પુસ્તક મિત્ર છે..

પુસ્તક મિત્ર છે
આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.
પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ
જોઈ શકો છો.
પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.
અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.
જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.
પુસ્તક વિનાનો માણસ
ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય
તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.
-રાજેશ વ્યાસ’મિસ્કીન
સૌજન્ય” ઉદ્દેશ”



