મેં એક શાહજાદી જોઈ હતી…
શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી,
મેં એક શાહજાદી જોઈ હતી.
એના હાથની મેંદી હસતી’તી
એના આંખનું કાજળ હસતું’તું;
એક નાનું સરખું ઉપવન જાણે
મૌસમ જોઈ વિકસતું’તું.
એના સ્મિતમાં સો સો ગીત હતા
એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયાની હતી લગન
એની પગરવ સાથે પ્રિત હતી.
એણે યાદના આસોપાલવથી
એક સ્વપ્ન-મહેલ શણગાર્યો’તો;
જરા નજરને નીચી રાખીને
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઊછળતી’તી;
ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યારભર્યુ શરમાતી’તી.
એને યૌવનની આશિષ હતી
એની સર્વ બલાઓ દૂર હતી;
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કૂદરત પણ આતુર હતી.
-સૈફ પાલનપુરી(૩૦-૦૮-૧૯૨૩-૦૭-૦૫-૧૯૮૦) સૈફુદીન ખારાવાલા.સૈફની ગઝલ વિવેચનની મોહતાજ નથી. એ પ્રત્યક્ષ અને સ્વયંસ્પષ્ટ છે. ગઝલના સ્વરૂપની સ્વમાનભેર આબરૂ જાળવનાર આ શાયરની શાયરીનો મિજાજ પણ જાણવા, માણવા અને પ્રમાણવા જેવો છે. દુબારા કે ઈર્શાદની વચ્ચે એમની ગઝલ ગૂંગળાઈ જતી નથી. પણ આપમેળે એ ખીલે છે અને ખૂલે છે. એમના કાવ્યસંગ્રહ’ઝરૂખો’ અને હીચકો.
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


