તોફાન-મેઘનાદ ભટ્ટ
મારા શૈશવના સ્મશાનમાં
પોઢી ગયેલી ક્ષણોને
પુનર્જન્મ આપો
તો…
દરિયાની ભીંસમાં ચગદાયેલ આ શહેરને
મારા ગામની નદીથી નવડાવી દઉં,
સમુદ્રનાં આ તોતિંગ મકાનો પર
નદી ઉપરનાં હિરણ્યગર્ભ વૃક્ષોનાં
હરિયાળાં તોરણો બાંધી દઉં
અને
ગાડા નીચેના શ્વાન જેવા
જનસમુદાયને,
મારા ફળિયાના રાજા
-ઓલા લાલિયા કૂતરા
જેવી રાડ પાડતાંય શીખવી દઉં.
કલ્લોલથી કલબલ કરતી
મારા શૈશવની એ ક્ષણોના
પુનર્જન્મને આવકારવા
ફાઉન્ટનના સુકાયેલા ફુવારામાં
એક એવું તો ધનંજય બાણ મારી દઉં
કે
અસહાય બનીને
ભરસભામાં દ્રોપદીનાં વસ્ત્રહરણના મૂક સાક્ષી બની
રહેલા
ભિષ્મ પિતામહની નીંદરઘેરી આંખો
ઉના એ પાણીની છાલકથી
સદાયને માટે
ખૂલી જાય, ખૂલી જાય.
– મેઘનાદ ભટ્ટ(૨૪-૧૦૧૯૩૬-૨૨-૦૪-૧૯૯૭) ૧૯૮૦માં પ્રકટ થયેલા કાવ્ય સંગ્રહ’છિપલાં’માં આ કવિ કહે છે ‘કવિતા મારે માટે જીવનનું એક ‘કમિટમેન્ટ’, પ્રતિજ્ઞાકર્મ છે, રહેશે. મેઘનાદની કવિતા વલોવી નાંખે , અસ્વસ્થ કરી મૂકે એવી છે . કવિતા નએ વિષાદ એના લોહીમાં છે. બીજો સંગ્રહ’મલાજો’૧૯૮૮મા પ્રકટ થયો.