ચકચૂર થઈ ગયો છું..
અરમાનોથી હૃદયના ચકચૂર થઈ ગયો છું,
બદનામીઓ ઉઠાવી મશહૂર થઈ ગયો છું.
આશામાં દર્શનોની હું તૂર થઈ ગયો છું,
નયનોમાં નૂર ઝાલી પૂરનૂર થઈ ગયો છું.
સમજાવો દુશ્મનોને પથ્થરથી માર મારે,
પુષ્પોના મારથી હું ભંગુર થઈ ગયો છું.
પાગલપણાની લિજ્જ્ત ભૂલી નથી ભૂલાતી,
ડાહ્યો બનીને જગમાં રંજૂર થઈ ગયો છું.
મારો કહી મને તે આપી પ્રતિષ્ઠા એવી,
તારા ગયા પછી હું મગરૂર થઈ ગયો છું.
-શવકીન જેતપૂરી


