તાજ મહલ-કવિઓની દ્ર્ષ્ટિએ!
ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને નાદાન મજનુએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજે જેમાં પ્રેમ છે કેદી જમાનાથી
મને એ ખૂબ સૂરત પથ્થરોની જેલ જોવા દે.
-શેખાદમ આબુવાલા
સ્નેહના સૌદર્ય સામે કાળને મોહતાજ જોયો,
એકાન્ત એ યમુનાતટે યમદેવનો સુકુમાર લિહાજ જોયો.
મેં તાજ જોયો- ઉમાશંકર જોષી
તાજનું શિલ્પકાવ્ય નીરખીને,
હર્ષનાં આસું કૈક લૂછે છે;
દાદ આપે છે શાં’જહાંને સૌ,
એના શિલ્પીને કોણ પૂછે છે?
-રતિલાલ અનિલ
કોઈની યાદમાં નવતર રિવાજ જોયો છે
પ્રતિક પ્રેમનું જોયું છે, તાજ જોયો છે
કળા બતાવે નહીં બીજે એથી સર્જકનાં
જે હાથ કાપી લે એવો સમાજ જોયો છે
-શકીલ કાદરી
તાજ તેં જોયા અમારા હાલને ?
તું રડે છે મુસ્લિમોની કાલને ?
પારખી તેં કાળ કેરી ચાલને ?
ઠોકરો મારે છે જન પામાલ ને ?
-’બેકાર’ રાંદેરી
યે ચમનજાર, યે જમના કા કિનારા, યે મહલ,
યે મુનક્કશ દરો-દિવાર, યે મહરાબ, યે તાક ,
એક શહનશાહ ને દોલત કા સંહારા લેકર,
હમ ગરીબોં કી મુહબ્બત કા ઉડાયા હૈ મજાક!
મેરી મહબૂબ કહીં ઔર મિલાકર મુઝ સે!
-સાહિર લુધાયનવી
તાજમે’લ જોઇ કહે બઘા છે આ અદભૂત !
પ્રેમ મારો ઠૂક રાયો પૈસા વિના અડઘૂત !!
- ચીમન પટેલ ‘ચમન’
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


