શૈલેશ પંડ્યા ‘ભીનાશ”
બોલ અજવાળું સમયનું માપવાથી શું મળ્યું?
રાતને વિશ્વાસ જેવું, આપવાથી શું મળ્યું?
મૌનમાં કાયમ હતો, ઈતિહાસ ક્યાં લાગ્યો તને,
રોજે ઈશ્વરની કથાઓ, છાપવાથી શું મળ્યું?
લે, ખતમ કર જિંદગી, કોની હજીયે બીક છે,
એકલું પ્રતિબિંબ મારું, કાપવાથી શું મળ્યું?
આખરે તું સત્યથી ધ્રુજ્યો એ સાચી વાત પણ,
આગ સામે ફૂંક મારી, તાપવાથી શું મળ્યું?
મોત સૌ ક્યાં સુધી વગ સાચવીને રાખશે?
શ્વાસનું સગપણ હ્ર્દયમાં , સ્થાપવાથી શું મળ્યું?
આ ભલી છે ભૂમી ગુજરાતની
છબકલા છાના કરી,છૂપાયેલા ઓ! કાયર,
આવું કારમું કૃત્ય ન કર,
અહિંસાની ખોટી છેડતી ન કર..આ ભલી છે ભૂમી ગુજરાતની
નિર્દોષ સૌ ઘવાયા-મરાયા,
બાળ નાના રસ્તે રઝળતા જોવા મળે,
ભોળી છે પ્રજા,ભડકાવમાં.આ ભલી છે ભૂમી ગુજરાતની
.
શાંતી -ચાહક, અહિંસાના પૂજારી,
વિના શસ્ત્રે જીતી આઝાદી એવા ગાંધી,
ન ડગશે કોઈઆવી આંધીથી..આ ભલી છે ભૂમી ગુજરાતની
વસ્યા છે વિશ્વામાં ભાઈ-ચારાથી,
ભળી રહી શકે સૌ સાથ સંપથી,
તોડી ના શકે એની કોઈ સાકળ..આ ભલી છે ભૂમી ગુજરાતની
નિડર એવા લીડર દેશને દીધા,
એવી છે આ ભૂમી સરદારની,
ન ડરશે આવા કોઈ તોફાનથી..આ ભલી છે ભૂમી ગુજરાતની
ના કરો આવા કોઈ અડપલા,
‘શાંત જળ’પણ ઉંડા છે જળ જેના,
ડુબાડતા, ખૂદ ડૂબી જશો ..આ ભલી છે ભૂમી ગુજરાતની
એક ગઝલ-આશિત હૈદરાબાદી
માથું ભમી ભમીને કહો કેટલું ભમે?
ડિસ્કો ગમી ગમીને કહો કેટલું ગમે?
આ તો ચુનાવનો જ ચમત્કાર માત્ર છે,
નેતા નમી નમીને કહો કેટલું નમે?
શ્રોતાઓ ‘બોર’ થઈને વગાડે છે તાળીઓ,
ભાષણ ગમી ગમીને કહો કેટલું ગમે?
ભણતરથી ભાર કેટલો પુસ્તકનો થૈ ગયો,
બાળક ખમી ખમીને કહો કેટલું ખમે?
કહેતા હતા કે વૃધ્ધ ને બાળક સમાન છે,
ઘરડાં રમી રમીને કહો કેટલું રમે?
કોન્ટ્રાક્ટથી ચણેલ મકાનો પડી ગયાં,
ચણતર નમી નમીને કહો કેટલું નમે?
courtesy-pragnajuvyas
જિગર જોષી”પ્રેમ”
પહાડોએ કદી લૂંટ્યો, કદી પડ્ઘાએ લૂંટ્યો છે,
કદી ઈચ્છા ગઈ લુંટી, કદી શમણાએ લૂંટ્યો છે.
અનોખી ભેટ આપી છે તમે આ રાહ ચીંધીને,
દિશાઓએ કદી લૂંટ્યો, કદી નકશાએ લુંટ્યો છે.
નથી અક્બંધ હું જીવ્યો, સલામત હોઉં હું ક્યાથી?
કદી તૃષા ગઈ લૂંટી, કદી ઝરણાએ લૂંટ્યો છે.
કરમ છે બેઉના સરખા, દુઆ બન્નેની સરખી છે,
કદી પાયલ ગઈ લૂંટી, કદી પગલાએ લુંટ્યો છે.
ફકીરી હાલ આ કંઈ ‘પ્રેમ’ના અમથા નથી યારો,
કદી મંઝીલ ગઈ લૂંટી , કદી રસ્તાએ લૂંટ્યો છે.
રંજીદા પતિ યાને Ten commandments
કામ કંઈ જાતે કરી લો, ના મને વહેલી જગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
ચોતરફ કચરા પડ્યા છે, હાથમાં ઝાડું ઉપાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
હાથ શું ભાંગી ગયા છે? આમ કાં વાસણ પછાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
બાબલો રોયા કરે છે, ચોપડા મૂકો રમાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
હાથમાં ન આવે રમકડાં, તો પછી થાળી વગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
વાંક દેખુ માત્ર છો? જાતે કશું રાંધી બતાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
દોસ્ત છે તો શું થયું, જઈ લોજમાં એને જમાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
સાવ સાચું બોલજો, કાં આટલું અત્તર લગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
સાવ બહેરા થઈ ગયા છો, કોઈ ડૉકટર ને બતાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
છે ખબર ? પેઘે પડ્યો છે તુર્ત ’આશિત’ ભગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
- આશિત હૈદરાબાદી
ફેંકીએ-ભગવતીકુમાર શર્મા
પહેલાં તો ખુદની જાતને પડકાર ફેંકીએ,
શત્રુની સામે તે પછી તલવાર ફેંકીએ .
એ પ્રેમનું નગર હો કે ઈશ્વરનું ધામ હો,
ત્યાં પહોંચતા પહેલાં અહંકાર ફેંકીએ.
જીતી જવું હો સત્યની સામે તો દોસ્તો!
જૂઠાણાં ભર અદાલતે દસ-બાર ફેંકીએ.
વેચોં , ખરીદો, ગિરવે મૂકો શક્ય છે બધું,
માણસની સામે રોકડા કલદાર ફેંકીએ.
આખી મનુષ્યજાતને ભ્રમણામાં રાખવા,
આકાશમાંથી બે નવા અવતાર ફેંકીએ.
દિકરીનો પ્રેમપત્ર
એક નિબંધકાર, ચિંતક ગુણવંત શાહને લખેલ એમની વ્હાલસોય દિકરીનો ભાવભીંનો પત્ર, કે જેમાં ભરપૂર ભાવ-વિભોર મીઠી ફરિ…યાદ! અવિરત ગંગાસમી,પિતા નું વાત્સલ્યના વખાણ કરતી વાણી આ પત્રમાં વ્યકત થાય છે.
******************************************************
પ્રિય પપ્પા,
મારા પપ્પા આ દુનિયામાં
મારા અસ્તિત્વ માટે જવાબદાર છે.
અને હા,આ એજ પપ્પા છે,
જેઓ મને નાનપણમાં
રાજકુમારની અને પરીની વાર્તઓ સંભળાવતા હતા.
મારા પપ્પાએ જ મને
ચાલતા બોલતાં, ખાતાં શિખવ્યું.
આ એજ પપ્પા છે,
જેઓ સાવ નજીવી વાતે ગુસ્સે થઈ જાય છે.
તેઓ વખત-કવખત જોયા વગર પાણી માગે છે
કે કાંસકી માગે છે;
અને ખીજાયને પૂછે છેઃમારી બોલપેન ક્યાં છે?
આ એજ પપ્પા છે,
જેઓ નાની અમથી વાતે અમાર પર ચિડાય જાયછે.
તેઓ કોઈની મદદ વગર જમી ન શકે
અને તૈયાર થઈ બહાર જઈ ન શકે.
અને છતાં એજ પપ્પા
સાચકલા શબ્દો દ્વારા
અનેકનાં હ્ર્દય સુધી પહોંચી શકે.
એ જ પપ્પા
શુષ્ક વ્યવહારોમાં ઢંકાયેલી દુનિયાની ઝાંખી
મને વાતવાતમાં કરાવી શકે
અને
હીંચકે બેઠાં બેઠાં વિચારોની એવી ઊંચાઈ એ
મને લઈ જાય છે, જે હું સ્વપ્ને પણ પામી ન શકું.
એ જ પપ્પા,
જેમણે મારો પરિચય લાઓત્ઝુ, કબીર,કૃષ્ણ,
ઈસુ અને ગાંધી જોડે કરાવ્યો, અને
જેમને કારણે
જીવનની ભુલભુલામણીમાં માર્ગ શોધવામાં
મને મદદ કરવા સદાય તૈયાર.
યસ, હું એ પપ્પાને ઓળખું છું
મારા એ શારીરિક પિતા મને ખૂબજ ગમે છે,
પરંતુ સાચુ કહું તો
મને મારા આ વિચાર પિતા પ્રત્યે
ઊંડો આદર છે.
પપ્પા! આજે તમારી વર્ષગાંઠ છે.
યાદ છે કે?
તમારી મિનિ
દીકરીના લગ્ન પછી , ઘરમાં..
આખરે ઊજાગરાનો અંત આવ્યોઃ
લગન ઉકલી ગયાં,
મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છેઃ
સંભાળી સંભાળી ગોઠવે છેઃ
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભિ રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્નઃ
“મારી દિકરી કયાં?
-જયંત પાઠક
વિદાય લેતી કન્યાનું ગીત..
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો..
એક તો પાન મેં ચૂંટિયું
દાદા ન દેશો દોહાઈ રે..
અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો..
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો..
આજ રે દાદાજીના દેશમાં
કાલ્ય જાશું પરદેશ જો..
દાદાને વહાલા દીકરા
અમને દીધા પરદેશ જો..
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો..
સંપત હોયતો દેજો દાદા દેજો મોરા
હાથ જોડી ઊભા રહે જો..
હાથ જોડી ઊભા રહેજો દાદા મોરા
જીભલડીએ જશ લેજો..
અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો..
સ્ત્રી-પુરૂષ
*સ્ત્રી માત્ર સ્ત્રી બની રહીને કવિ બને છે.-જોઝ માર્ટી
*સ્ત્રીઓને ચાહવી અને તેમને સમજવી એ બેની વચ્ચે આપણે પસંદગી કરવાની હોય છે.-નિનોન લેન્કલોસ.
*સ્ત્રીની આશાઓ સૂર્યકિરણો વડે ગૂંથાયેલી હોય છે, એક પડછાયો એનો નાશ કરી નાખે છે.-જોર્જ એલીએટ.
*એક પ્રેમાળ સ્ત્રી જેવું બીજું કોઈ ગુલામ ધરતાલ પર નથી; અને તમામ પ્રેમાળ સ્ત્રીઓમાં એક માતા જેવું ગુલામ અન્ય કોઈ નથી.-હોન્ટી બિચર
*કોઈ સ્ત્રી માટે કોઈ ગુપ્ત વાત રાખવી કઠિન નથી. કઠિન તો છે એ ગુપ્ત રાખવું કે તેને કોઈ ગુપ્ત વાતની ખબર છે.-આસારાની
*પુરૂષ અધમ અને અવગુણોથી ભરપૂર વસ્તુઓને પણ પ્રેમ કરી શકે છે પરંતુ સ્ત્રી જ્યારે પ્રેમ કરતી હોય તો તે અરાધના પણ કરતી હોય છે અને જ્યારે આ આરાધાનાનો અધાર નાશ પામે છે ત્યારે બધું ગુમાવી બેસે છે.-ઓસ્કાર વાઈલ્ડ
યુવાની-વૃદ્ધાવસ્થા
જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત
યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ
વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો
યુવાન માણસ બધા નિયમો(સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ
યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી
યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી
તમારા સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત
આળસ
*આળસની ગતિ એટલી ધીમીછે કે ગરીબબાઈ એને પકડી પાડેછે-વિનોબા ભાવે
*ઓછામાં ઓછી આળસને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યો હોત તો હું શલ્ય વિનાનો બની આપની ક્ષમા માગું છું-સમણસૂત્તમ
*આળસ એ જીવંત વ્યક્તિને ઉધઈની જેમ કોતરી ખાય છે-અનામી
*આળસ મન એ શેતાનનું કારખાનું છે-અંગ્રેજી કહેવત
*આળસ ધીમે ધીમે ચાલે છે તેથી ગરીબાઈ તેને તરત આંબી લે છે-હન્ટર
*આળસ એટલે મૂર્ખાઓએ પાડેલું વેકેશન-રોસ્ટર ફિલ્ડ
*આળસમાં ગુમાવેલી દરેક ક્ષણ ભવિષ્યના દુર્ભાગ્ય માટે સુંદર તક પૂરી પાડે છે-નેપોલિયન
*કોઈ પણ ગરીબ આળસુ માણસ પ્રમાણિક ન હોય શકે-પોઈન્સલોટ
આભાર!

આજે મારા “ફૂલવાડી”બ્લોગની વાચકની સંખ્યા ૫૦,૦૦૦ ઉપર પહોંચી, જાન્યુઆરી-૨૦૦૭માં ગુજરાતી સાહિત્ય-જગતમાં”ફૂલવાડી” બ્લોગ શરું થયો, આપ સૌ મળી જે મને પ્રોતસાહન આપેલ છે અને સૌ વાચક-વર્ગે વાધાવી આનંદમાં વધારો કર્યો તે માટે “આભાર” માનવા શબ્દો ઓછા પડે છે. “ફૂલવાડી આપની સમક્ષ મૂકવામાં શ્રી વિજયભાઈ શાહ તેમજ મારી દિકરી સમાન “ઉર્મિ-સાગર”નું માર્ગ-દર્શન ઘણુંજ મહત્વનું રહ્યું છે. અવાર નવાર ડૉ.વિવેક ટેલર યોગ્ય સૂચનો આપી બ્લોગને સુંદર બનાવવામાં માર્ગ-દર્શક રહ્યા છે.દોઢ વર્ષની ટૂંકી મંઝીલમાં આટલો સહકાર અને આટલા વાચકો એ આ બ્લોગની મુલાકાત લઈ મને ઘણોજ પ્રોતસાહિત કર્યો છે.
નોંધઃ સાહિત્ય-સૃષ્ટીમાં જેનો દરેક કદમ પર સાથ રહ્યો છે,પ્રોતસાહિત કર્યો છે,મારા બ્લોગ્ને મારી સાહિત્ય-સૃષ્ટીમાં જે પ્રેરણા બની આગળ ધપવા મને હંમેશા હાથમાં હાથ મિલાવી સહભાગી બની છે એવી મારી જીવન-સાથી રેખાનો આભાર વ્યક્ત કરતાં હૈયું પ્રફુલીત બન્યું છે.
એક લોકગીત…
લોકગીત લોકોની મજિયારી મિલકત, જેની કોઈ હસ્તપ્રત કે કર્ણપ્રત ન હોય ગીત લોકોના હોઠ પર,કાનમાં ઉછરે,સ્મૃતીપટ પર કાયમ રહે, ગમે ત્યારે ગાવ,મધુર લાગે, લોકોના ગળે ગૂંજે એજ લોકગીત.
****************************************
બાપુજી કાકુજી થર જોઈ આંબા રોપવો,
ઘર જોઈ દીકરી પરણાવો,કે ચીતા ઉગરે!
મારે તે બાપે વા’ણે ચડી વર જોયા,
ચતુર શું મોહ્યા કે ચોપડા વાંચતા!
સાસરે જતાં સામા મળ્યા બે તાડ,
માબાપનાં એ લાડ, હું ક્યાંથી વીસરું?
સૂડી વચ્ચે સોપારીનો કટકો,
દિયર તારો લટકો, દેરાણી ટાળશે!
મારે તે સાસરે સાસુજી સાપણ,
નણદી તો વીંછણ,દેરાણી ડાકણ,
જેઠાણી જમરાએ લીધો જીવડો!
તળાવની પાળે સાસુવહુ બે લડ્યાં,
ડુંગર તો ડોલ્યા, કે મારા બાપના!
તળાવની પાળે મા ને દીકરી મળ્યાં,
કે ધ્રુસકે ધ્રુસકે રડ્યાં કે સરોવર ભરાઈ ગયા!
આજ તો રાંધું કેવડિયો કંસાર,
દુનિયાનો સંસાર, કે મારે વેઠવો!
સુંદર શે’ર–’આસિમ’ રાંદેરી
કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન?
સહેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.
મુજને દુનિયાય તારો દિવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખનો ઈશારો તો નથી?
લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘અસિમ!
મારી’લીલા’ મારી તાપીનો કિનારો તો નથી!
પ્રશંસામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.
અરે!આ તો ચમન છે,પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જયાં તમે હો છો મજા શામાં નથી હોતી.
ગઝલ એવીએ વાંચી છે અમે ‘લીલા’ની આંખમાં,
અલૌકિક-રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી.
અનુભવ એ ય ‘આસિમ’મેં કરી જોયો જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.














