પ્રણય-પત્રો-ચંદ્રકાન્ત ‘સુમન’
કાં પધારી એ રહ્યાં છે ? મેં પુકાર્યા તો નથી,
ખુદ-બ-ખુદ માની ગયાં છે , મેં મનાવ્યાં તો નથી.
કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા?
સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી!
દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યા તો નથી?
ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણય-પત્રો જલાવ્યા તો નથી?
કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,
એમણે અમને જિગરમાંહે વસાવ્યા તો નથી?
ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
અમને દિલબર ! તમે સપનામાં રડાવ્યા તો નથી?
કેમ ખારાશ છે આવી એ સંમદરના જલે?
આંખ! બે આંસુ કિનારે તેં વસાવ્યાં તો નથી?
યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મજા?
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંકવા તો નથી?
-ચંદ્રકાન્ત ‘સુમન’