલોમાં અને ઘૂંઘટ પાછળ એવી ધકેલાય જાય છે કે એ પોતે જ પોતાને ભૂલી જાય છે. તેમ છ્તાંય માનવમાં પડેલું કૌવત પોતાના જોર અજમાવેજ, એમ મધ્યયુગમાં પણા મીરાં, લલ્લા,મુકતા આંડાઆળ, આક્કા, જનાબાઈ જેવી વિદ્રોહી મહિલાઓ ધરતી ફાડીને ફૂટતા અંકૂરની જેમ પ્રગટી છે.પરંતુ સર્વસાધારણ રીતે સ્ત્રીના વ્યક્તિત્વને એના ‘દેહ’માં અને ‘ઘર-પરિવાર’માં સીમિત કરી દેવાયું છે.

   સમાજને માટે સ્ત્રી એટલે માત્ર ઘર સાચવવાનું પાત્ર, વંશવેલો વધારનારું  યંત્ર!પુરુષને અનુકૂળ થવું એજ એનો ધર્મ ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમ એર્હતિ’  જેવા શાસ્ત્રવચન પણ કહેવાયાં.સ્ત્રીનું મૂલ્ય-એનું દૈહિક રુપ! રૂપથી જ એ મૂલવાય.રૂપાળી પત્ની હોવી એ પતિ માટે ખતરો. સ્ત્રીનું અપહરણ કરી શકાય. સ્ત્રી એટલે ઢીંગલી. એને સજાવી શકાય, શણગારી શકાય. એની સાથે  રમી શકાય.સ્ત્રી તો ભોગનું સાધન. ઉપભોગની ચીજ! સ્ત્રીને ભોગવવા માટે એના પર બળાત્કાર પણ કરી શકાય. આમ ઠેઠ આજની ઘડી સુધી સ્ત્રી તરફ જોવાની આ દ્રષ્ટિ હજુ ચાલુજ છે.

  સ્ત્રીનો બીજો અર્થ’વામા’. વામા એટલે કે જે ડાબા પડખે છે તે-વામા. હવે શું ડાબું કે શું જમણું-બધું જ  પોતપોતાને સ્થાને ઉચિત જ છે. પરંતુ આપણે ત્યાં વામાંગને થોડું ઓછું સ્થાન અપાયું. ડાબા  હાથે શૌચક્રિયા થાય એટલે બિચારો ઓરમાયો બન્યો રહ્યો છે. ગમે એમ, પણ સ્ત્રી માટે ડાબું સ્થાન પસંદ કરવામાં આવ્યું. સ્ત્રીના ધ્યાનમાં સતત રહેવું જોઈ એ ને કે એ મુખ્ય નથી!

 આવોજ એક શબ્દ-‘વનિતા’એટલે વેલ,લત્તા આ પણ સૂચક શબ્દ છે. સ્ત્રીની ભૂમિકા વેલની ,એટલે કે વળગવાની. એ પોતાના પગ પર ઊભી રહી ન શકે , ખીલી કે વિકસી ન શકે, એને આધાર જોઈ એ , પુરૂષ એ વૃક્ષ અને સ્ત્રી એ વનિતા-લત્તા. આવી ભૂમિકા આજની સ્ત્રી સંમત ના થઈ શકે . સાથ હોય તો પરસ્પરનો હોય. કોઈને વળગીને જીવવાનો શો આનંદ?

 કુદરતે સ્ત્રીને કાયા આપી છ તે કમનીય છે, કહેનારે સાચું જ કહ્યું છે કે પ્રભુએ નારી દેહ સર્જિને પોતાના હાથ ધોઈ નાખ્યા હશે.નારિ દેહના વળાંકો, ગોળાઈ અદભૂત લાવણ્ય સર્જે છે. વળી કુદરતે આ જ નારીદેહમાં ગર્ભરક્ષણનો અદભૂત કિલ્લો સર્જ્યો, એ તો વળી પ્રભુનું વિશેષ વરદાન છે એ સિદ્ધ કરે છે  કે નારીદેહમાં કોઈ ઊણપ નથી.

  પરંતુ સૌંદર્ય કોઈના અંતરની કામવાસનાને જગાડે એ સૌંદર્ય મંગળમય નથી એટલે રૂપસજાવટ  તથા સૌંદર્ય-શણગારમાં સ્ત્રીએ આટલી મર્યાદા તો મૂકવી જોઈ એ કે પોતાના દેહને એ એવી રીતે ન સજાવે કે જેથી પુરૂષની વૃત્તિઓ ઉશ્કેરાય.કપડાં શરીરને ઢાંકવા બનાવવામાં આવ્યા છે , પરંતુ એજ કપડાં જ્યારે અંગોને વધુ ઉઘાડા કરી મૂકે , ત્યારે શું સમજવું?

  સ્ત્રીએ પોતાની બુદ્ધિ-પ્રતિભા અને બીજી શક્તિને પ્રગટ કરવી પડશે, સ્ત્રીનું બાહ્ય રૂપ એજ સૌદર્ય નથી, એથીય અદકેરું સૌદર્ય પ્રગટાકરવું પડશે, ત્યારે જ એના તરફ જોવાની સમાજની દ્ર્ષ્ટિ બદલાશે.

  આમ સમાજ ભલે જ્યાં ઊભો હોય ત્યાં  ઉભો  રહે. સ્ત્રી પોતે પોતાના તરફ જોવાની દ્રષ્ટિમાં આમૂલ ક્રાંતિ લાવી, અંતરમાં આત્મવિશ્વાસ ભરી, પોતાના સમસ્ત મહિમા સાથે ઉભી થશે તો સમાજ  બદલાશે, સમાજનાં મૂલ્યોમાં ઘરમૂળ પરિવર્તન આવશે અને સમાજમાં સ્ત્રીનું એક ગૌરવવંતુ સ્થાન નિર્માશે, સ્ત્રીત્વની પ્રતિષ્ઠા થશે.

  સ્ત્રીઓને સૌથી મોટો ડર સાપ,વીંછી, વાઘ , વરુ કે ડાકુ-લૂંટેરાનો નથી, સૌથી મોટો ડર બળાત્કારનો છે! આ ભયની સામે ઝૂઝવા સ્ત્રીએ દેહ ઉપરાંત બીજા એક બળની ઉપાસના કરવી પડશે, આ બળ શારિરીક નથી. આ આંતરિક બળે છે જે શક્તિ થકી મુઠ્ઠી ભર હાડકાંવાળો ગાંધી કદી ન આથમતી બ્રિટિશ સતા સામે ઝૂઝયો  અને જીત્યો, તે અંતઃશક્તિની , પ્રેમ  અને અહિંસાશક્તિની આરાધના સ્ત્રીએ કરવી પડશે. આ ભીતરની આંતરીક શક્તિ છે, એ આત્માની શક્તિ છે, સમર્પણ અને સત્ય-પ્રેમની શક્તિ છે.સત્યની આ આત્મશક્તિ શુભંકારી પણ છે . એ કલ્યાણકારી, માંગલ્યપૂર્ણ છે. આ જગત-તારિણી શક્તિ છે.

  સ્ત્રીઓમાં  સાહસ અને વીરતા પણ પ્રગટ થવા જોઈ એ, આત્મશક્તિમાં જ નહીં, પણ મહા..
(ક્રમાશ)
-મીરા ભટ્ટ

ઓગસ્ટ 18, 2008 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

રક્ષાબંધનનું મહત્વ

સૌ ને જ્ઞાન છે કે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ તહેવાર એટલે ‘રક્ષાબંધન’.  આ તહેવાર વૈદિક સમયથી પ્રચલીત છે.કોઈ ધર્મના ભેદભાવ વગર ઊજવવામાં આવે છે.પછી મુશ્લીમ હો કે ક્રિચ્યન! તેના પ્રચલીત ઊદાહરણો  આપની સમક્ષ રજૂ કરું છું.

ઈન્દ્ર-ઈન્દ્રાણીઃ
વૈદિક સમયની વાત છે, કે ઈન્દ્ર અને દાનવો વચ્ચે સત્તા માટે હંમેશા યુદ્ધ થતુ હતું.તેમાં દાનવો નો ત્રાસ અને તેઓ મજબુત હતા દેવોનો  રાજા ઈન્દ્રને પોતાની સત્તા ગુમાવી બેઠે એવો ભય હતો.ઈન્દ્રની પત્નિ શશીકલા પોતાના પતિની  ચિંતા જોઈ ન શકી. ઈદ્નાણીએ દેવી શક્તિથી ઈન્દ્રને હાથપર રક્ષાબાંધી  અને તેણીને ખાત્રી હતી કે પોતાનો પતિને દાનવો સામે યુદ્ધમાં જરૂર વિજય મળશે. એજ રક્ષાથી ઈન્દ્રને કોઈ પણ જાતની હાની વગર વિજય મેળાવે  છે.

યમ અને  યમુનાઃ
યમુના એ યમની બહેન હતી યમુના શ્રાવણી પૂર્ણિમાને દિવસે યમને રાખડી બાંધતી અને ત્યારથી ભાઈ-બહેન હંમેશા રક્ષાબંધંન દિવસે રાખડી બાંધવનો રિવાજ શરૂ થયો એવી એક માન્યતા પણ છે.

બળીરાજા અને લક્ષ્મીદેવીઃ
વૈદિકકાળમાં બળીરાજા દેવોમાં ઘણાંજ બળવાન  રાજા તેમજ  વિષ્નુભગવાનનો પરમ ભક્ત.ઈન્દ્રને લાગ્યું કે બળી મારા પર રાજ્ય કરશે અને મારી સત્તા જતી રહેશે . ઈન્દ્રે વિષ્નુભગવાનને પ્રાર્થના કરી, આજીજી કરી, વિષ્નુને મનાવ્યા. વિષ્નુ એ બળી રાજાને પૃથ્વી પર મોકલી આપ્યા પણ સાથે સાથે વચન આપ્યું કે  તને અને તારી સત્તાને કોઈ આચ ન આવે તે થી હું તારી સાથે જ રહીશ. વિષ્નુભગવાનને વૈકુંઠધામ છોડવું પડ્યું.વિષ્નુભગવનની પત્ની લક્ષ્મીદેવી વૈકુંઠધામમાં  એકલા પડ્યા, અને વિષ્નુભગવાન વગર નહોતું ગમતું.લક્ષ્મીદેવી પૃથ્વીલોકમાં ગરીબ બ્રામણ-પત્રીના વેશમાં આવી બલી રાજા પાસે આવી રહેવામાટે આસરો માગ્યો,અને બલીરાજાને ભાઈ તરીકે સ્વીકાર્યો, અને શ્રાવણી પુનમે રાખડી બાંધી, બલીરાજાએ તેના બદલામાં કઈક માંગવાનું કહ્યું ત્યારે લક્ષ્મીદેવી પોતાના મુળસ્વરૂપે પ્રકટ થયાં અને સાચું કહ્યું કે હું મારા પતિ(વિષ્નુભગવાન)ને વૈકુંઠધામમાં પાછી લઈ જવા આવી છું,બલીરાજાએ કહ્યું કે બહેનરૂપે પધારેલ દેવી આપના વિષ્નુ આપને પાછા આપુ છું..વિષ્નુએ બલીરાજાને આપે વચનમાં થી મુક્તિઆપે છે..

રાજા પોરસ અને સિંકદર
સિંકદરની ઈચ્છા પૃથ્વીને જીતવાની હતી અને એ ભારત પણ આવેલ એ કથા જાણીતી છે.અને ભારતને પણ પોતાની સત્તા હેઠળ રાખવાની હતી,  રાજા પોરસની પત્ની એ પોતાના પતિને કશી હાની કે રાજ્ય ન છીનવાય તેથી સિંકદરને તેણીએ રાખડી મોકલી અને સિંક્સદરને ભાઈ બનાવ્યો તેથીજ પોરસરાજાને સિકદર તરફથી કોઈ રાજ્યહાની થઈ નહોતી.

મહારાણી કર્ણાવતી અને મોગલ બાદશાહ હિમાયું
ચિતોરગઢ, રાજસ્થાન  પર મેવાડના બહાદુર શાહએ ચડાઈ કરવાની ધમકી આપી ત્યારે ચિતોર ગઢની મહારાણી કર્ણાવતી એ પોતાના રાજ્યને બચાવવા હિમાયુંને રાખડી મોકલી અને મદદ માટે વિનંતી કરી. રાખડીનો અર્થ હિમાયું સારી રીતે જાણાતો હતો અને રાખડી અને માનેલી બહેનની વિનંતી સ્વીકારી અને બહેનના રાજ્યને હુમલાથી બચાવ્યું.

ઓગસ્ટ 16, 2008 Posted by | ગમતી વાતો | 5 ટિપ્પણીઓ

શ્રેષ્ઠ મિત્ર

 
મારી મા..શ્રેષ્ઠ મિત્ર..
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થ નહિ તો અપેક્ષાનું
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી  જાય;
પછી ઘસરકો, ઉઝારડો, તિરાડ…

માને તો આકાશ જેવું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય,
પણ એ એવું કશું માગે -ઈચ્છે-વિચારે નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝગડી શકાય.

આપણા  હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ.
એના ખોળામાંની
આપણા પેશાબની દુર્ગંધ
એ સાથે લઈને જ જાય
ભગવાન પાસે-
અને સ્વયં ભગવાન સુગંધ!
( ભગવાનની યે મા તો હશે જ ને ?)
-ભગવતીકુમાર શર્મા

ઓગસ્ટ 15, 2008 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

Happy Independence Day

વંદે માતરમ
સુજલાંમ સુફલાં મલયજ શીતલાંમ
શસ્ય શ્યામલાં માતરમ …. વંદે માતરમ

શુભ્ર જ્યોત્સના પુલકિત યામિની
ફુલ્લ કુસુમિતા દ્રુમ દલ શોભિનીમ્

સુહાસિની સુમધુર ભાષિણી
સુખદામ વરદામ માતરમ ….વંદે માતરમ્

ઓગસ્ટ 14, 2008 Posted by | ગમતી વાતો | 1 ટીકા

કદી ન ભુલી શકાય..”NEVER FORGET”

 This ship is made from the steel from the World Trade 
Center

 
Here  SHE is, the USS New York, made from the World  Trade Center
USS New York  It was built with 24  tons of scrap steel from the World Trade Center 
It is the fifth in a new class of warship – designed for  missions that include special operations against  terrorists. It will  carry a crew of 360 sailors and 700 combat-ready  Marines to be  delivered ashore by helicopters and assault craft. 
Steel  from the World Trade Center was melted down in a  foundry in Amite , LA to cast the ship’s bow  section. When it  was poured into the molds on Sept 9, 2003, ‘those  big rough  steelworkers treated it with total reverence,’  recalled Navy Capt.  Kevin Wensing, who was there. ‘It was a spiritual  moment for  everybody there.’ Junior Chavers, foundry operations  manager, said that when the trade center steel first  arrived, he  touched it with his hand and the ‘hair on my neck  stood up.’ ‘It had  a big meaning to it for all of us,’ he said. ‘They  knocked us down.  They can’t keep us down. We’re going to be back.’   The ship’s motto? ‘Never Forget’ Please keep this  going so everyone can see what we are made of in  this  country!

World Trade Center

**********************

“And the rockets’ red glare,           
The bombs bursting in air,
Gave proof through the night


That our flag was still there.”

New World Trade Center..”Great proud to be back!”

ઓગસ્ટ 13, 2008 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

ઈચ્છાગીત

માથા પર છાપરું ને  સૂવાને ખાટલી ને ઓળખીતું   હોય એક નાકું
ઉપરથી  આટલું મે ઈચ્છયું કે   એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.

       ખડકી છે ખડકીઃ દુકાન છે એ ઓછી કે
                    જોખી  જોખી  ને    કરું   વાત?
       આવેતુ  પુછશે રે  જોઈ  ભળભાખળું
                     કે ક્યારે  આ વીતી ગૈ  રાત?
હળહળુ  કાઢું  એની   અંદરની  ગૂંચ છતાં  લગરીકે ભાઈ, ના હું થાકું.

   આથમણે અંધારા  ઉતરે તો ઉતરે
         આ   દિવાઓ  દેશે   અજવાસ
     આસાનમાં  આનાથી રૂડું શું  હોય-
      મળે ફળિયાનુ લીલુંછમ  ઘાસ?
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો ઢાંકું?

   ડાળીમાં  ઝૂલે છે નીરભરી  ઠીબ
         એમ સાચવું  હું પંખીનાં  ગીત
     નીડમાં  એ લાવે છે ભરચક આકાશ
         મને શીખવે છે જીતવાની રીત
સાંજની  બોલાશ એવી  લાગે  કે   હૉકલીમાં મ્હેંકે છે જાણે ગડાકું
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું.

-મનોહર ત્રિવેદી

ઓગસ્ટ 12, 2008 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

રાક્ષસ બન્યા શી રીતે ?

છેલ્લા  સાઠ  વરસથી  મારા મનમાં આ દેશ  અંગે  એક પ્રશ્ન  ઘોળાતો  રહ્યો છે. મારો સવાલ એ છે કે આટલી ઊંચી આધ્યાત્મિકતાનો જે ભૂમિમાં વિકાસ થયો, ત્યાંનો મનુષ્ય  આટલા લાંબા કાળ લગી ગુલામ કેમ રહ્યો?

  એની સાથે જ બીજો સવાલ પણ મારા મનમાં જાગ્યો હતો તે આ છેઃ આપણાં પુરાણોમાં એવું કેમ જોવા મળે છે કે શક્તિ હંમેશા   રાક્ષકો પાસે હતી અને દેવોમાં નહોતી?’વેદમાં ઈન્દ્ર અને વૃત રાક્ષક વચ્ચેના યુદ્ધનું વર્ણન  આવેછે. હવે ઈન્દ્ર તો છે દેવોનો રાજા, છતાં એ યુદ્ધમાં કાવાદાવા કરેછે. પણ સામે વૃત  રાક્ષસ છે, છતાં સિધી રીતે યુદ્ધ કરે છે. અને દાવપેચ  છતાંયે  હારે છે તો ઈન્દ્ર જ.

  તો દેવતાઓની  હાલત એવી કેમ ? દેવો આટલા બધા શક્તિહીન અને રાક્ષસો  આટલા શક્તિશાળી-એમ કેમ બને ?  એનો જવાબ  ખોળતાં ખોળતાં મારા ધ્યાનમાં  આવ્યું કે જે બધા રાક્ષસો હતા, એ તપસ્વી હતા રાવણનું તો એટલી હદ સુધીનું વર્ણન  આવે છે કે તપ કરતાં કરતાં નવ નવ મસ્તક તો એણે ઉતારીને ધરી દીધા અને દસમું ઉતારવા પણ તૈયાર થઈ  ગયો હતો . આમ આઆ  બધા રાક્ષસો  ભારે તપસ્વી હતા. પણ તો પછી એ રાક્ષસ બન્યા શી રીતે? રાક્ષસ બન્યાએ કારણે કે તપથી મળેલી શક્તિનો ઉપયોગ એમણે  ભોગ માટે કર્યો.

   જે તપસ્વી હતા તે ભોગી થઈ ગયા, તપસવીનું પતન થાય છે ત્યારે એ વચ્ચે કયાંય અટકતો નથી-જઈને સીધો દાનવ બને છે. અને દાનવોની કોઈ જુદી જાતિ હોતી નથી. પ્રહલાદનો બાપ દાનવ હતો, કૃષ્ણનો મામો દાનવ હતો, દાનવ રાવણ પણ એક ઋષિનો પુત્ર હતો. આમ  આ જે દાનવ હતા તે બધા આપણા જ સગાસંબંધી હતાં
-દાદા ધર્માધિકારી

ઓગસ્ટ 11, 2008 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

Our love.

ઓગસ્ટ 9, 2008 Posted by | ગમતી વાતો | 1 ટીકા

એક સુંદર ગઝલ

કદમમાં    કોઈના   એકજ   ઈશારે   દિલ    ધરી  બેઠા,
બહુ   સસ્તામાં   જીવનનો  અમો   સોદો    કરી    બેઠા.

તમે   કે   જુલ્ફ    કેરી   જાળ    રસ્તે    પાથરી   બેઠા,
અમે   એવા    કે    જાણી  જોઈ  બંધનને   વરી  બેઠા.

પડી’તી  પ્રેમમાં   કોને   વિજય   અથવા  પરાજ્યની!
અમારે    પ્રેમ    કરવો’તો     તમારાથી    કરી   બેઠા.

કરીએ    કાકલુદી     એટલી    ફુરસદ    હતી    ક્યારે,
તકાદો     દર્દનો     એવો    હતો     કે  કરગરી   બેઠા.

હતી   તૉરી    કંઈ   એવી   તબિયત  કે   જીવન  પંથે
ગમે   ત્યારે   જીવી    બેઠા    ગમે   ત્યારે   મરી  બેઠા.

કદી  બદનામ   ગભરૂ   આંખ  ના થઈ  જાય  એ   બીકે,
જખમને    ફૂલ    સમજીને    જિગરમાં   સંઘરી    બેઠા.

અમારું     ધ્યેય    છે   બરબાદને    આબાદ   કરવાનું,
અમે    એ  કારણે      ખંડેરમાં    આંખો    ભરી   બેઠા.

અમારા   ને તમાર   પ્રેમમાં  ખૂબ   જ    તફાવત  છે;
અમે    રુસ્વા   બની  બેઠા   તમે   રુસ્વા   કરી   બેઠા.

-રુસ્વા  મઝલુમી

ઓગસ્ટ 8, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

પુત્રી-વિયોગથી શોકસંતપ્ત પિતાની વેદનાનું કાવ્ય-ચહું

તને  દીકરી!  આંહી  એવું  બધું  તે  હતું  દુઃખ  શું
જવું  જ  પડ્યું  કે   વછોડી  ભર્યું   ભાદર્યુ  આ ઘર?
ન  મેં, જનનીએ  ન, અન્ય  સ્વજનેય   ઉંચે સ્વરે
ન   વેણ   કહ્યું  ચોટ   અંતર   લગાડી  જાયે   અશું

હૂંફાળ    ફરતો   રહ્યો    જનની-હસ્ત   તારે   શિરે,
રહ્યો  વહી  વહાલ-સ્ત્રોત  મુજ    નિત્ય  તારા  પ્રતિ
વળી  ઉભય   બંધુની    ભગિની  લાડકી  તું   અતિ
તું   એકસરખી  હતી    પ્રિય   બધે    ઘરે   બાહિરે.

તું  આંહીં  નહિ  તોય  ટેવ-બળથી  તને  નામથી
પુકારી ઊઠું  ને  જઉં  પડી     બીજી  ક્ષણે  છોભીલો
ફરી   થઉં  સભાન  શીઘ્ર તું-અભાવથી, હું   ઢીલો
પડું, ઉર   ડૂમો   છૂટો મૂકી, ઝરી    રહું  આંખથી!

ચહું, ઝરી   ઝરી    ન    થાય ઉર મારું  ખલીખમ
રહે   ઝરણ-સિકત  તારી સ્મૃતિ  નિત્ય   લીલીછમ!

-દેવજી મોઢા(૧૯૧૩-૧૯૮૭)

ઓગસ્ટ 7, 2008 Posted by | મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

%d bloggers like this: