ઈચ્છા થઈ ! - “નાઝિર”
ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ,
તો ત્યાંથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઈ.
ન પૂછો કે કળીને કાં ખરી જવાની ઈચ્છા થઈ,
ઘણાંને મોત પહેલાં પણ મરી જવાની ઈચ્છા થઈ.
નયનથી જ્યારે અશ્રુને સરી જવાની ઈચ્છા થઈ,
ગગનથી કંઈક તારકને ખરી જવાની ઈચ્છા થઈ.
મજા એ માણવા આવ્યાં હતા જ્યારે પ્રભા કેરી,
જીવનના દિપને ત્યારે ઠરી જવાની ઈચ્છા થઈ.
પડ્યાં મોજાં ઓ નૌકામાં ચરણને સ્પશૅવા એનાં,
શું સાગરનેય ભવસાગર તરી જવાની ઈચ્છા થઈ?
બની તન્મય પ્રતિભા કોતરી નીરખી જો શિલ્પી એ,
તો પોતાનાજ એના દમ ભરી જવાની ઈચ્છા થઈ.
ફરેના કોઈ કાળે પણ વલણ આ વિશ્વનું ‘નાઝિર’,
અમારે કારણે એને ફરી જવાની ઈચ્છા થઈ
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



