શા માટે ?-મધુકર રાંદેરિયા
લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બહાર બધે ,
ન્હૈ તો અહીં એકી સાથે આ શાયરના અવાજો શા માટે ?
આકાશી વાદળાને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથા ગાજો શા માટે ?
મારો તો ઈરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે ?
આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારું રિવાજો શા માટે ?
કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી ?
‘પી’ ‘પી’ કહેનારા બોલે છે , આ ‘ પાજો’ ‘પાજો’ શા માટે ?
દફનાઈ જવાદો ગૌરવથી એ જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,
આસું ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે ?
નમન-નમનમાં હોય છે કૈ વધતો-ઓછો ફેર નકી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે ?
આ દિલને તમારે માટૅ તો બચપણાથી અનામત રાખ્યું છે,
આ સહેજે ઉંમરમાં આવ્યાં કે રોજ તકાજો શા માટે ?
આ વાત નથી છાની-છપની , ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે – ‘મધુકર’ નો મલાજો શા માટે ?
-મધુકર રાંદેરિયા