પ્રાથૅના/બંદગી
બાબર નામે એક બાદશાહ હતો.તે દિલ્હીમાં રાજ્ય કરતો હતો.તેને ચાર દિકરા હતા. તેમાં મોટો
હુમાયુ હતો. બાબરને બધા દિકરા વહાલા હતા. પણ હુમાયુ ઉપર તેનું હેત વધારે હતું.
એક વખત હુમાયુ સખત માંદો પડ્યો.બાબર બાદશાહ હોવાથી દવા દારૂ માટે પૈસાની ખોટ ન હતી.સારા સારા વૈદો અને હકીમોની દવા કરી પણ હુમાયુ ને કોઈ દવાથી આરામ થયો નહિ. માંદગી દિવસે દિવસે વધતી ગઈ.તાવ ઓછો થાય અને હુમાયુ ને આરામ થાય એમ માની
બાબરે ધમૅદાન કર્યા, ગરીબોને અન્ન-વસ્ત્રો આપ્યા, પણ હુમાયુ ને કશો ફેર પડ્યો નહિ.
હુમાયુની માંદગી ઘણીજ વધી ગઈ અને તે એક બે દિવસનો મહેમાન છે એવું સૌ ને લાગ્યું.
બાબર હુમાયુના બિછાના પાસેથી જરા પણ ખસતો નહિ.તેની ભુખ તરસ ઊડી ગઈ હતી.શું કરવાથી હુમાયુની જિંદગી બચે તેની રાત દિવસ ચિંતા કરતો હતો.
એવામાં એક ફકીર આવ્યો. તેણે હુમાયુને જોઈ બાબરને કહ્યું, “હે બાબર, તું તારી પાસેની સૌથી મુલ્યવાન વસ્તુ ખુદાને નામે દાન આપે, તો તારો પુત્ર સાજો થાય.હીરાનો એકાદ હાર આપી દે.”
બાબરે કહ્યું” હીરા કરતાતો મારો જાન વધારે કિંમતી છે. તેજ ખુદાને અપૅણ કરું” એમ કહીં ખુદાનું ધ્યાન ધરી ને બોલ્યો,”હે ખુદા, મારા હુમાયુને સારો કર. અને તેનું બધું દુઃખ મને આપી દે, હું મારો પ્રાણ તને અપૅણ કરું છું”
ખુદાએ બાબરની બંદગી(પ્રાથૅના) સાંભળી હોય તેમ તેજ દિવસથી હુમાયુ ને આરામ થવા માંડ્યો. છેવટે હુમાયુ તદ્દન સાજો થઈ ગયો, પણ બાબર તે વખતથી માંદો પડ્યો અને આખરે ગુજરી ગયો..
************************
“પ્રાથૅના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ” સ્વામી રામતીથૅ
…
કોણ હતી ?
પ્રથમ દિન કોલેજનો હતો
ને એક સંગાથી મને મળી,
કૈ જાણથી ને કૈ અજાણથી
પ્રેમ અમારો થઈ ગયો,
લાલ -પીળી ને ભભકતી,
સુંદર સાડી હંમેશ પહેરતી,
બીજી પ્રાંતી ભાષા બોલતી,
હું એ શાનથી સમજતો.
ભલી ક્યાંની રહેવાસી હતી,
મેં કદી પૂછ્યું નહીં,
નિયત સ્થળે એ આવતી,
સંગાથે સદા સાથે જતી,
નાજુક શા અંગના ભાગ પર,
કૈ વાર બાજુ ઢાળ તો,
ખેર? રજાઓ કોલેજમાં પડી,
હું ગયો મારા દેશ ભણી,
કહ્યું કોઈ એ ,” એ તો નિયત સ્થળે આવતી,
મને ન જોઈ ચાલી જતી,”
મિત્રો સાથે મળી પૂછે” એ કોણ હતી ?”
ભાઈ એ તો માત્ર ” બસ” હતી.
( નોંધ.. ૧૯૬૮માં કોલેજકાળમાં રમુજમાં લખેલ હસ્ય-કાવ્ય અમદાવાદની લાલદરવાજાની
બસમાં બેઠી, કરેલી મુસાફરી માંથી સ્ફુરેલું રમુજ કાવ્ય)
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



