ટુકડામાં !
પછી શોધ્યો નહિ જડશે કોઈ માનવ આ દુનિયામાં,
અમે મરતાં રહ્યાં જો આમ આશામાં ને આશામાં.
નીરખવા રૂપને સૌદર્યમય હોવું ધટે તેથી,
જૂવો છે સૌ તમારી આંખના સુંદર અરિસામાં.
પ્રતિક્ષા મહેલમાં કે ઝૂંપડીમાં એક સરખી છે,
વિરહ-રાતો મૂકી દે છે બધાને એક કક્ષામાં!
કરો આનંદની વાતો ચમનની બા’ર બેસી ને,
નથી રાખ્યું અમે કંઈ પણ ખિઝાં માટે બગીચામાં.
ધરા ઓછી પડી તેથી ઊડ્યો છું આજ આકાશે,
ખબર એ પણ હવે ક્યાં છે, ગગનમાં છું કે દુનિયામાં.
હૃદય તોડી જમાનાએ બહુ ઉપકાર કીધો છે,
હવે ક્યાં છે ફરક કંઈ પણ જુવો મુજમાં ફરિશ્તામાં.
પ્રણય માગે , ફરજ માગે, ધરા માગે, ગગન માગે,
કહો કોને કરું રાજી હૃદયના એક ટુકડામાં!
હૃદય સરસી જૂઓ ચાંપી લીધી આજે ‘નઝર’ એને,
ગઝલને મેં ગણી લીધી જીવનસાથીની ગણનામાં.
-‘નઝર’ તુરાવા
કવિશ્રી રાજેન્દ્ર શુકલને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત
‘રણજીતરામ સુવર્ણ ચંદ્રક’ જુન ૨ – ૨૦૦૭ ના રોજ મધૂસુદન પારેખના હસ્તે એનાયત થયો. ગુજરાતી ગઝલનું નવ સંસ્કરણ તેમના દ્વારા થયું છે.ઘણાં વર્ષોથી તેઓ ગઝલની જ એકોપાસના કરતા રહ્યા છે.ગઝલનું રૂપ અને ભજનોનો રંગ જ્યારે એમની કલમમાં ઘૂંટાઈને પ્રગટે છે ત્યારે પ્રગટે છે એક અનોખા મિજાજની ગઝલો.
રાજેન્દ્ર શુક્લનો જન્મ ૧૯૪૨, ૧૨મી ઓકટોબરના રોજ જૂનાગઢ જિલ્લા બાંટવા ગામે. ૧૯૬૫માં બી.એ. અને ૨૦વર્ષની ઉંમરે એમનું પ્રથમ કાવ્ય ‘કુમાર’માં પ્રગટ થયેલ. ૧૯૮૧માં પ્રગટ થયેલ ‘અંતર ગાંધાર’ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનું ઈનામ મળેલ.તેમજ તેમને ‘સ્નેહરશ્મિ’તથા ‘કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલ છે.
સુંવર્ણચંદ્રકે એનાયત કરતાં સમયે એમના પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું ‘પ્રતિભાવ’ તો હજુ જન્મે છે.
ક્રિયા વિશુધ્ધ કે કશી પ્રતિક્રિયા નવ હો..
કાવ્યની પંક્તિઓ ટાંકતા કહ્યું.
આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળીં ગયો છું હું .
અને ઉમેર્યુ કે આ દાઢી જો વધુ વધી હોતતો આ ચ્રંદ્રક પણ કદાચ ઢંકાઈ જાત.
સભાનું સંચાલન પ્રિયકાન્ત પરીખે કરતા કહ્યું હતું કે વક્તાઓનાં વક્તવ્યો બિનજરુરી રીતે દોહરાવશો નહી,સમારંભને સ્વયમ સંચલિત રહેવા દેશે. કાર્યક્રમમાં કવિપુત્રોનું આગમન અને કાવ્યગાન પછી શ્રી રાજેન્દ્ર પટેલે કવિની આધ્યાત્મિક અને ગઝલેતર કવિતાની સારી વાત કરી હતી.
શ્રીકુમારપાળ દેસાઈ એ કવિનું સમગ્રલક્ષી મૂલયાંકન કરતો આલેખ રજૂ કર્યો હતો
આ સુદીર્ઘ સમારંભ પૂરો થતાં, ઘર ભણી ગોઠવાતાં કવિપંક્તિઓજ મનમાં ઘૂંટતી રહી.
એ કહે જે મૌન રાખ ભીતરે જ ઘૂંટ સકલ
શું કરું હું શ્વાસ શ્વાસ ઉચ્છલંત ગાન ખૂલે.
રાજેન્દ્ર શુક્લના એક કાવ્યનો આસ્વાદ માણીએ.
સૂરજ The Sun
આંધળાને મન ઓરતો સૂરજ, An eternal yearning for the blind one-the sun
રાત દહાડો બસ ઘોરતો સૂરજ. Sleeping and snoring forever -the sun
લોક તો સકળ નીડ લપાયું, When all the folk nestle in the nest
ડુંગરામાં ઘર કોરતો સૂરજ. carves a home in the hills -the sun
કોણ્ર રે ભૂંસી નાંખતું, નભે And lo! who rubs off the sky
રોજ જે રેખા દોરતો સૂરજ? the line drawn everyday be the sun?
રોજનું દખ તે કહિયે કોને? With whom to share this daily despair?
સુખની નીંદર ચોરતો સૂરજ. Steals such a pleasant sleep , the sun!
આંખમાં કાં અંધાર ભરાતો Why doth darkness becloud the vision
મનમાં જ્યારે મ્હોરતો સૂરજ? When in the neing blooms the sun ?
(‘ઉદ્દેશ’ સૌજન્ય) (English translated by Narayan Jani)
આંબે બેઠો મોર -દિલીપ ઝવેરી
આંબે બેઠો મોર
પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા.
કોયલ કેરો શોર
નેણમાં નેણ પરોવી, ચૂપ હસી લેવાના દિવસો આવ્યા.
ભરબપોરે બોલી રહેતો કાગ
કોઈની વાટ જોઈ રહેવાના દિવસો આવ્યા.
કેસૂડાની ડાળ ડાળ પે આગ
જેમની પ્રિયા રહી પરદેશ એમના નિઃશ્વાસોથી ઊના દિવસો આવ્યા.
મારે સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.
-દિલીપ ઝવેરી(૦૩-૦૪-૧૯૪૩)ઉપનામ ‘તુષાર’. જન્મસ્થળ મુંબઈ
વ્યસાયે ડૉકટર ‘પાંડુકાવ્યો અને ઈતર’ એમનો કાવ્યસંગ્રહ.
પૌરાણિક પાત્રને આધુનિક સંદર્ભ આપી શકે છે.લયમુદ્રાનો કવિ.
લા-પરવા -બાલમુકુંદ દવે
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહીં, કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.
માન મળે, મળે ધન ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખતા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાકે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે , રંગ નહીં દૂજા ,
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીઠ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણાં તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી !
બેયે કોરે આપી જવી મુબારકબાદી ,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ , અને આવો તમે રોજા !
-બાલમુકુંદ દવે
એક બાળકીને સ્મશાન લઈ જતાં
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું ?
છતાં સૌયે રોયા ! રડી જ વડમા લોકશરમે,
હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.
બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
ખર્યા, સ્પશર્યા તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર ? ને
વિચાર્યુ હું જેવે, મરણ કૂણું તે શીદ રડાવું ?
-છતાં સૌયે રોયા રૂઢિસર , દઈ હાથ લમણે.
ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
તહીં ઓટે તારી સરખી વયની ગોઠળ દીઠી.
રહી’તી તાકી એ, શિર પર ચઢીને અવરને
સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી,
અને પોતે ઊંચા કર કરી મથી કયાંક ચઢવા;
-અમે આગે ચાલ્યા -રમત પરખી જૈ જ કપરી,
ગળા પૂંઠે નાખી કર , પગ પછાડી સ્વર ઊંચે
ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી
અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું !
– ઉમાશંકર જોશી
ઉભા છે મજારો-‘સાલિક’ પોપટિયા
જવાનીમાં તૂટી ગયો છું અકાળે,
હું સંજોગોના કંઈ ઝીલી પહારો;
છતાં સાંત્વન મેળવી હું લઉં છું,
છે મારી સમા આ જગતમાં હજારો.
યુવાનીની મારી વંસતો લુંટીને,
ગયું કોઈ પીંખી જીવન-વાટીકાઓ;
ધરા પર સુમન થઈ પમરી શક્યો ના,
પછી થાઉં ક્યાંથી ગગનો સિતારો ?
નથી લભ્ય થાતું મને જે જીવનમાં,
મળી જાય છે એ મને કલ્પનામાં ;
ધરા વાસ્તવિકતાની છોડી કરું છું
કદી કલ્પનાના ગગનમાં વિહારો.
જગત તો ખરું કિંતુ વેરાનમાં પણ
અમીરી-ગરીબીના ભેદો છે બાકી;
કબર કોઈની છેક તૂટી ગઈ છે,
કોઈની કબર પર ઉભા છે મજારો.
નિરાશા હૃદયને છો ડસી રહી છે,
ભલે ચાલ પલટે ગ્રહો ભાગ્ય કેરા;
મને એક શ્રધ્ધા છે કિન્તુ જીવનમાં;
નિશાઓની પાછળ ઊગે છે સવારો.
કે મંઝીલ ઘણી દુર છે દૂર માનવ!
ન સમજે અનાદિ જીવનનાં તું ભેદો;
મરણ તું કહીને વગોવે છે એને,
જે થાકીને પંથી કરે છે ઉતારો.
સુમન જેમ સૌરભ પ્રસારીને ‘સાલિક’
ઘડીભર એ આકાશે વેરીને ઉલ્કા;
ગગનથી જે તૂટી રહ્યો છે ધરા પર,
રખે હોય એ મારા કિસ્મતનો તારો.
-‘સાલિક’ પોપટિયા
કિનારા કંઈ નથી કહેતા
*********************************
ફિઝાં ખામોશ છે જાણે નઝારા કંઈ નથી કહેતા,
જિગર બેચેન છે તોયે સિતારા કંઈ નથી કહેતા.
સફરમાં પણ દિલાસો એટલો એમને નથી મળતો,
છે મંજિલ કેટલી છેટે , ઉતારા કંઈ નથી કહેતા.
વમળ કેરી થપાટોએ ફગાવાઈ છે આરે પણ,
અમારી નાવ કયાં ડૂબી કિનારા કંઈ નથી કહેતા.
જીવનની અલ્પતાનો મર્મ પામી જાત સૌ કિંતુ,
ઉઘાડા હાથ લઈ જગથી જનારા કંઈ નથી કહેતા.
પ્રણયમાં હોયના ફરિયાદ ‘સાલિક’ જો પતંગાને,
જીવન બાળી , શમાને ભેટનારા કંઈ નથી કહેતા.
-‘સાલિક’ પોપટિયા
ફરસાણ પ્રેમી સુરતીનું પ્રણય ગીત
બિલ્લીબેન, આજ દુધ લેવા તમે કેમ ? ‘શેઠાણી હજુ ઘોરે છે ! બિલ્લી બોલી, જલ્દી દુધ આપી દો , મારું તો પેટ ભરાય!
***************************************************************
અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોકરીમાં,
નથી પડતો હવે ઈન્ટ્રેસ્ટ પેટીસમાં કચોરીમાં.
પ્રિયે એવી મને તું પ્રેમ રસથી ભરી ભરી લાગી.
કદી પાણીપુરી લાગી કદી ચટણીપુરી લાગી.
થતી તુંજ વાત ને એમાંયે તારા રૂપની ચર્ચા,
જણે ગરમાગરમ ભજિયા અને હો સાથમાં મરચાં!
અમારો તે છતાં ન થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજરોજ ખાધી ભેળ તારી સાથ.
હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.
અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું!
– રઈશ મનીયાર
આજના સુવિચારો **
* નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું કોઈ નથી
*તટસ્થ નિર્ણયશક્તિની સહુથી સાચી કસોટી એ છે કે આપણાં પ્રશંસકો પણ
આપણને અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
પ્રશંસા પણ આપણે કરી શકીએ.
*બીજા કોઈને ખોટો પુરવાર કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે આપણી
સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.
* તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)
ધણીને ધાકમાં રાખો
વિકેન્ડનો જોક્સઃ
એક નિવૃત કાકાએ બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ ખરીદી અને એ નવી ગાડી લઈ હાઈવે પર લીધી, ઘણાંજ ઉત્સાહ અને ઊમંગમાં ગાડી હાઈવે પર ૮૦ માઈલની સ્પીડે ચલાવતા હતાં, કાકાને થયું કે ગાડી ધીરી ચાલે છે. સ્પીડ વધારી ૯૦ માઈલની કરી. તૂરતજ સ્ટેટ ટ્રુપર(હાઈવે પોલીસ) પોલીસકારની લાઈટ અને સાયરન સાથે કાકાની ગાડી પાછળ પડ્યો. કાકા એ સ્પીડ વધારી ૧૦૦માઈલની કરી, પછી ૧૧૦ માઈલની, પછી કાકાને વિચાર આવ્યો કે મારી ઊંમર પ્રમાણે આ યોગ્ય છે? એણે ગાડી ધીમી પાડી ને પછી એક સાઈડમાં ઊભી રાખી. પોલીસ તેની કાર પાસે આવી કહ્યું ‘ મારી ડ્યુટી અડધી કલાકમાં પુરી થાય છે, તેમજ આજે શુક્રવારે છે હું મારું કે તમારું વિકેન્ડ બગાડવા માંગતો નથી. તમે મને કોઈ એવું કારણ આપો કે મેં મારી જિંદગીમાં કદી સાંભળ્યું ન હોય !”
તુરતજ કાકા બોલ્યા ” થોડા સમય પહેલા મારી બૈરી મને છોડી , એક પોલીસ સાથે ભાગી ગઈ છે, અને તમને જોઈ મને લાગ્યું કે તમે મારી બૈરી ને લઈ મને પાછી સોપવા પાછળ આવો છો !
પોલીસ તુરત ટિકિટ આપ્યા વગર હસતાં હસતાં કહ્યું.. “કાકા તમે જઈ શકો છો!”
****************************************************************
ધણિયાણી ઓ ધણિયાણી
સલાહ તમને આ સુફિયાણી
મૂકો ના ઢોરને છૂટું કે નથણી નાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો , ધણીને ધાકમાં રાખો
કરે જો ગલ્લાંતલ્લાં એક સાડી લાવવા માટે
તમાકુ પાનબીડીના હિસાબો માંગતા રહેજો
તમે હો ગેરહાજર ઉડાવે ના એ છકકનિયાં
પિયરથી બે દિવસ વહેલા જ નીકળી આવતા રહેજો
ગમે તે રીતથી એને કોઈ પણ વાંકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
તમે રાંધોને એ અખબાર વાંચે, ના ચલાવી લ્યો
મસાલો વાટવા આપો , જરા કાંદા કપાવી લ્યો
રવિવારે રજા એની તમે શાને રસોડામાં ?
સિનેમા જોઈને એકાદ હોટેલમાં જ ખાઈ લ્યો
જમાડો ના શિખંડ-પૂરી , બફેલા શાકમા રાખો
ધણીને ધાકમાં રાખો .
જો કપડાં પર જરા પણ સેન્ટ છાંટે તો નજર રાખો
વધારે બૂટ પોલિશ જો કરાવે , તો નજર રાખો
કરચલી શર્ટમાં પડવા ન દે , ભયની નિશાની છે
રૂપાળી તો નથી સેક્રેટરી પર્સનલ, ખબર રાખો
બને તો પાયજામાં કફનીના પોશાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
કે પહેલી તારીખે તમને પૂરી આવક એ આપી દે
અરે! હિંમત શું એની કે તમારો બોલ ઉથાપી દે!
કે સાવરણી અને વેલણ સદાયે હાથમાં રાખો
તમે માંગ્યું હો બસ પાણી અને એ દૂધ આપી દે
કડાકો એટલો ઊંચો તમારી હાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
-રઈશ મનીયાર
તું સુખી મારા વાસમાં-‘બદરી’ કાચવાળા
ન ઝટ્કો જુલ્ફ સે પાની,
યે મોતી તૂટ જાયેગા,
તૂમ્હારા કુછ ન બિગડેગા,….( મગર)
હમારા દિલ તૂટ જાયેગા!
***********************************************
સંતાય રહેશે ક્યાં સુધી તું મારા વાસમાં?
તુજને હું જોવા ચાહું છું ,તારા અસલ લિબાસમાં.
દિલને મારું ભગ્ન તેં કર્યુ, હાય તેં શો ગજબ કર્યો?
પંથનો હું દિપક હતો, તારા જીવન વિકાસમાં.
ધર્મ ને કર્મજાળમાં મુજને હવે ફસાવ ના,
મુજમાં તું ઓતપ્રોત છે, હું તારા શ્વાસે શ્વાસમાં.
દર્શનની લાલસા મને , ભક્તિની લાલસા તને,
બોલ હવે છે ક્યાં ફરક , તુજમાં ને તારા દાસમાં?
તું તો પ્રકાશપુંજ છે , મુજને તો કંઈ પ્રકાશ દે,
ભટકું છું હું તિમિર મહીં , લઈજા મને ઉજાસમાં.
મુજને નથી કાં સ્પર્શતાં તારાં અભયવચન બધાં,
પૂરાં કરીશ તું બધાં, તું તારાં સ્વર્ગવાસમાં?
તારુંય દિલ વિચિત્ર છે, તારો સ્વભાવ છે અજબ,
કેમ રહે છે દૂર દૂર , રહીને તું આસપાસમાં.
મારો જગત નિવાસ છે, તારો નિવાસ મુજ હૃદય,
હું તારા વાસમાં દુઃખી, તું સુખી તારા વાસમાં?
-‘બદરી’ કાચવાળા
ભડકા નથી હોતા-“મુકબિલ” કુરૈશી
પેંડાભાઈ, જરા જલ્દી કરો ! મને “પી ” લાગી છે! હો!
*******************************************
નિંરતર જિંદગીમાં દુઃખના દા’ડા નથી હોતા,
ચમનમાં ફૂલ પણ છે, એકલા કાંટા નથી હોતા.
ચરમ સીમા ઉપર પહોંચે, ખુશામદથી એ થાયે,
શશી સોળે કળાએ ખીલે તો તારા નથી હોતા.
તુષાતુર જીવ! તારી પ્યાસને પણ તૃપ્તિ મળવાની,
સરિતા પણ છે દુનિયામાં, બધે દરિયા નથી હોતા.
પ્રરણની હસ્તીનો આધાર છે સૌંદર્યની હસ્તી,
શમા જલતી નથી હોતી તો પરવાના નથી હોતા.
તમે કાં બીકમાં પાછા હટો ? એ ડંખ ના દેશે,
આ અરમાનો અમારાં સાપના ભારા નથી હોતા.
ભલે મોતી શું મૂલ્યાંકાન જગત આંકે છે એનું પણ,
અમારાં આસુંઓ કૈ એટલા સોઘા નથી હોતાં.
સમય એવોય આવે છે કદી આ જિંદગાનીમાં,
કે જ્યારે સાથમાં ખુદના જ પડછાયા નથી હોતા.
કહો કેવી રીતે જીવું હું એ વાતાવરણ માંહે ?
પરિચિત જ્યાં મને કોઈના પણ ચહેરા નથી હોતાં.
અમો અલગારીઓની સૃષ્ટ પણ કેવી અનોખી છે !
નથી હોતા કદી જ્યાં રંક કે રાજા નથી હોતા.
આ દુનિયાને કદી પુરેપુરી ના ઓળખી શકશે,
હૃદય પર ઘાવ કારી જેમણે ઝીલ્યા નથી હોતા.
સુખી છું એટલે ‘મુકબિલ’ હંમેશા વિશ્વની નજરે,
હૃદયની આગના જાહેરમાં ભડકા નથી હોતા.
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
ફોટોઃ “ગુજરાત સમાચાર”
જગન્નાથ-મંદીરનું રક્ષણ કરવા ભારતિય લશ્કરના યુવાનો ભરી બંદૂકે ઊભાછે..ભક્તોની સંખ્યા કરતાં,રક્ષકોની સંખ્યા વધારે દેખાય છે.ઈશ્વરનું સ્થાન પણ સલામત નથી?
(મંદીરની સુરક્ષા કરતા બંદુકધારી સૈનિકને જોઈ સ્ફુરેલ કાવ્ય.)
*****************************************************************
જગના કહેવાય નાથ જે જગન્નાથ-મંદીરમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
શરણ માંગુ જેનું નિશદિન હર દુઃખમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
ભક્તોની ભીડ-ભાંગે જે હર-પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
દૂશ્મન જેને જોઈ જાય ભાગી પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
કોણ કોનું રક્ષણ કરે પ્રભુ આ જગતમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
સુદર્શન-ચક્ર ક્યાં આજ થંભી ગયું તારા હાથમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?
મુજથી રોવાયું નહીં-બરકત વીરાણી ‘બેફામ’
આધુનિક વૈજ્ઞાનિક યુગમાં કરતાં નવા નવા પ્રયોગો અને તુક્કા લગાડવા જતા સિંહ જો કાંગારૂ બની જાયતો તે કેવો લાગે?
******************************************************************
સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં,
દિલ તને દીધા પછી દુનિયાને દેવાયું નહીં.
મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તેજાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.
આપનો પરદો વિરહની રાતના જેવોજ છે,
આપને જોતો રહ્યો ને કાંઈ દેખાયું નહીં.
થઈ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઈ પર.
મોત આવે ત્યાં સુધી મારાથી જિવાયું નહીં.
જેને દર્શાવ્યું મેં, એણે ફેરવી લીધી નજર,
મારી એકલતાનું દુઃખ કોઈથી જોવાયું નહીં.
સાથ મારા શત્રુનો લેવો પડ્યો એ કાર્યમાં,
મારે હાથે તો જીવન મારું મિટાયું નહીં.
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મરવા પછી,
સૌ રડ્યા ‘બેફામ’ જ્યારે મુજથી રોવાયું નહીં.
-બરકત વીરાણી ‘બેફામ’
તો શું થાશે ?
ખુશી આવે જો જીવનમાં , હે મારા ગમ ! તો શું થાશે ?
છતાં તારી રહેશે હાજરી મોઘમ , તો શું થાશે ?
ભલે ને એક વેળા નાશ થાયે , આખી સૃષ્ટિનો,
ફરીથી આ જગતમાં આવશે આદમ, તો શું થાશે ?
અમારા બેઉ વચ્ચે આભ ધરતી જેટલું અંતર,
ને ક્ષિતિજે થશે જો બેઉનો સંગમ , તો શું થાશે ?
છું દુઃખમાં તોય મારે જગને તો સુખ આપવું પડશે ,
ફૂલો જો પાનખરમાં દે નહીં ફોરમ, તો શું થાશે ?
રહ્યો ‘ બેચેન’ કિન્તું ના નમ્યો કોઈને જીવનભર,
રહે એ જોઈ મારું મોત જો અણનમ,તો શું થાશે ?
-‘બેચેન’
જમાનો બદલાય છે.બૈરા પણ બદલાય છે!(હસો યાતો રડો!)
ગઈ કાલની સ્ત્રી!
પતિ દેવો ભવ! સુપ્રભાતે ઊઠી પત્ની પતિની સેવા કરતી. તેમની ચરણ રજ સ્પર્શ કરવા! પતિઓ કેટલા ખુશ હતા?
**********************************************************************
આજની સ્ત્રી
ભાઈ જાગો જમાનો બદલાયો ! ભાગો, ઉઠો ! ચા તૈયાર થઈ? કોફી ! નાસ્તો તૈયાર છે? લો હવે દેવીને ઉઠાડો!
***********************************************************************
આવતી કાલની સ્ત્રી !
” હવે નોકરની જરુરજ નથી! રસોયો , ના, ના એવા ખોટા ખર્ચ શા માટે ? હવે એ અમારા ઘરનું બધુંજ કામ સંભાળે છે!” દેવી છાપુ વાંચતાં વાંચતાં બોલી! “વાસણ, વેક્યુમ, ગારબેજ ,
લોન્ડ્રી,આર્યન(ઈસ્ત્રી),બસ મારે તો જોબ સિવાય કશી ઘરની ચીંતાજ નથી!”
****************************************************************
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું !!
આ ફોટો જોઈ એક જોક્સ યાદ આવી જાય છે.. એસિયન અને યુરોપિન સ્ત્રીમાં તફાવત શું?
તફાવત માત્ર એટલો કે એસિયન સ્ત્રી પુરુષની પાંચ ફૂટ પાછળ ચાલે છે ! અને યુરોપિયન સ્ત્રી પુરુષને વાંદરાની જેમ નચાવે છે !( જોકે હવે સમય બદલાયો છે. એક જૂની કહેવત યાદ આવી જાય છે. પહેલાં કહેવાતું કે..દિકરી ને ગાય દોરે ત્યાં જાય ! ને હવે કહેવાય છે કે દિકરીને ગાય ફાવે ત્યાં જાય!)
***************************************************************************
કોઈ હમદર્દ આવે છે , કોઈ ગમખ્વાર આવે છે,
હજારો દર્દ લઈ ને લોક મારે દ્વાર આવે છે;
ઘણાં તો શખ્સ એવા કે મને ધિક્કાર આવે છે,
છતાં મુજ ભાવન કિંમત નથી, વર્તન ને વેચું ઉં,
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું.
મને મારી આ બરબાદીઓનો કંઈ ગમ નથી હોતો,
રહે છે કોઈ-કોઈ વાર પણ હરદમ નથી હોતો,
આ બેપરવાહીનો આનંદ પણ કંઈ કમ નથી હોતો,
જગતમાં જીવવું જો હોય છે જીવનને વેચું છું,
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું.
જવાની જાય છે વીતી ને જોબન જાય છે ઢળતું,
મેં મારી નથનીને વેચી છતાં કઈ પણ નથી વળતું,
હવે તો દેહ વેચી પેટ પૂરતું પણ નથી મળતું,
ઘણી વેળા હું મારા દેહના કંચનને વેચું છું,
ફકત એક પેટને ખાતર હું આખા તનને વેચું છું.
-નઝ્
એક ગઝલ -‘નાશાદ’
ફરતું બધે પાણી, વચ્ચે વહેતા વાહન,એની પર માલ-સામાન,
કોઈ તો બચાવો બાપલા, ઉપર હસતું આસમાન!
***************************************************
સંતાપ શુષ્ક ચહેરે અચાનક મળ્યો હશે;
ઈચ્છાનો સર્પ પાછો જરી સળવળ્યો હશે.
દરિયો અકારણે તો નહીં ખળભળ્યો હશે,
ધરતી ધ્રૂજી હશે કે હિમાલય ચળ્યો હશે.
કારણ બન્યું શું રાતે સતાવે ઉજાગરો,
સૂરજ કદાચ સાંજના વ્હેલો ઢળ્યો હશે.
મારી નિકટ ભલે એ વ્યથાનો વિષય રહ્યો,
સ્વપ્નાનો આ જુગાર કોઈને ફળ્યો હશે.
હોઠોનું દંભી હાસ્ય પચાવી શક્યો નહીં,
મારા હ્રદયનો ભાવ અરીસો કળ્યો હશે.
‘નાશાદ’ કોણ દોરે છે પંથ અંધકારમાં,
સંભવ છે બારસાખે દીવો ઝળહળ્યો હશે.
-નાશાદ( ૧૫-૦૫-૧૯૪૯) મુળનામ ગુલામઅબ્બાસ એડનવાલા.
વડોદરામાં રહે છે.’ગુંજારવ ‘, ‘અણસાર’ કાવ્ય સંગ્રહ.
એક ગઝલ-મોમિન
ગણ્યા ગણાય નહી, વિણ્યા વિણાય નહીં, તોય નાનીસી કારમાં આટલાં બધા સમાય!
***********************************************************************
એ મયકદામાં જેઓ કદાપિ ગયા નથી ;
તેઓ કહે છે સાકીના દિલમાં દયા નથી.
ઉપહાસ સ્મિતમાં એ હશે કે હશે સ્વિકાર,
ખુશ્બૂ પરખવી દ્રષ્ટિથી સ્હેલી કળા નથી.
એ તર્ક હો કે કલ્પના ‘જ્યાં ધૂમ્ર છે ત્યાં આગ’
અશ્રુ નયનમાં છે ને હ્ર્દયમાં વ્યથા નથી.
સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી.
નિષ્ફળ જીવનમાં કોને ગણું કોને કામયાબ,
નૌકા ડૂબે છે ત્યાં બધે કારણ હવા નથી.
સમજાવું શી રીતે હું પ્રણયના બધા પ્રસંગ ,
આ દિલ બળી રહ્યું છે ને બળતી હવા નથી.
‘મોમિન’ ઊભું છે દ્વાર પર આ કોણ ક્યારનું,
‘આવો’ કહ્યું તો કહે છે એ ‘અંદર જગા નથી.
-મોમિન-(૧૮૮૨-૧૯૪૧)
ઘરોમાં પત્નીનું જ રાજ હોય છે
વોશિંગ્ટન, તા.: ૦૭
આખરી બને છે, એનો જ હુકમ ચાલતો હોય છે. આયોવા સ્ટેટતાજેરમાં કરાયેલ એક અભ્યાસ પ્રમાણે દરેક ઘરમાં પત્નીનું જ ચાલતું હોય છે. ઘરમાં જ્યારે પણ કલેશ થાય તો એનો જ બોલ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસ અનુસાર પત્નીઓ પતિ ઉપર વાણી અને વર્તન બંને રીતે વધુ જોરાવર હોય છે અને હુકમ ચલાવતી હોય છે. કોઈપણ વાતે વિવાદ થાય તો એનો અંત લાવવામાં આખરી શબ્દ પણ પત્નીનો જ હોય છે. ભલે ગમે તેણે શરૂઆત કરી હોય કે ગમ તેનો વાંક હોય. પત્નીઓ આગળ જતાં પતિ સાથેનો સબંધ કેવો બનશે તે અગાઉથી જાણી લે છે, આગોતરા પગલાં ભરીને સબંધો સચવાય તેવા પગલાં ભરવા લાગે છે, દરેક કામ બરાબર થાય તેની ચોકસાઈ રાખે છે અને પરિવારમાં બધા સુખી અને ખુશ રહે તેનો ખ્યાલ પણ રાખે છે. અભ્યાસ કરનાર નિષણાતોમાંના એક મનોવિજ્ઞાનના પ્રોફેસર ડેવિડ વોગેલ કહે છે કે પતિ ગમે તેવો હોય પત્ની પોતાની રીતે હુકમ ચલાવતી થઈ જ જાય છે. તે પતિ કરતાં વધુ જવાબદારીઓ પણ ઉપાડતી હોય છે. આવું બદલાતા સમાજને કારણે થયું છે કે કેમ તેનો જવાબ હજી નિષ્ણાતો શોધી રહ્યા છે.
“સંદેશ”ના સૌજન્યથી
અભિપ્રાયઃ મારું વ્યક્તિગત રીતે માનવું છે કે આ લેખ સંશોધનને આધારે લખાયેલ છે.પત્નીનું કાયમ ચાલતું હોય છે એમાં સહમત થતાં પહેલાં અભિપ્રાય અને વ્યવાહરિતાની તપાસવી જરૂરી છે..અહીં માજી ને સ્વ.પ્રમૂખ રેગનની પત્ની નેન્સી રેગનનો ટી.વી પર ઈન્ટવ્યું હતો (જ્યારે રેગન પ્રેસિડેન્ટ હતાં)અને તેણી ને પૂછવામાં આવેલ કે પતિ-પત્નીના સંબંધો ફિફટી-ફિફટ હોય છે કે કેમ ? ત્યારે એમણે બહુંજ સૂંદર જવાબ આપેલ કે એ કાયમ શક્ય્ નથી કે પતિ-પત્ની વચ્ચે સંબંધ કાયમ ફિફટી ફિફટી હોય શકે! કોઈ વાર પતિ ૬૦% અને પત્ની ૪૦% તો કોઈવાર પત્ની ૭૦% તો પતિ ૩૦% ,પતિ-પત્નીના સંબંધમાં કોઈ કાયમી એકજ મેજરમેન્ટ આંકી ન શકાય!
મને હજુ મિત્રની પતિ-પત્નીની વાત યાદી આવી જાય છે. એ ભારત થી આવ્યાને એકાદ -બે વરસ થયાં હશે .હ્યુસ્ટ્નમાં સ્થાઈ થયાં અન અમારે એમને ત્યાં અવાર-નવાર જવાનું થતું.. મિત્ર પોતે રેફ્રી-જેટર પાસે ઉભા હોય ને તેની પત્નીને કહે ..”મને પાણી આપ!” આપણને જરૂર લાગે કે એક નાની વસ્તું પણ જાતે કરી ન શકે ! એક ત્રીપિકલ ઈન્ડીયન હસબન્ડ!( જોકે સમય પ્રમાણૅ હવે એ મિત્ર ઘણાં ચેઈન્જ થઈ ગયાં છે)
અને લેખમાં ઉલ્લેખ પણ થયો છે કે પતિ-પત્ની સંબંધો સચવાય તેના સાવચેતી અને ચોકસાઈ ના પગલા તેણી લેતી હોય છે.આ દેશમાં પણ ઘણી પત્નીઓ
હાઉસ-વાઈફ હોય છે અને કૌટુંબિક જવાબદારી પોતાની પર રાખે છે.અહીં પણ ઘણાં ઉત્તમ-કક્ષાના ફેમીલી છે અને તેમાં કોઈ જાતની હરિફાઈ જોવા નમળે કે કોનું વધારે ચાલે છે!
પતિ-પત્નીના સંબંધો સિક્કાની બે સાઈડ જેવા છે! અરસ-પરસની સમજૂતી સાથે ત્યાગની ભાવના!કોનું કેટલું ચાલે છે એના કરતાં એક-બીજા સાથ મળી કુટુંબની જવાબદારી કેટલી સુંદર રીતે નિભાવે એ મહત્વનું છે.
ચાલો દોસ્તો, આપણે નિરંજન ભગતે સ્ત્રી-પુરુષ વિષે લખેલ કાવ્ય માણીએ.
“તમે જે નથી..”
સ્ત્રીઃ આમ શું તમે મને જોઈ રહ્યા છો?
આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.
આજે જ મને જૂઓ છો?કદી મને જોઈ નથી ?
જૂઓ, હું એની એજ છું, જે આજ લગી હતી.
આમ આજે શું મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો?
પુરુષઃ તમે એનાં એ જ છો એ માત્ર તમારો વહેમ છે,
તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે?
આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.