એક ગઝલ-“નાઝ” માંગરોલી
મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સંમદર લાગે છે.
નૌકાને ડુબાડી દેવાનો આ સુંદર અવસર લાગે છે.
શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશા છેટથી રળિયામણાં ડુંગર લાગે છે.
દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશી ને તારાઓ,
પણ વિરહી હ્રદયને દુનિયામાં અંધકાર નિરતંર લાગે છે.
આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત! જરા થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.
ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારા ને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.
દુઃખદદૅ જીવનનાં ભૂલી જવા હું “નાઝ્ મદિરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હ્રદય પર લાગે છે.