કવિનું વસિયત નામું-સુરેશ જોષી
કદાચ હું કાલે નહિ હોઉં;
કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સુકવવું બાકી છે.
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમા એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પકવ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.
કાલે સાગર છલકે તો કહેજો કે
માર હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચુરેચુરા કરવા બાકી છે.
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.
કાલે જે અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં….