ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રવિન્દ્રનાથના મૌક્તિકો..

આ જીવન તો સાગરખેપ છે;
આપણે એક નૌકામાં હમસફર કરીએ છીએ.
 મૃત્યું આરે પહોંચીશું અને
સહુ પોતપોતાના મુકામની વાટ લેશું.

This is the crossing of a sea,

where we met in the same narrow ship.

In death we reach the shore and

go to our different  worlds.

હું તને મારા આવાસમાં નથી બોલાવતો.
અંતઃસ્તલની અનંત એકલતામાં આવ પ્રિયે!

I do not ask thee into the house.

Come into my loneliness, my lover.

હે પ્રભુ, ફૂલો અને સૂર્યકિરણોમા ઝળકતા
તારા નમણા ઉદગારના મર્મ હું પામ્યો છું.
હવે મને વેદના અને મૃત્યુંની તારી વાણી સમજાવ.

Teach me to know thy words in pain and death.

I have learnt the simple meaning  of thy

whispers in flowers and sunshine-

હે પૃથ્વી, હું તારા રળિયામણા તટ
 ઉપર ઊતર્યો ત્યારે આંગતુક હતો;
તારા સદનમાં રોકાયો અતિથિ બનીને,
આજે તારું સખ્ય પામીને વિદાય લઉં છું

I came to your shore as a stranger,

I lived in your house as a guest,

I leave your door as a friend, my earth.

***************************************************

કાતિલકા ઈરાદા હૈ બિસ્મિલકો   મિટા  દેંગે,
બિસમિલકા તકાજા હૈ  કાતિલકો  દુઆ  દેંગે.
-શાદ

 

 

April 30, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

કર્મ પરથી જ..

જે માણસ કોઈ પણ પ્રાપંચિક દુઃખથી  ડરતો નથી, કોઈ વસ્તું ઉપર જેને આસક્તિ નથી , તેને હું બ્રાહ્મણ કહું છું, બીજાએ દીધેલ ગાળો, વધ,બંધ વગેરે  જે સહન કરે છે. ક્ષમા જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ ગણું છું.

  જન્મથી કોઈ બ્રાહ્મણ થતો નથી કે અબ્રાહ્મણ થતો નથી. કર્મથી જ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ થાય છે. ખેડુત કર્મ વડે થાય છે, ચોર કર્મથી થાય છે. સિપાઈ કર્મથી થાય છે અને રાજા પણ કર્મથી જ થાય છે. કર્મથીજ આ જગત ચાલે છે

-ગૌતમ બુદ્ધ   

April 28, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 2 Comments

કોઈ બેસતું કેમ નથી ….

જાપાનની  શહેર-પરાંની લોકલ ટ્રેન માં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવીજ ; પણ લોકો તાલીમ બદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડાનારા હારબંધ ઊભા હોય પ્લેટફોર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે; દરવાજો બંધ થાય પછી જ ગાડી ઉપડી શકે , તેવી યાંત્રીક  ગોઠવણી.

સાકાઈથી ઓસકા જવા હું લોકલમાં ચડ્યો. ડ્બ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક  ખાલી પડેલ હતી. ” કોઈ બેસતું કેમ નથી?” મેં સાથેના  મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, ” જેટલા ઊભા છે  તે સૌ ને બેસવું તો  છે; પણ ખાલી બેઠક  એક જ છે  તેથી બધા વિચારે છે કે , બેઠક  મને નહી-બીજાને મળવી જોઈએ. માટે સૌ ઉભા છે”

બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં જોઈ.

-મોહન પરીખ
************************
કોઈ દિવસ  જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક  દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેયને  કાજે  હાર પામવાનું હું પસંદ કરું છું
-વુડ્રો વિલસન

 

April 25, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 4 Comments

શ્રેષ્ઠ મિત્ર…

મા મારી…શ્રેષ્ઠ મિત્ર…
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ….

માને તો આકાશ જેટલું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
પણ એ એવું કશું માગે-ઈચ્છે-વિચારેય નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડી યે શકાય.

આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની દૂર્ગધ
એ સાથે લઈને જાય
ભગવાન પાસે-
અને સ્વય્ં ભગવાન સુગંધ, સુગંધ!
(ભગવાનની એ મા તો હશે જ ને?)

-ભગવતી શર્મા
*****************************

કૃપાથી તારી મા! દિવસ ઊગતો કાવ્ય થઈને;
તમારી   ઈચ્છા એ ઉરની ધૃવપંકતિ બની રહો!
-સુરેશ દલાલ

April 24, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 3 Comments

“કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે.”
-જેઈમ્સ ફ્લેચર

April 23, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 1 Comment

“ભગવાં ઉતારવા પડશે !”

આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી  સત્યદેવઆવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યાં હતા, તે જોઈ તેઓ  બહું પ્રસન્ન થયાં. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈને કહેવા લાગ્યા,’ હું આપના આશ્રમમાં દાખલ થવા માગું છું.’

    બાપુ કહે, ‘ બહું સારું.આશ્રમ તમારા જેવા  માટે જ છે. પણ  આશ્રમમાં દાખલ થાઓ એટલે  આપને આ ભગવાં કપડા ઉતારવા પડશે.’

આ સાંભળીને સ્વામી સત્યદેવને ઘણો આઘાત લાગ્યો.ગુસ્સે થયા. પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપ બતાવી શકતા નહોતા.. તેમણે કહ્યું, ‘એતો કેમ બને? હું સંન્યાસી છું ને?’

    બાપુએ કહ્યું,’હું સંન્યાસી છોડવાનું નથી કહેતો. મારું શું કહેવું છે તે બરોબર સમજી લો.’
પછી બાપુએ  તેમને શાંતીથી સમજાવ્યું, ‘આપણા દેશમાં ભગવાં કપડાં જોતાજ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહીં. સેવા કરવાનું છે.આપણે લોકોની જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે  જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે  આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તું છે,સંકલ્પની બાબત છે.બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે ?’

સત્યદેવને વાત સમજાઈ તો ખરી પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, ‘આતો મારાથી નહીં બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યો છે , તે છોડી નહીં શકું.’
-કાકા કાલેલકર
 

April 23, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

એક માત્ર માને..

ભગવાન પાસે આપણે શું માગીશું? માગીશું અહૈતુકી કૃપા અને ભગવાન આપણી પાસેથી શું માગે છે ? માગે છે અમલા અનિમિત્તા ભક્તિ, અકારણ પ્રેમ.

     જેવો હતો પ્રેમ પ્રહલાદનો. પ્રહલાદ, જે શાથી ભગવાનને પ્રેમ કરે છે તે પોતે જાણાતો નથી. હાથીના પગ નીચે નાખ્યો ત્યારે પણ હરિ, પહાડના શિખર પરથી ફેંકયો ત્યારે પણા હરિ પછી ભગવાને પ્રહલાદને વરદાન આપવા ઈચ્છ્યું. પ્રહલાદે કહ્યું કે , હું તમને ચાહું છું. તે શું બદલામાં ક્શું પામવા માટે ?

    સંસારમાં આ પ્રમાણે પ્રયોજન વગર આપણે કોઈને ચાહીએ  છીએ ? એક માત્ર માને . સંતાન જ્યારે માને ચાહે છે ત્યારે પૂછતું નથી કે મા, તું શું રૂપસી છે કે વિદૂશી છે ! તે મા છે એજ તેનું  ઐશ્વર્ય સદાની ભિખારણ મા-તેને છોડીને  તેનું શિશું લંબાવેલા  હાથવાળી રાણીને ખોળે જતું નથી. મા જ્યારે સંતાનને મારે છે ત્યારે પણ સંતાન તો માને જકડી રાખે છે, ત્યારે પણ મા-મા કહીને જ રડે છે. કારણ કે તે જાણે  છે કે જે નયનોને તેમણે છલકાવ્યા છે , તેજ નયનોને તેમણે સ્નેહ-ચુંબનથી ભરી પણ દીધા છે.. અચિંત્યકુમાર સેનગુપ્ત

 

April 22, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 5 Comments

મન-ભાવક શે’ર

તું  મરે  કે જીવે  આ  દિનિયાને  શું
એ ચલાવી લે છે પયગંબર   વગર.. દિપક બારડોલીકર

ઘોળ્યું જો  પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના આરતીમાં  ભેદ રહ્યો  ના અજાનમાં..મુસાફીર પાલનપુરી

જેટલામી આ ચિતા ખડખાય છે,
એટલામાં  ગર્ભનો અધ્યાય છે…હરેશ’તથાગત’

તું   કહે છે , કાશીની ક્ષણ છે તો કરવત મૂકશે
હું   કહુછું, ફૂલ  પર નખથી    જ આંકો પડશે..હરીશ મીનાશ્રુ

ગળામાં   ગાળિયો   નાખીને કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશમાં ચૂમવાની ક્ષણો છે…વીરુ પુરોહિત

શબ્દોય   છે  તો  જોડ તું બેચાર કથા ઓર
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર…રમેશ પારેખ

આથી  વધારે બીજો  ભરમ  શું હોય શકે,
હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ

ટુકડો આ તડકા તણો ચાવી જુવો,
જીભ પર સૂરજને મમળાવી જુઓ..પંથી પાલનપુરી

 

April 21, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 5 Comments

દીનનાથ દયાળુ નટવર

             

દીનાનાથ   દયાળુ  નટવર  હાથ મારો  મુકશો માં
હાથ  મારો મુકશો માં,    હાથ  મારો      મુકશો માં…દીનાનાથ

આ   મહાભવ  સાગરે ભગવાન હું  ભુલો પડ્યો છું,
ચૌદ લોક નિવાસ ચપલા, કાંત આ તક ચુકશો માં… દીનાનાથ

ઓથ ઈશ્વર આપની,સાધન વિષે સમજું  નહી હું,
પ્રાણ  પાલક પોત  જોઈ, શંખ આખર   ફૂંકશો માં… દીનાનાથ

માત  તાત સગા સહોદર, જે કહું  તે આપ  મારે,
હે!   કૃપામૃતના   સરોવર, દાસ સારું સુંકશો માં… દીનાનાથ

શરણ  દીનાનાથનું  છે,ચરણ  હે!    હરિરામ  તારું,
અખિલ નાયક આ સમય,ખોટે મરો પણ ખુટશોમાં..  દીનાનાથ

April 19, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 3 Comments

પ્રેમ વિષયક ગમતા શે’ર..

હું  જ છાતીફાટ   દરિયો   હું   જ   ભેખડ,
હું   જ  પ્રત્યાઘાતની   વચ્ચે ઊભો    છું..યોગેશ વૈદ્ય

કાંઈ  પણ  બોલ્યા  વિના  છૂટા   પડ્યા,
ઊમ્રભર   એના   પછી   પડઘા  પડ્યા…દિલીપ મોદી

ડૂસકા સૌએ   વહેંચી  લીધા,
ડૂમો      આવ્યો  મારે ફાળે…રઈશ મનીઆર

ઊમંગો  ભરેલી હું વિધવાની છાતી,
સૂના ઓરડે મોર ચીતર્યા    કરું છું…વંચિત કુકમાવાળા

તમે  ઋતુ ઋતુના રંગ  હતા,
તમારો    શોક-હર્ષ કોણ કરે…શ્યામ સાધુ

ઝબોળાઈ રહ્યો છે  ચાંદ દરિયે,
કહો ક્યાંથી  હવે આરામ આવે…દીપક બારડોલીકર

નોટમાં  વાળે છે ,સિક્કામાં ચલાવે છે મને,
યાદ  આવું છું તો રસ્તામા વટાવે  છે મને…હેમંત ધોરડા

પત્ર  આભારનો  લખે છે તું,
હું   હજી  એટલો પરાયો છું…હર્ષદ ચંદારાણા

હરેક પીઠ પર કાળા બરફની લાઠી છે,
હરેક   શાહુકાર    ચોર ને લવાદી છે…નયન દેસાઈ
 

April 18, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

વાચન કે વ્યસન ?

ગ્રંથોના શ્રવણ પઠનની સાથે સાથે એનું ચિંતન અને મનન પણા થવું જોઈએ;

અને ચિંતન પછી જે વસ્તું યોગ્ય લાગે તેનું આચરણ થવું જોઈએ.

ભારતનો ઈતિહાસ વાંચીને આપણે એ જાણી લઈ એ કે ગુલામ કેમ બન્યા;

તે પછી પણ સ્વતંત્રતાના ઋક્ષણની  વૃર્તત આપણામાં ન આવે,

તો ઈતિહાસના વાચનથી આપણે શું પ્રાપ્ત કર્યુ?

વાચનથી આપણે માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય,

 તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃધ્ધી થતી ન હોય અને

તે પ્રમાણે આચરણ ન થતું હોય તો

એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.

            ભારતમાં  રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીરથી ગાંધીજી સુધીના મહાપુરૂષોની

એક પરંપરા ચાલી  આવે છે. એમનો ઉપદેશ ગ્રંથો દ્વારા ઉપલબ્ધછે છતાં

 ભારતમાં સામાન્ય નાગરિકોમાં પ્રમાણિકતાની અણુપ જ છે એનું કારણા એ છે

કે આપણે સદગ્રંથોનો મહિમાં ગાઈએ છીએ, પરંતુ તેવું આચરણ કરતાં નથી.

આપણે સંતોનાં ગુણાગાન કરીએ છીએ,

એમની ભક્તિ કરીએ છીએ, પર્ંતું એમના ગુણો જીવનમાં ઉતારતા નથી
-કેદારનાથ

April 17, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 4 Comments

એક છોકરો + એક છોકરી + કંઈક બીજું ?

એક  છોકરાએ  સિટ્ટિનો  હિંચકો  બનાવી,

 એક  છોકરીને કીધું ‘લે ઝૂલ’
    છોકરાએ   સપનાનું   ખિસ્સું    ફંફોસીને
           સોનેરી    ચોકલેટ   કાઢી રે
    છોકરીની  આંખમાંથી  સસલાનાં  ટોળાએ
                ફૈકી   કૈ ચિઠીઓ  અષાઢી રે

સીધી   લીટીનો   સાવ છોકરાને  પલળ્યો,

 તો  બની ગયો બેત્રણ વર્તુલ
      છોકરીને  શું ? એ તો  ઝૂલી,
  તે પછી  એને ઘેર જતાં થયું  સ્હેજ મોડું રે
       જે   થયું   એ તો   છોકરાને   થયું
       એનાં સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢી એ બસી તે ચોપડામાં રોજ રોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

April 16, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 1 Comment

કરી જોજો !

 

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી  જોજો,
તમારા   મ્હેલના મહેમાનની   સામું જરી  જોજો.

મુસાફર  કંઈ  બિચારા આપના રાહે  સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો   ભરી જોજો.

ઊછળતા  સાગરે મેં  છે ઝુકાવ્યું  આપની ઓથે,
શરણમાં જે  પડે   તેને  ડુબાવીને  તરી જોજો !

વિના  વાંકે  છરી   મારી  વ્હાવ્યું ખૂન  નાહકનું,
અરીસા  પર નજર ફેંકી તમારી એ   છરી જોજો.

કટોરા   ઝેરના   પીતાં જીવું છું, એ   વફાદારીઃ
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું  ધરી જોજો.

અમોલી  જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર  કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું;હવે દિલબર!ફરી જોજો.

- કપિલ ઠક્કર

April 14, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

રવીન્દ્રનાથનાં મૌકતિકો..

 

રાત્રિએ સૂરજને કહ્યું-’આ ચન્દ્ર તારો પ્રેમ-પત્ર છે,
તો   ધરતી-પુત્ર    તરણાં પર ઠરેલાં અશ્રુબિંદુઓ
મારા પ્રત્યુતર છે.

‘In  the  moon  thy  love  letter  to   me’,

said the night  to the sun.

I live my answer in  tears upon the grass.

હું રજળપાટ કરતો હતો ત્યારે , હે! પગદંડી,
મને તારો થાક લાગતો હતો
હવે તારા સખ્યમાં મજલ મીઠી લાગે છે.

When I travelled to here and to there,

I was tired of thee, O Road. But  now  when thou

leadest me everywhere

I am wedded to thee in love.

જીવનમાં રહી ગયેલાં છિદ્રો વાટે
મૃત્યુંનું કરૂણ સંગીત  આવે છે.

Gaps are left in life  through which comes

the sad music of death.

કિરતારની પરમ શક્તિ હવાની શીતળ લહેરખી
લાવ છે, અંધાધુંધ નહી.

God’s great power is in the

gentle breeze, not in the storm.
**************************************************************
ખોરાક માટે  પ્રાણીઓને માર્યા વગર પણ માનવી  જીવીત અને તંદુરસ્ત  રહી શકે છે,
તો પછી માનવી પ્રાણીઓને મારી માંસ ખાય  તો માત્ર શોખને સંતોષવા!

April 13, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment

ઢૂકડા લગ્નનું ગીત-નિરંજન યાજ્ઞિક

 

આંબલિયે  હોય  એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?- બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કહેવાય,
અને ઉમ્બરમાં  હોય એને? - બોલ !
સખી, શેરીમાં  વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ?- બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી  હૈડામાં  વાગે છે ઢોલ !

April 11, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments