એક બાળકીને સ્મશાન લઈ જતાં
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું ?
છતાં સૌયે રોયા ! રડી જ વડમા લોકશરમે,
હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.
બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
ખર્યા, સ્પશર્યા તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર ? ને
વિચાર્યુ હું જેવે, મરણ કૂણું તે શીદ રડાવું ?
-છતાં સૌયે રોયા રૂઢિસર , દઈ હાથ લમણે.
ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
તહીં ઓટે તારી સરખી વયની ગોઠળ દીઠી.
રહી’તી તાકી એ, શિર પર ચઢીને અવરને
સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી,
અને પોતે ઊંચા કર કરી મથી કયાંક ચઢવા;
-અમે આગે ચાલ્યા -રમત પરખી જૈ જ કપરી,
ગળા પૂંઠે નાખી કર , પગ પછાડી સ્વર ઊંચે
ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી
અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું !
– ઉમાશંકર જોશી