સુધી ગયા
આંખોના દ્વાર ખોલીને શમણા સુધી ગયા,
હોવા પણાનો ડર લઈ, ઘટના સુધી ગયા.
એમાં નવાઈ શું , જો નિરાશાઓ સાંપડે!
મીઠપની આશે કાં , અમે દરિયા સુધી ગયા?
પાગલપણાથી પર હશે ના, એની જિંદગી
ઈચ્છા જે ફૂલની લઈ સહરા સુધી ગયા?
મરવાની ઈચ્છા એટલે ‘મન્સુર’ ફળી નહીં
ડૂબી જવાની આશ લઈ, તરણા સુધી ગયા.
-મન્સુર કિસ્મત કુરેશી
ભાવનગર એ મારી જન્મભૂમિ અને મા-ભોમની મારી આ મુલાકાતમાં પહેલી સાહિત્ય-સફર એટલે
મારું રુડુ -રણિયામણું ભાવશાળી ભાવનગર જ્યાં “બુધસભા” દરબુધવારે મળે,સૌ કવિ-મિત્રો મળે અને કાવ્ય પાઠન થાય અને નવેમ્બર , ૨૮,૨૦૦૭ના રોજ અતિથી મહેમાન તરીકે મને આમંત્રિત કરેલ. આપ સૌને ખબરજ હશે અને સૌ કહેછે કે “જ્યાં કોઈ પણ ઘરે પથ્થર ફેકો તો એ ઘર કવિનું જ હોય..સભામાં ખ્યાતનામ આપણાં ડૉ.વિનોદભાઈ જોશી સહિત કિસ્મત કુરેશીના પૂત્ર “મન્સુર કિસ્મત કુરેશી” પણા હતાં. પિતાનો વારસો જેમણે બહુજ કુશળતાથી અને સહ્જ ભાવે
જાળવી રાખ્યો છે.તેમની આ ગઝલ આપની સમક્ષ રજૂ કરતાં મને આન્ંદ થાય છે.
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


