ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભાઈની મંગળ કામનાનું પર્વ : ભાઈબીજ

bhai11.jpg

- પ્રતિભા અગ્નિહોત્રી
કાર્તિક માસ સુદની દ્રિતીય તિથી એટલે કે દિવાળી પછીનો બીજો દિવસ ભાઈ-બહેનના પર્વ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. તેને ભાતૃ દ્રિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનની જેમ જ ભાઈબીજ પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધોનું પાવન પર્વ છે. તે બંનેમાં અંતર એટલું છે કે રક્ષાબંધને બહેન ભાઈની રક્ષાની કામના કરતા રાખડી બાંધે છે, જ્યારે ભાઈબીજ પર ભાઈના કલ્યાણ અને રક્ષા માટે બહેન ભાઈને ચાંદલો કરે છે. આ દિવસે કેટલીક બહેનો પોતાના પ્રિય ભાઈના દિર્ધ આયુષ્ય અને સમૃદ્ધિ માટે વ્રત પણ રાખે છે. ભાઈબીજ પર દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે, ત્યાં બહેન કુમકુમ અને અક્ષત દ્રારા ચાંદલો કરીને ભાઈનું સ્વાગત કરે છે અને તેના ઉજ્જવળ જીવન માટે આશીર્વાદ આપે છે. બહેન તેને પ્રેમભેર સ્વાદીષ્ટ પકવાનો ખવડાવે છે અને ભાઈ દક્ષિણા અથવા ઉપહાર આપીને પોતાની બહેનના શુભાશીષ ગ્રહણ કરે છે.

જે રીતે આપણા દેશમાં દરેક પર્વ પાછળ કોઈને કોઈ દંતકથા છુપાયેલી છે તે જ રીતે ભાઈબીજના સંદર્ભમાં પણ એક અતિપ્રાચીન કથા પ્રચલિત છે. કહેવાય છે કે પૌરાણિક કાળમાં આ જ દિવસે મૃત્યુના દેવતા યમદેવે તેમની બહેન યમીના દર્શન કર્યા હતા, જે ઘણા દિવસોથી તેમને મળવા માટે વ્યાકુળ હતી. તેથી આ પર્વને યમ દ્રિતીયા પણ કહેવાય છે.

ભાઈના આગમનથી ખુશ થયેલી યમીએ તેની આગતાસ્વાગતા કરી અને છપ્પન પ્રકારના ભોજન ખવડાવ્યા. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે યમલોકમાં પ્રસ્થાન કરતા પહેલા પોતાની બહેનને મનોવાંચ્છીત વરદાન માંગવા કહ્યું. ત્યારે યમીએ એવું વરદાન માંગ્યું કે જે ભાઈ આજના દિવસે પોતાની બહેન સાથે મારો જળાભિષેક કરશે, અર્થાત યમુનામાં સ્નાન કરશે તે યમની જેમ દિર્ધજીવી અને સમૃદ્ધિશાળી બનશે. તે સિવાય આજના દિવસે જે રીતે મારા ભાઈ યમ પોતાની બહેનના ઘરે આવ્યા છે, તે જ રીતે દરેક ભાઈ આજના દિવસે પોતાની બહેનના ઘરે જાય. યમરાજે યમને બંને વરદાન આપ્યા. કહેવાય છે કે ત્યારથી જ ભાઈબીજની ઉજવણીની પરંપરા શરૂ થઈ.

ભારતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં એ દિવસે ગોધન પર્વ પણ ઉજવાય છે. તેમાં ગોબરની માનવ મુર્તિ બનાવીને તેની છાતી પર ઈંટ મુકીને સુહાગણ સ્ત્રીઓ તેને તોડે છે. બપોર પછી બહેન-ભાઈ યમ-યમીની પૂજા કરીને આ પર્વની ઉજવણી કરે છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થાનોએ આ પર્વ ગોવર્ધન પૂજા નામે મનાવાય છે. જેમાં ખેડુતો ઘરના ગાય, બળદ વગેરે પશુઓની પૂજા અર્ચના કરે છે.

November 7, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | No Comments