ઢળી જાયતો કહેવાય નહીં
આજ સૌ આશા ફળી જાય તો કહેવાય નહીં,
મોત માગ્યું છે , મળી જાય તો કહેવાય નહીં.
ના, નહીં વાત કરું એને કદાપી મારી,
રૂપરેખાથી કળી જાય તો કહેવાય નહીં.
જે લગારે ન બળ્યા જ્યોત થકી પરવાના,
વિરહને આગે બળી જાય તો કહેવાય નહીં.
વાતને ફેરવી નાખે છે ખૂદા ખેર કરે,
એના શબ્દો એ ગળી જાય તો કહેવાય નહીં.
બેવફા કહેશો નહીં મુજને વંચન ભંગ થશે,
દેહ છે માર્ગ ઢળી જાય તો કહેવાય નહીં.
આંગળી મારા તરફ આજ રહ્યાં છો ચીંધી,
જીવને મોક્ષ મળી જાય તો કહેવાય નહીં.
આજ ‘નાઝિર’ની ઉપર એમની દ્રષ્ટિએ ઠરી,
સોને સુંગધ ભળી જાય તો કહેવાય નહીં.
-નાઝિર